Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશબ્રિજભૂષણ શરણ સિંઘના સાથી સંજય સિંઘ બન્યા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ, ચૂંટણીમાં જીત:...

    બ્રિજભૂષણ શરણ સિંઘના સાથી સંજય સિંઘ બન્યા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ, ચૂંટણીમાં જીત: આંદોલનકારી પહેલવાનો હતા વિરોધમાં

    જેમણે કુશ્તી કરવી હોય તેઓ કુશ્તી કરી રહ્યા છે અને જેમણે રાજકારણ જ કરવું હોય તેઓ રાજકારણ કરી રહ્યા છે. રાજનીતિવાળાઓને જવાબ રાજનીતિના અખાડામાં જ આપવામાં આવશે: સંજય સિંઘ

    - Advertisement -

    વિવાદોમાં રહેલા રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની (WFI) ચૂંટણી ઘણી વખત પાછળ ઠેલાયા બાદ આખરે ગુરૂવારે (21 ડિસેમ્બર) યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે સંજય સિંઘનો વિજય થયો છે. તેઓ પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંઘના નજીકના સાથી છે. 

    જીત બાદ સંજય સિંઘે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, “હવે આગળ પહેલવાનોને તૈયારી કરવા માટે નેશનલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.” આગળ કહ્યું કે, “જેમણે કુશ્તી કરવી હોય તેઓ કુશ્તી કરી રહ્યા છે અને જેમણે રાજકારણ જ કરવું હોય તેઓ રાજકારણ કરી રહ્યા છે. રાજનીતિવાળાઓને જવાબ રાજનીતિના અખાડામાં જ આપવામાં આવશે.” થોડા મહિનાઓ પહેલાં પૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે અમુક પહેલવાનો આંદોલને ચડ્યા હતા, જેમણે ચૂંટણી બાદ પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી, જેને લઈને નવા પ્રમુખે આ ટિપ્પણી કરી હતી. 

    બુધવારે (20 ડિસેમ્બર) આંદોલનમાં સામેલ પહેલવાનો પૈકીનાં એક વિનેશ ફોગાટે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ચૂંટણી બાદ તેઓ સાંજે 4 વાગ્યે દિલ્હી પ્રેસ ક્લબ પર એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ નથી. 

    - Advertisement -

    ચૂંટણીમાં સંજય સિંઘને 40 મત મળ્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર અનિતા શ્યોરાનને માત્ર 7 મત મળી શક્યા. અનિતા હરિયાણાનાં વતની છે. તેમણે પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ આંદોલન પર ઉતરેલા પહેલવાનો સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ વગેરેનું સમર્થન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, તેઓ મહિલા પહેલવાનોના યૌન શોષણના કેસમાં બ્રિજભૂષણ સિંઘ વિરુદ્ધ સાક્ષી પણ છે. 

    બીજી તરફ, સંજય સિંઘને બ્રિજભૂષણ શરણ સિંઘના નજીકના સાથી માનવામાં આવે છે. તેઓ લાંબા સમયથી રેસલિંગ સાથે સંકળાયેલા રહ્યા છે અને હાલ ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોશિએશનના પ્રમુખ છે. તેઓ RSS સાથે પણ સંકળાયેલા છે અને વારાણસીના વાતની છે. જ્યારે બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેમણે તેમનું સમર્થન કર્યું હતું. 

    આંદોલનકારી પહેવાલનોએ સંજય સિંઘના ચૂંટણી લડવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ મહિનાની શરૂઆતમાં જ્યારે તેઓ ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યાં ત્યારે તેમની સામે પણ આ મુદ્દે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે તેમને ચૂંટણી લડવા દેવામાં ન આવે કારણ કે તેઓ બ્રિજભૂષણ સિંઘના નજીકના વ્યક્તિ છે. જોકે, તેમનો વિરોધ બહુ ટક્યો નહીં અને સંજય સિંઘ ચૂંટણી પણ લડ્યા અને વિજયી પણ બન્યા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં