Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણ'યુદ્ધ એ શાંતિનો માર્ગ નથી, સમાધાન માટે વાતચીત જરૂરી': PM મોદીનો પુતિનને...

    ‘યુદ્ધ એ શાંતિનો માર્ગ નથી, સમાધાન માટે વાતચીત જરૂરી’: PM મોદીનો પુતિનને સંદેશ, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું- તમારા પ્રયાસોનું કરીએ છીએ સન્માન

    શિખર મંત્રણા દરમિયાન PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે, "એક મિત્ર તરીકે મે હંમેશા કહ્યું છે કે, આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાંતિ ખૂબ જરૂરી છે. યુદ્ધના મેદાનમાંથી શાંતિનો માર્ગ નથી નીકળી શકતો. યુદ્ધ સંકટના સમાધાન માટે વાતચીત કરવી ખૂબ જરૂરી છે."

    - Advertisement -

    PM મોદી 2 દિવસીય રશિયાના પ્રવાસ પર ગયા છે. દરમિયાન બીજા દિવસે (9 જુલાઈ) તેમણે મોસ્કોમાં ભારતવંશીઓને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ફર્સ્ટ ડેપ્યુટી PM સાથે રશિયાના શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી. ત્યાં નાઝીઓ સામે લડતા-લડતા સોવિયત સેનાના જવાનો વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો છે. દરમિયાન PM મોદીએ યુક્રેન યુદ્ધ બાબતે પુતિનને સંદેશ પણ આપ્યો છે. પુતિને PM મોદીની પ્રશંસા પણ કરી હતી. પુતિને કહ્યું કે, વડાપ્રધાન મોદી જે રીતે યુક્રેન યુદ્ધ સંકટનો ઉકેલ શોધવા પ્રયાસ કરી રહ્યા છે, તે બદલ રશિયા તેમનું આભારી છે.

    શિખર મંત્રણા દરમિયાન PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે, “એક મિત્ર તરીકે મે હંમેશા કહ્યું છે કે, આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાંતિ ખૂબ જરૂરી છે. પરંતુ હું તે પણ જાણું છું કે, યુદ્ધના મેદાનમાંથી શાંતિનો માર્ગ નથી નીકળી શકતો. બૉમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી. યુદ્ધ સંકટના સમાધાન માટે વાતચીત કરવી ખૂબ જરૂરી છે.” દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, “અમે તમારા તમામ પ્રયાસોનું સન્માન કરીએ છીએ, યુક્રેન યુદ્ધ સંકટના સમાધાન માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો તે માટે અમે આભારી છીએ.”

    PM મોદીએ વધુમાં કહ્યું કે, “યુદ્ધ હોય, સંઘર્ષ હોય કે પછી આતંકવાદી હુમલા હોય..માનવતામાં વિશ્વાસ કરનારો દરેક વ્યક્તિ, જ્યારે જાનહાનિ થાય છે, ત્યારે ખૂબ દુઃખી થાય છે. પરંતુ તેમાં પણ જ્યારે નિર્દોષ બાળકોના મોત થાય છે, નિર્દોષ બાળકોને મરતા જોતાં હોય છે, ત્યારે હ્રદય કંપી ઉઠે છે અને તે દર્દ ખૂબ ભયાનક હોય છે. આ વિષય પર તમારી (પુતિન) સાથે વિસ્તારથી ચર્ચા થઈ છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “મને તે વાતનો સંતોષ છે કે, કાલે આટલા ખુલા મનથી તમે વાતો કરી રહ્યા હતા. કોઈપણ બનાવટ નહોતી. મે જોયું કે, આપણી વાતચીતમાંથી ઘણા રસપ્રદ આઇડિયા પણ નીકળ્યા છે. એક નવો વિચાર હું અનુભવી રહ્યો છું. શાંતિ માટે ભારત શક્ય તમામ પ્રયાસો કરવા માટે તૈયાર છે. તમારો પણ સાનુકૂળ વિચાર જાણીને મને ખૂબ ખુશી થઈ છે. હું તમને અને વિશ્વ સમુદાયને આસ્વસ્થ કરવા માંગુ છું કે, ભારત શાંતિના પક્ષમાં છે અને શાંતિ માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનની વાતો સાંભળીને એક આશા પેદા થઈ છે અને હું તેના માટે તમારો આભાર વ્યક્ત કરું છું.”

    આ સાથે વડાપ્રધાન મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “અમે ચાલીશ વર્ષથી આતંકવાદને સહન કરી રહ્યા છીએ. હું જાણું છું કે, આતંકવાદ કેટલો ભયાનક અને ધૃણાસ્પદ હોય છે. અમે મોસ્કો પરના હુમલાની પીડાને સારી રીતે સમજીએ છીએ. અમે તમામ પ્રકારના આતંકવાદની સખતપણે નિંદા કરીએ છીએ.” આ સિવાય વડાપ્રધાન મોદીએ રશિયા અને ભારતના સંબંધથી દેશ અને વિશ્વમાં આવેલા પરિવર્તન વિશે પણ ચર્ચા કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં