Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ‘જ્યાં જવાનો, ત્યાં જ મારો તહેવાર’: PM મોદીએ ભારતીય સેના સાથે ઉજવી...

    ‘જ્યાં જવાનો, ત્યાં જ મારો તહેવાર’: PM મોદીએ ભારતીય સેના સાથે ઉજવી દિવાળી, કહ્યું- જવાનો સરહદ પર સૌથી સશક્ત દીવાલ, દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

    વડાપ્રધાને કહ્યું કે, ભારતીય સેનાઓ અને સુરક્ષાબળોના પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી અને દિવાળીનો આ પવિત્ર તહેવાર, આ અદ્ભુત સંયોગ છે, અદ્ભુત મેળાપ છે અને આ સંતોષ અને આનંદથી ભરેલી ક્ષણો મારા માટે, તમારા માટે અને દેશવાસીઓ માટે દિવાળીમાં નવો પ્રકાશ પહોંચાડશે તેવો મને વિશ્વાસ છે.

    - Advertisement -

    રવિવારે (12 નવેમ્બર, 2023) દિવાળી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના લેપચા ખાતે પહોંચ્યા હતા. અહીં ભારત-ચીન સરહદ પર તહેનાત જવાનો સાથે મુલાકાત કરીને તેમણે દિવાળીની ઉજવણી કરી અને છેલ્લાં 9 વર્ષોથી ચાલતી આવતી તેમની પરંપરા જાળવી રાખી. આ તબક્કે તેમણે સંબોધન પણ કર્યું. વડાપ્રધાને જવાનોને તેમના સાહસ, શૌર્ય અને સમર્પણ બદલ અભિનંદન પાઠવ્યા તો દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી. 

    વડાપ્રધાને કહ્યું કે, ભારતીય સેનાઓ અને સુરક્ષાબળોના પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી અને દિવાળીનો આ પવિત્ર તહેવાર, આ અદ્ભુત સંયોગ છે, અદ્ભુત મેળાપ છે અને આ સંતોષ અને આનંદથી ભરેલી ક્ષણો મારા માટે, તમારા માટે અને દેશવાસીઓ માટે દિવાળીમાં નવો પ્રકાશ પહોંચાડશે તેવો મને વિશ્વાસ છે. 

    પીએમ મોદીએ કહ્યું કે, કહેવાય છે કે જે રીતે જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા હોય છે, તે જ રીતે મારા માટે જ્યાં મારી ભારતીય સેના છે, જ્યાં મારા દેશનાં સુરક્ષાબળોના જવાનો તહેનાત છે, તે સ્થળ કોઇ મંદિરથી કમ નથી. જવાનોને સંબોધતાં તેમણે કહ્યું કે, “જ્યાં તમે હો છો ત્યાં જ મારો તહેવાર હોય છે.”

    - Advertisement -

    આપના જવાનો પાસે હંમેશા આ વીર વસુંધરાનો વારસો રહ્યો છે તેમ કહીને વડાપ્રધાને ઉમેર્યું કે, જવાનોની છાતીમાં એ આગ છે જેનાથી હંમેશા તેમણે પરાક્રમનાં પ્રતિમાન રચ્યાં છે. પ્રાણોને હથેળી પર રાખીને જવાન હંમેશા સૌથી આગળ રહ્યા છે અને સાબિત કર્યું છે કે તેઓ સીમા પર દેશની સશક્ત દીવાલ છે.

    જવાનોને સંબોધતાં તેમણે કહ્યું, “કહેવાય છે પર્વ એ જ હોય છે જ્યાં પરિવાર હોય છે. પર્વના દિવસે પરિવારથી દૂર સીમા પર તહેનાત રહેવું એ કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા છે. પરિવારની યાદ સૌ કોઈને આવે છે પરંતુ તમારા ચહેરા પર ઉદાસી નથી દેખાય રહી. તમારા ઉત્સાહમાં ઘટાડો થયો નથી. ઊર્જાથી ભરાયેલા છો. કારણ કે તમે જાણો છો કે 140 કરોડ દેશવાસીઓનો પરિવાર પણ તમારો પોતાનો જ છે. દેશ તેથી જ તમારો કૃતજ્ઞ છે, ઋણી છે. એટલે જ દિવાળી પર દરેક ઘરમાં એક દીવો તમારી સલામતી માટે પણ પ્રગટાવવામાં આવે છે. દરેક પૂજામાં એક પ્રાર્થના તમારા જેવા વીરો માટે પણ હોય છે.”

    વડાપ્રધાને કહ્યું કે, છેલ્લાં 35 વર્ષથી દિવાળી જવાનો સાથે ઉજવતા આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, “હું જ્યારે વડાપ્રધાન ન હતો ત્યારે પણ દિવાળી પર વિવિધ સરહદો પર જઈને જવાનોને મળતો રહ્યો છું. તમારી સાથે મિઠાઈઓ ખાધી છે. મેસમાં સાથે જમ્યો છું.”

    પીએમ મોદીએ કહ્યું, “આજે દુનિયામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, તેમાં ભારત પાસેથી અપેક્ષાઓ સતત વધી રહી છે. આવા સમયે જરૂરી છે કે ભારતની સરહદો સુરક્ષિત રહે, દેશમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે અને તેમાં તમારી (જવાનોની) મોટી ભૂમિકા છે. ભારત ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી તેની સીમાઓ પર હિમાલયની જેમ અટલ અને અડગ મારા જાંબાઝ સાથીઓ ઊભા છે. તમારી સેવાના કારણે જ ભારત ભૂમિ સુરક્ષિત છે અને સમૃદ્ધિના માર્ગ પર પ્રશસ્ત છે.”

    PM મોદીએ ગત 1 વર્ષમાં દેશને મળેલી ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું કે, આ વર્ષ ભારત માટે રાષ્ટ્રનિર્માણનું વર્ષ રહ્યું છે. ત્યારબાદ ઉમેર્યું કે, જ્યાં સુધી તમે સરહદો પર સજાગ થઈને ઉભા છો ત્યાં સુધી દેશ પૂરેપૂરી શક્તિ સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે એકજૂટ થઈને કામ કરતો રહેશે. આજે ભારત વિકાસની ઊંચાઈઓને આંબી રહ્યું છે તો તેનો શ્રેય જવાનોના સામર્થ્ય, સંકલ્પો અને બલિદાનને પણ જાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં