લદાખ, ભારતના ઉત્તર છેડે આવેલો એક શાંત અને નૈસર્ગિક પ્રદેશ, જે તેની બૌદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણીય સંવેદનશીલતા માટે જાણીતો છે, હવે હિંસા અને અશાંતિના સમાચારોના કારણે ચર્ચામાં છે. 24 સપ્ટેમ્બર 2025ના રોજ લેહમાં લદાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો (સ્ટેટહુડ) અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ રક્ષણ આપવાની માગણીએ શરૂ થયેલું પ્રદર્શન હિંસક બન્યું. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયાં, 80થી વધુ લોકો ઘાયલ થયા. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ફૂંકી મારવામાં આવ્યું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની (CRPF) વાન સહિત અનેક વાહનોમાં આગ લગાડવામાં આવી.
ઘટનાના કેન્દ્રસ્થાને એક વ્યક્તિ છે: સોનમ વાંગચુક. એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતા વાંગચુક 14 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમના સમર્થનમાં પછીથી અન્ય અમુક યુવા સંગઠનોએ પ્રદર્શનનું આયોજન કર્યું અને આ જ પ્રદર્શન હિંસક બન્યું. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જે માંગણીઓ પર સરકાર પહેલેથી જ લદાખના લોકો સાથે સતત વાટાઘાટો કરી રહી છે તે માંગણીઓને કેન્દ્રમાં રાખીને વાંગચુકે આંદોલન શરૂ કરી દીધું હતું. સરકારે આ હિંસા માટે, લેહની વર્તમાન સ્થિતિ માટે સીધી રીતે વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે.
આ આખી ઘટના શું છે, ક્યારે-શું બન્યું, પૃષ્ઠભૂમિ શું છે– આ બધું વિગતે સમજીએ.
હિંસાની ઘટના: શું થયું?
24 સપ્ટેમ્બર 2025ના રોજ લેહમાં લદાખ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા આયોજિત બંધ અને વિરોધ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. હિંસામાં ચારનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. 80થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ટોળાએ સુરક્ષાકર્મીઓ પર કરેલા હુમલામાં 40થી વધુ પોલીસ અને CRPFના જવાનોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાંથી 5 વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
#WATCH | Ladakh: Aftermath of the violence that occurred in Leh yesterday. Vehicles were vandalised and torched on the streets of the city. The BJP Office was also vandalised. Prohibitions under Section 163 of BNSS imposed in Leh, the assembly of five or more persons is banned. pic.twitter.com/AxxuYs4qOK
— ANI (@ANI) September 25, 2025
ઉત્પાતી ટોળાએ ભાજપના લેહ સ્થિત કાર્યાલયમાં પણ આગ લગાડી દીધી હતી. આ સિવાય CRPFની એક વાન, પોલીસની બે વાન અને અન્ય ખાનગી વાહનોમાં પણ આગચંપી કરવામાં આવી. આ ઉપરાંત ટોળાએ લેહ ઑટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના (LAHDC) કાર્યાલય પર પણ હુમલો કર્યો હતો. પોલીસ અને પેરામિલિટરી ફોર્સ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની કાર અને પોલીસનાં વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો.
આ હિંસાને કારણે લદાખ ફેસ્ટિવલ 2025નો છેલ્લો દિવસ રદ કરવામાં આવ્યો છે અને લેહમાં ઇન્ટરનેટ સેવાઓ પર 24 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લેહ વહીવટી તંત્રે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધક આદેશ જારી કર્યો છે. જે અંતર્ગત 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર, અનધિકૃત માર્ચ કે રેલીઓ અને શાંતિ ભંગ કરનારાં ઉશ્કેરણીજનક નિવેદનો પર રોક લગાવવામાં આવી છે.
સુરક્ષાબળોની કાર્યવાહી અને કર્ફ્યુ
હિંસા ફેલાતાં સુરક્ષાબળોએ તાત્કાલિક પગલાં લીધાં હતાં. પોલીસ અને CRPFએ પહેલાં ટિયરગેસના શેલ છોડીને લાઠીચાર્જ કર્યો પરંતુ તોફાનીઓ શાંત ન થયા અને દળો પર હુમલો કર્યો હતો. જેના પગલે સુરક્ષા દળોએ આત્મરક્ષા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. આ ગોળીબારમાં જ ચાર વ્યક્તિઓ માર્યા ગયા હતા. 24 સપ્ટેમ્બરે બપોરે 4 વાગ્યા સુધીમાં જોકે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. ત્યારપછી લેહનાં મુખ્ય બજારો, ચોક અને રસ્તાઓ સૂમસામ થઈ ગયાં હતાં.
#WATCH | Ladakh: Main market of Leh wears a deserted look and shops remain closed a day after violence in the city. Prohibitions under Section 163 of BNSS have been imposed in Leh, the assembly of five or more persons is banned. pic.twitter.com/GHH3IMuHDK
— ANI (@ANI) September 25, 2025
પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે લેહમાં કર્ફ્યુ લાગુ કરીને CRPFની વધારાની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાએ શાંતિની અપીલ કરી અને જણાવ્યું કે આ હિંસામાં બાહ્ય તત્વોની ભૂમિકા હોય શકે છે, જે મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. લેહ પોલીસે 20થી વધુ તોફાનીઓની ધરપકડ કરી છે અને કોંગ્રેસના એક સ્થાનિક નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના પર આંદોલનને રાજકીય રંગ આપવાનો આરોપ છે.
હિંસા પાછળની પૃષ્ઠભૂમિ
લદાખમાં આંદોલનની શરૂઆત 10 સપ્ટેમ્બર 2025ના રોજ થઈ, જ્યારે લેહ એપેક્સ બોડીના (LAB) યુવા વિભાગના 15 સભ્યોએ ભૂખ હડતાળ શરૂ કરી હતી. આ ભૂખ હડતાળનું નેતૃત્વ સોનમ વાંગચુકે કર્યું, જે લદાખના ‘પર્યાવરણવાદી’ અને ‘શિક્ષણવિદ’ છે. ભૂખ હડતાળ દરમિયાન 2 વૃદ્ધ સભ્યોની તબિયત બગડી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનાએ ઉશ્કેરાટ ફેલાવ્યો અને LABએ 24 સપ્ટેમ્બરે લેહ બંધની જાહેરાત કરી હતી.
24 સપ્ટેમ્બરે સવારે હજારો લોકો લેહના એનડીએસ મેમોરિયલ ગ્રાઉન્ડ પર એકઠા થયા. અહીં નારાબાજી અને પૂર્ણ રાજ્યના દરજ્જા-છઠ્ઠી અનુસૂચિની માગણીઓ સાથેનાં ભાષણો થયાં.
24 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા આસપાસ કેટલાક યુવાનો મુખ્ય રેલીમાંથી અલગ થઈ ગયા અને લેહના મુખ્ય રસ્તાઓ પર આવી ગયા. તેમણે ‘બીજેપી હાય હાય’ અને ‘લદાખને ન્યાય આપો’ જેવા નારા લગાવવાના શરૂ કર્યા. આ ટોળાએ LAHDC કાર્યાલય પર હુમલો કર્યો અને બીજેપીના કાર્યાલયમાં આગ લગાડી દીધી. જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારપછી સુરક્ષા દળોનાં વાહનો પર અને અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
પરીસ્થિતી વકરી જતાં સોનમ વાંગચુકે તેમની 15 દિવસની ભૂખ હડતાળ તોડીને શાંતિની અપીલ કરી. તેમણે કહ્યું કે હિંસા તેમના શાંતિપૂર્ણ આંદોલનના ઉદ્દેશ્યને નુકસાન પહોંચાડે છે. જોકે વાંગચૂકની અપીલનો કોઈ અર્થ રહેતો નહોતો કારણ કે જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. બીજું, ગ્રાઉન્ડ પર તેમણે સ્થિતિ કાબૂમાં મેળવવાના કોઈ પ્રયાસ ન કર્યા અને એમ્બ્યુલન્સમાં બેસીને પોતાના વતન ભાગી ગયા. આવું કેન્દ્ર સરકારની પ્રેસ રિલીઝમાં સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
જે માંગણીઓ પર સરકાર કરી રહી છે વાટાઘાટો, તેને જ મુદ્દો બનાવીને વાંગચુકે શરૂ કરી દીધું આંદોલન
સોનમ વાંગચુકે LAB સાથે મળીને 10 સપ્ટેમ્બરે ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમની માંગણીઓ એ છે કે 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લદાખને કાશ્મીરમાંથી છુટું પડીને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યું હતું, જેને હવે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ઉપરાંત તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે તેવી પણ એક માંગ લાંબા સમયથી ઉઠી રહી છે. આ અનુસૂચિ હેઠળ ઉત્તર-પૂર્વનાં અમુક રાજ્યોને સામેલ કરવામાં આવ્યાં છે અને જ્યાં અમુક વિશેષાધિકારો આપવામાં આવે છે. ઉદ્દેશ્ય ત્યાં રહેતા આદિવાસી સમુદાયનાં સંસ્કૃતિ, મૂળ ઓળખ, મૂલ્યો વગેરેનું જતન કરવાનો છે.
લદાખમાં અમુક મેગા સોલાર પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક વિસ્તરણ અને ખાણકામનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાંગચુકે ચીનની સરહદે આવેલા ગ્લેશિયર્સ અને ચાંગથાંગના ગ્રાસલેન્ડ્સના રક્ષણની માગણી કરી છે. લદાખના યુવાનોમાં બેરોજગારી અને નોકરીઓમાંથી હટાવવાની ફરિયાદોને વાંગચુકે ‘જનરેશન ઝી’ની નારાજગી તરીકે ઓળખાવી છે.
સરકારની વાતચીતનાં આવી રહ્યાં હતાં સકારાત્મક પરિણામ
2019માં કાશ્મીર-લદાખ છૂટાં પડ્યાં ત્યારે વાંગચુક સહિત સ્થાનિક લોકોએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. પરંતુ પછીથી પૂર્ણ રાજ્યની માંગ ઉઠવા માંડી. તેમાં અનુસૂચિવાળી માંગ ઉમેરાઈ. સંગઠનોમાં લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ મુખ્ય છે. આ જ સંગઠનો સાથે પછીથી કેન્દ્ર સરકારે વાતચીતો શરૂ કરી હતી. જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે લદાખના આ જ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એક હાઇપાવર્ડ કમિટીની રચના કરી હતી, જેનું નેતૃત્વ સ્વયં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય કરી રહ્યા છે.
આ સમિતિ અને સરકાર વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે. જેમાં ઘણી માંગણીઓ અને મુશ્કેલીઓનાં સકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. આ બેઠકોના પરિણામે જ લદાખમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત 45%થી વધારીને 84% કરાયું છે. ઉપરાંત હિલ કાઉન્સિલમાં મહિલાઓ માટે 1/3 રિઝર્વેશન, ભોટી અને પુર્ગી ભાષાઓને અધિકૃત ઘોષિત કરાઈ તથા 1800 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સિવાય સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીતની પ્રક્રિયા ચાલુ જ છે. 25-26 સપ્ટેમ્બર અને 6 ઓક્ટોબરે પણ વધુ બેઠકો થવાની છે જેમાં સ્ટેટહૂડ અને છઠ્ઠી અનુસૂચિ મુદ્દે વધુ ચર્ચાઓ થશે.
સરકારનું કહેવું છે કે આ ચર્ચાઓ પહેલેથી ચાલી જ રહી છે અને સતત બેઠકો થઈ રહી હતી. તેમ છતાં સોનમ વાંગચુકે એ જ માંગણીઓને ફરી મુદ્દો બનાવીને અચાનક ભૂખ હડતાળ શરૂ કરી દીધી. તેમાં તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં. ત્યારબાદ હિંસા ફાટી નીકળી ત્યારે નિયંત્રણ મેળવવાના સ્થાને ભાગી છૂટ્યા. જેથી આ એક્ટિવિસ્ટ પર હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ લદાખની, લદાખના નાગરિકોની સાથે છે અને વાટાઘાટો દ્વારા સકારાત્મક ઉકેલો લાવવાના પક્ષમાં છે.


