Saturday, September 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશભરમાં લાગુ થયો એન્ટી-પેપર લીક કાયદો, મધ્ય રાત્રિએ સરકારે બહાર પાડી અધિસૂચના:...

    દેશભરમાં લાગુ થયો એન્ટી-પેપર લીક કાયદો, મધ્ય રાત્રિએ સરકારે બહાર પાડી અધિસૂચના: 10 વર્ષની જેલ અને ₹1 કરોડ સુધીના દંડની છે જોગવાઈ

    કાયદાના અમલ પછી જાહેર પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. નકલ અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની જેલ અને આવા સંગઠિત ગુનામાં સંડોવાયેલાને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. સૂચિત કાયદામાં વધુમાં વધુ ₹1 કરોડના દંડની જોગવાઈ છે.

    - Advertisement -

    દેશમાં એન્ટી પેપર લીક કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 લાગુ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે (21 જૂન) અડધી રાત્રે તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે. હાલમાં જ NEET પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક જેવા મુદ્દાઓએ દેશમાં જોર પકડયું હતું. ત્યારબાદ હવે અડધી રાત્રે અધિસૂચના જારી કરીને કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી, 2024માં સંસદે કાયદો પસાર કર્યો હતો.

    પેપર લીકને લઈને આ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલ કાયદો હવે અમલમાં આવી ગયો છે. પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2024 (લોક પરીક્ષા અધિનિયમ, 2024)ના અમલ પછી હવે જાહેર પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. નકલ અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની જેલ અને આવા સંગઠિત ગુનામાં સંડોવાયેલાને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. સૂચિત કાયદામાં વધુમાં વધુ ₹1 કરોડના દંડની જોગવાઈ છે.

    કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “જાહેર પરીક્ષાઓ (અયોગ્ય અર્થ નિવારણ) અધિનિયમ, 2024 (2024 – 1)ની કલમ 1 ની પેટા-કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર જૂન 2024ની 21મી તારીખ નીમે છે, જે તારીખે આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે”

    - Advertisement -

    તમામ પરીક્ષાઓ આવશે કાયદાના દાયરામાં

    કાયદાના દાયરામાં UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓ આવશે. જાહેર પરીક્ષા અધિનિયમ 2024 જણાવે છે કે, “પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી, અનધિકૃત રીતે જાહેર પરીક્ષામાં ઉમેદવારને કોઈપણ રીતે, પ્રત્યક્ષ કે આડકતરી રીતે મદદ કરવી અને કમ્પ્યુટર નેટવર્ક અથવા કોમ્પ્યુટર સંસાધનો અથવા કમ્પ્યુટર સિસ્ટમ સાથે છેડછાડ કરવી, એક વ્યક્તિ, લોકોના જૂથ અથવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ગુનાઓ છે.”

    ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 6 ફેબ્રુઆરીએ લોકસભા અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા દ્વારા જાહેર પરીક્ષા (અયોગ્ય માધ્યમો નિવારણ) અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને તેને કાયદામાં ફેરવી દીધું હતું. NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાના નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ કાયદા પહેલાં કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો.

    નોંધનીય છે કે, મેડિકલમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા NEET પર આ દિવસોમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં, 5 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષામાં એક-બે નહીં પરંતુ 67 બાળકોએ ટોપ કર્યું હતું, જે આશ્ચર્યજનક બાબત છે. સાથે જ કથિત પેપર લીકનો પણ ખુલાસો થયો છે. પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકાર આ કાયદો લાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં