22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો છે. દેશના કરોડો હિંદુઓ આ દિવસને ઐતિહાસિક બનાવવા માટે ઉત્સાહમાં હતા. ભક્તિના રંગે રંગાઈને રામભક્તોએ આનંદની ઉજવણી કરી હતી. હિંદુઓના આ પવિત્ર દિવસે પણ અમુક ઈસ્લામિક કટ્ટરપંથીઓએ નફરત અને હિંસા ફેલાવવાનું ચાલુ રાખ્યું હતું. મહેસાણાના ખેરાલુમાં રામયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથે વડોદરામાં પણ રામભક્તો પર પથ્થરો વરસાવવામાં આવ્યા હતા. જ્યારે વડોદરાથી ફરી એકવાર શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના સાધલી ગામના હમજા ખત્રી, ફૈઝન નાનિયો અને જુનેદ કુરેશી નામના મુસ્લિમ કટ્ટરપંથીઓએ રામ મંદિરને લઈને વિવાદિત પોસ્ટ કરી છે અને ‘સર તન સે જુદા’ કરવાની ધમકી આપી છે. પોસ્ટ વાયરલ થતાં પોલીસ પણ એક્શનમાં આવી છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/01/Image-24-01-24-at-12.44 PM-1.jpeg?resize=383%2C418&ssl=1)
22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને હિંદુઓમાં આનંદ અને ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. તમામ લોકોની આંખોમાં હર્ષના આસું હતા. તમામ હિંદુઓ કોઈપણ અડચણરૂપ બન્યા વગર પોતાના આરાધ્યના આવવાની ખુશી ઉજવી રહ્યા હતા. તે વચ્ચે પણ મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિંદુઓને ઉશ્કેરવાના પ્રયાસો કરવાના ચાલુ રાખ્યા. વડોદરાના સાધલી ગામમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહિયાં રહેતા ત્રણ કટ્ટરપંથી મુસ્લિમોએ ઈન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ કરીને શાંતિ ડોળવાના પ્રયાસ કર્યા છે. હમજા ખત્રી, ફૈઝન નનિયો અને જુનેદ કુરેશીએ બાબરી મસ્જિદ દર્શાવતી પોસ્ટ કરી છે અને ‘સર તન સે જુદા’ કરવાની ધમકી આપી છે.
‘સર તન સે જુદા’ કરવાની આપી ધમકી
વડોદરાના આ ત્રણ મુસ્લિમ યુવાનોએ ઈન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદના ફોટા સાથે એક પોસ્ટ કરી હતી. તે વિવાદિત પોસ્ટ પર લખ્યું હતું કે, ‘જબ વક્ત હમારા આયેગા, તબ સર ધડ સે અલગ કિયા જાયેગા.’ આ પોસ્ટમાં ભારતના બહુમતી ધરાવતા સમાજને ખુલ્લી ધમકી આપવમાં આવી છે કે, જ્યારે તે લોકોનો સમય આવશે ત્યારે ‘સર તન સે જુદા’ કરી નાખવામાં આવશે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ હતી. જે બાદ વડોદરાના શિનોર પોલીસ સ્ટેશને આ મામલે સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી દીધી છે. ઑપઇન્ડિયાએ આ મામલે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ વાત થઈ શકી નહીં. વાત થયા બાદ આર્ટીકલ અપડેટ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહાઅવસરે આખા દેશમાં ઉજવણીઓ કરવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના પાદરાના ભોજ ગામે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પર કટ્ટરપંથીઓના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 10 મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે 26 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.