બદ્રીનાથ મંદિર દાનમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાયેલા ચેરમેનના PAની SITએ દહેરાદૂનથી કરી ધરપકડ, કોર્ટમાં રિમાન્ડની કરશે માંગ

ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ભક્તોના દાનમાં ગેરરીતિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિર સમિતિ દ્વારા અગાઉ સસ્પેન્ડ કરાયેલા પ્રમોદ નૌટિયાલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) દહેરાદૂનમાંથી ધરપકડ કરી છે. ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે આરોપીને આજે ગોપેશ્વર કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં SIT તેના પોલીસ રિમાન્ડની માંગ કરશે.

ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર પ્રમોદ નૌટિયાલની શોધખોળ માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન તેનું લોકેશન દહેરાદૂનમાં મળતાં SITની એક ટીમને તાત્કાલિક ત્યાં મોકલવામાં આવી હતી. શનિવારે (12 જુલાઈ) રાત્રે અંદાજે 9:45થી 10:15 વાગ્યાની વચ્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ (BKTC) દાનમાં થયેલી ગેરરીતિના આરોપોને પગલે પોતાના ચેરમેનના પર્સનલ આસિસ્ટન્ટ પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કર્યો હતો. ત્યારબાદ ચમોલી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજ, દાન વ્યવસ્થાની પ્રક્રિયા અને સંબંધિત કર્મચારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રમોદ નૌટિયાલ જાહેરમાં જોવા મળ્યો નહોતો અને SIT તેમની શોધમાં હતી. બીજી તરફ તેણે પોતાના સસ્પેન્શન અને FIRને પડકારતી અરજી ઉત્તરાખંડ હાઇકોર્ટમાં પણ દાખલ કરી હતી, જેની સુનાવણી હજુ બાકી છે.

રાજ્ય સરકારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને તપાસમાં જેમના નામ સામે આવશે તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ જરૂરી કાર્યવાહી કરવા મંદિર સમિતિને સૂચના આપવામાં આવી છે. એટલે તપાસ હવે માત્ર પ્રમોદ નૌટિયાલ સુધી મર્યાદિત નથી રહી.

હાલ SIT પ્રમોદ નૌટિયાલની કસ્ટડી મેળવી દાનમાં થયેલી ગેરરીતિ, તેમાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને દાન વ્યવસ્થામાં કોઈ ગોઠવણબદ્ધ ગેરરીતિ થઈ હતી કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ કરવાની તૈયારીમાં છે.