કર્ણાટકમાં વાલ્મિકી અનુસૂચિત જાતિ વિકાસ નિગમમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના વિવાદ વચ્ચે પ્લાનિંગ અને સ્ટેટિસ્ટિક્સ મંત્રી બી. નાગેન્દ્રએ 28 ઑગસ્ટે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારની કેબિનેટમાં સમાવેશ થયાના માંડ 25 જ દિવસની અંદર જ નાગેન્દ્રને મંત્રીપદ છોડવું પડ્યું છે. આ કૌભાંડને લઈને ભાજપ અને જેડીએસ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બીજી તરફ CBIએ ચાર્જશીટ પણ દાખલ કરી છે.
કર્ણાટક વિધાનસભા ખાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજીનામાની જાહેરાત કરતી વખતે બી. નાગેન્દ્ર કેમેરા સામે જ રડી પડ્યા હતા. તેમણે પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે, પોતાના પર લાગેલા આર્થિક ગેરરીતિના આરોપોનો તાર્કિક જવાબ આપવાના બદલે તેમણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે ‘દલિત અને આદિવાસી કાર્ડ’ ખેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ એક આદિવાસી સમુદાયમાંથી આવે છે તેથી તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
નાગેન્દ્રએ ભાજપ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો હતો કે, “વિપક્ષની મનુવાદી માનસિકતાને કારણે મને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. ભાજપ અને અન્ય મનુવાદી તાકાતો દેશમાં કોઈ આદિવાસી કે દલિત નેતા આગળ વધે તે સહન કરી શકતી નથી.” તેમણે એવો પણ તર્ક આપ્યો હતો કે કોંગ્રેસ અને સરકારને વધુ શરમજનક સ્થિતિમાંથી બચાવવા માટે તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે. આ સાથે જ તેમણે બલ્લારી ગ્રામીણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી પણ ટૂંક સમયમાં રાજીનામું આપવાનો દાવો કર્યો હતો.
VIDEO | Bengaluru: "I am submitting my resignation to CM today to ensure party does not face any embarrassment", says Karnataka Minister Nagendra. pic.twitter.com/3ysOZovm5v
— Press Trust of India (@PTI_News) August 28, 2026
નોંધનીય છે કે બી. નાગેન્દ્રનું આ કૌભાંડમાં બીજી વખત રાજીનામું પડ્યું છે. આ અગાઉ જૂન 2024માં સિદ્ધારમૈયા સરકારમાં તેઓ અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી હતા ત્યારે પણ વાલ્મિકી નિગમના કરોડોના ફંડની ગેરરીતિ સામે આવ્યા બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ જ્યારે ડી. કે. શિવકુમારે કર્ણાટકના મુખ્યામંત્રી તરીકે કમાન સંભાળી ત્યારે કૌભાંડમાં ઘેરાયેલા હોવા છતાં નાગેન્દ્રને ફરીથી કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષે કોંગ્રેસની નીતિ સામે ભારે સવાલો ઉઠાવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર વાલ્મિકી કૌભાંડનો ખુલાસો મે 2024માં થયો હતો, જ્યારે મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જાતિ વિકાસ નિગમના એકાઉન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પી. ચંદ્રશેખરને આત્મહત્યા કરી લીધી હતી. ચંદ્રશેખરને પોતાની છ પાનાંની સ્યુસાઇડ નોટમાં નિગમના કરોડો રૂપિયાના ફંડમાં થયેલી ગેરરીતિઓ અને ગેરકાયદેસર ટ્રાન્સફરની વિગતો ઉજાગર કરી હતી. ત્યારે તપાસ એજન્સીઓને માલૂમ પડ્યું કે આશરે ₹89.63 કરોડ જેટલી મોટી રકમ નિગમના ખાતામાંથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ત્યારબાદ અન્ય ખોટાં ખાનગી ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.
જોકે કર્ણાટક પોલીસની SIT તપાસમાં મંત્રીને ક્લીન ચિટ આપવાનો પ્રયાસ થયો હતો, પરંતુ કેન્દ્રીય CBIની ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે વાલ્મિકી નિગમ મારફતે આપવામાં આવેલા ₹13.95 કરોડના કોન્ટ્રાક્ટ્સના સીધા લાભાર્થી બી. નાગેન્દ્ર હતા. આ ઉપરાંત, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે નાગેન્દ્ર સામે CBI પ્રોસિક્યુશન માટે મંજૂરી આપી દેતાં મંત્રી અને કોંગ્રેસ સરકાર માટે બચવું અશક્ય બની ગયું હતું.
મુખ્યમંત્રી શિવકુમારે કર્યો બચાવ
બીજી તરફ, મંત્રીનો બચાવ કરવા માટે ખુદ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર મેદાનમાં આવ્યા હતા. નાગેન્દ્રના રાજીનામા બાદ શિવકુમારે તેમને ‘નિર્દોષ’ અને પાર્ટીના ‘વફાદાર કાર્યકર’ ગણાવ્યા હતા. શિવકુમારે દાવો કર્યો હતો કે સરકારે વિપક્ષના દબાણ સામે ઝૂક્યું નથી પરંતુ પક્ષની પ્રતિષ્ઠા ખાતર આ નિર્ણય લેવાયો છે.
VIDEO | Bengaluru: On Karnataka minister Nagendra's resignation, Chief Minister DK Shivakumar says, "… He is deeply hurt because he is innocent. I had personally looked into the matter. I had examined all the reports and discussed it with everyone. The way the BJP has treated a… pic.twitter.com/CvpZUzRLdz
— Press Trust of India (@PTI_News) August 28, 2026
નાગેન્દ્રના વિરોધને લઈને વિપક્ષે ગૃહ ઠપ કરી દીધું હતું. એટલું જ નહીં, વિપક્ષી દળોએ નાગેન્દ્રના રાજીનામાની માંગ સાથે 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન રાયચુરથી બલ્લારી સુધી 170 કિલોમીટરની 10 દિવસીય પાદયાત્રા કરવાની જાહેરાત કરી દીધી હતી. આ પાદયાત્રાના કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં રાજકીય નુકસાન થવાની ભીતિથી આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે નાગેન્દ્રનું રાજીનામું લીધું છે.

