દિલ્હીમાં હિંદુ યુવકની હત્યા બાદ હોબાળો: આરોપીના ઘર પર હુમલો, ભડકી હિંસા, મર્ડરમાં સામેલ 8ની ધરપકડ

દિલ્હીમાં હોળીના ઉત્સવ દરમિયાન એક હિંદુ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ હત્યા બાદ વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે. વિસ્તારમાં તીવ્ર પ્રતિક્રિયા અને હિંસા ફાટી નીકળી હતી. હાલમાં આ મામલે પોલીસ કાર્યવાહી થઈ રહી છે.

દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઉત્તમ નગરના જેજે કોલોની વિસ્તારમાં 4 માર્ચ, 2026ના રોજ હોળીના ઉત્સવ દરમિયાન બે પડોશી પરિવારો વચ્ચે ઝઘડો થયો. અહેવાલ અનુસાર તરુણ કુમાર નામક હિંદુ યુવકના પરિવારની કોઈ બાળકીએ હોળીના રંગભર્યું પાણીનું ફેંક્યું જે રસ્તા પર પડ્યું અને એક મુસ્લિમ મહિલા પર રંગનું પાણી ઉડ્યું હતું.

જેના કારણે મહિલા ગુસ્સે થઈ અને ગાળાગાળ કરવા લાગી હતી. તરુણના પરિવારે તાત્કાલિક માફી માંગી અને બાબતને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પરિવારના સભ્યો અનુસાર, “અમે માફી માંગી હતી, પરંતુ તેણે ન સાંભળ્યું અને પોતાના સંબંધીઓને બોલાવીને ઝઘડો શરૂ કર્યો હતો.”

આ બાબત શરૂઆતમાં શાંત થઈ ગઈ હોવા છતાં તે જ દિવસે સાંજે લગભગ 10 વાગ્યે તરુણ હોળી રમીને પોતાના મિત્ર સાથે બાઇક પર ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે 15-20 લોકોના ટોળાએ તેને રોકીને ઘેરી લીધો અને લોખંડની રોડ, ઈંટો, પથ્થરો અને અન્ય વસ્તુઓથી તેના પર હુમલો કર્યો હતો.

આ હુમલા બાદ તરુણને ગંભીર ઈજાઓ થઈ, ખાસ કરીને છાતી પર ભારે પથ્થરથી માર મારવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે સવારે તેનું મોત થઈ ગયું હતું. આ હુમલામાં તરુણના પિતા મેમરાજ, કાકા રમેશ અને અન્ય પરિવારજનો પણ ઘાયલ થયા. કુલ 8 લોકોને ઈજા થઈ હોવાનું જણાવાયું છે.

કુલ 8ની ધરપકડ

આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં 1 સગીર સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. તરુણના મોત પછી FIRમાં હત્યાનો આરોપ ઉમેરવામાં આવ્યો હતો. 6 માર્ચ, 2026 સુધીમાં વધુ 4 ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ મુસ્લિમ છે.

વર્તમાનમાં પોલીસ CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાની તપાસ કરી રહી છે. ડીસીપી (દ્વારકા) કુશલ પાલ સિંઘે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી નાના ઝઘડા થતા હતા. બીજી તરફ હિંદુ પરિવારે 12 વર્ષ પહેલાં પણ હોળી પર થયેલા ઝગડાનો આરોપ લગાવ્યો હતો.

પ્રતિક્રિયા અને હિંસા

તરુણના મોતના સમાચાર પછી વિસ્તારમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. 6 માર્ચ, 2026ના રોજ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા હિંદુ સંગઠનોએ અને સ્થાનિક લોકોએ ઉત્તમ નગર ઈસ્ટ મેટ્રો સ્ટેશન પાસે પોલીસ સ્ટેશન બહાર અને હસ્તસાલ કોલોનીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તો બ્લોક કરીને સુત્રોચ્ચાર કર્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલી ભીડે આરોપીના ઘર પર હુમલો કર્યો, ઘરની વસ્તુઓમાં તોડફોડ કરી, ફર્નિચર બહાર ફેંક્યું અને એક કાર તથા બે મોટરસાયકલને આગ લગાવી દીધી હતી.

આનાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્રણ દિવસ સુધી આ તણાવ ચાલી રહ્યો છે. પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને વધારાના જવાનો અને પેરામિલિટરી દળો તહેનાત કર્યા છે. વધુમાં ડ્રોનનો ઉપયોગ કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.