પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમાં તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિહજી ગોહિલને યાદ કર્યા હતા અને આત્મનિર્ભરતાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા છે. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે શિપ હોય કે પછી ચિપ હવે ભારતે જાતે જ બનાવવી પડશે.
સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને યાદ કરે છે. મહારાજાએ સરદાર પટેલના મિશન સાથે જોડાઈને ભારતની એકતા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે આગળ કહ્યું કે આજે આવા જ મહાન દેશભક્તોની પ્રેરણાથી ભારતની એકતાને મજબૂત કરવામાં આવી રહી છે.
‘સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા’- પીએમ મોદી
દરમિયાન તેમણે કહ્યું હતું કે મુંબઈમાં ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિકાસના અનેક પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. આજે ભારત વિશ્વબંધુત્વની ભાવનાથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, “દુનિયામાં આપણો કોઈ શત્રુ નથી. જો વાસ્તવમાં આપણો કોઈ શત્રુ છે તો તે છે બીજા દેશો પરની નિર્ભરતા, આ જ આપણો સૌથી મોટો શત્રુ છે. આપણે મળીને ભારતના આ શત્રુને હરવવાનો છે.” વધુમાં તેમણે આત્મનિર્ભર ભારત વિશે વાત કરી હતી અને સ્વદેશી અપનાવવા માટે લોકોને અપીલ કરી હતી.
India's ports are the backbone of our nation's rise as a global maritime powerhouse. Addressing the 'Samudra Se Samriddhi' programme in Bhavnagar. https://t.co/T7k56n99Gd
— Narendra Modi (@narendramodi) September 20, 2025
તેમણે કહ્યું કે, 140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજાના ભરોસે છોડી ન શકાય. તેમણે એક કહેવાત સંભળાવતા કહ્યું કે, 100 દુઃખની એક દવા છે, એ છે આત્મનિર્ભર ભારત. ત્યારબાદ તેમણે કોંગ્રેસ અને તેની ભૂતકાળની સરકારો પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા પછી કોંગ્રેસે દેશના સામર્થ્યની અવગણના કરી અને એટલે જ દેશ એ સફળતા હાંસલ ન કરી શક્યો, જેનો તે હક્કદાર હતો.
તેમણે આગળ કહ્યું કે, “તેના બે મોટા કારણો રહ્યા છે. લાંબા સમય સુધી કોંગ્રેસે દેશને લાયસન્સ રાજમાં ફસાવી રાખ્યું અને જ્યારે ગ્લોબલાઈઝેશનનો સામે આવ્યો ત્યારે માત્ર ઇમ્પોર્ટ પર જ ભાર આપ્યો અને લાખો કરોડોના કૌભાંડો કર્યા. આ નીતિઓએ ભારતની વાસ્તવિક શક્તિને સામે આવતા રોકી દીધી. દેશનું નુકસાન થયું, તેનું સૌથી મોટું ઉદાહરણ શિપિંગ સેક્ટર છે. ભારત સદીઓથી દુનિયાની એક મોટી સમુદ્રી શક્તિ હતું. કોંગ્રેસે શિપિંગ બિલ્ડિંગ પર ભાર આપવાને બદલે વિદેશી જહાજોને ભાડા આપવાનું યોગ્ય સમજ્યું, જેથી શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ ઠપ થઈ ગઈ.”
‘ચિપ હોય કે શિપ ભારતમાં જ બનાવવા પડશે’
તેમણે વધુમાં કહ્યું કે, “હું આજે આંકડા તમારી સામે રાખવા માગું છું. દેશવાસી જાણીને હેરાન થઈ જશે, આજે ભારત વર્ષે 75 બિલિયન ડોલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયા વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે આપે છે. આ રકમ ડિફેન્સ બજેટ જેટલી છે. આપણા પૈસાથી વિદેશોમાં લાખો રોજગારી ઊભી થઈ છે. જો આટલા બધા પૈસાનો એક નાનો હિસ્સો પણ પોતાની શિપિંગ ઈન્ડસ્ટ્રી પર લગાવાયો હોત તો દુનિયા આપણા જહાજનો ઉપયોગ કરતી હોત.”
આગળ તેમણે કહ્યું કે, “આપણને લાખો કરોડ રૂપિયા શિપિંગ સર્વિસ પેટે મળતા હોત અને આપણાં યુવાનોને રોજગાર મળતા હોત. સાથે સાથે ભારતે 2047 સુધીમાં વિકસિત થવું હોય તો આત્મનિર્ભર બનવું જ પડશે. આત્મનિર્ભર બન્યા સિવાય કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ. ચિપ હોય કે શિપ આપણે ભારતમાં જ બનાવવું પડશે. આ જ વિચાર સાથે મેરિટાઇમ સેક્ટર પણ રિફોર્મ કરવા જઈ રહ્યું છે.”


