Monday, April 29, 2024
More
    હોમપેજદેશપેપર લીક મામલે કડક મોદી સરકાર: આરોપીઓને 10 વર્ષની જેલ અને ₹1...

    પેપર લીક મામલે કડક મોદી સરકાર: આરોપીઓને 10 વર્ષની જેલ અને ₹1 કરોડના દંડનું પ્રાવધાન, કેન્દ્રએ લોકસભામાં બિલ કર્યું પાસ, રાજ્યસભાની મંજૂરી બાદ બનશે કાયદો

    રાષ્ટ્રપતિએ 31 જાન્યુઆરીએ રજૂ કરેલા અભિભાષણમાં પણ પેપર લીક વિશેની ચિંતા વ્યક્ત કરી હતી. પેપર લીક સંબંધિત આ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, તેમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી અને હસ્તાક્ષર લેવામાં આવશે.

    - Advertisement -

    સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક થતું હોવાનો મામલો ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. રાજસ્થાન જેવા રાજ્યોમાં વારંવાર પેપર લીક થતાં હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોમાં ભારે હતાશા વ્યાપી હતી. જ્યારે હવે કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં થતાં પેપર લીક કૌભાંડ સામે લાલ આંખ કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતીમાં હવે કોઈપણ પ્રકારના કૌભાંડ સામે સખત કાર્યવાહી કરવામાં આવી શકે છે. મોદી સરકારે આવા કૌભાંડ પર સખત કાર્યવાહી હાથ ધરવા માટે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. જે ભારે બહુમતીથી લોકસભામાંથી પસાર થયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે સખત રીતે વ્યવહાર કરવા માટેની જોગવાઈઓ સાથેનું ‘પબ્લિક એક્ઝામિનેશન બિલ 2024’ (લોક પરીક્ષા વિધેયક) લોકસભામાંથી પસાર થયું છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

    કેન્દ્ર સરકારે મંગળવારે (6 ફેબ્રુઆરી) ‘પબ્લિક એક્ઝામિનેશન બિલ 2024’ લોકસભામાં રજૂ કર્યું હતું. જેને લોકસભાના સભ્યોનું સમર્થન મળ્યું છે અને બિલ બહુમતી સાથે પસાર થયું છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં પેપર લીક કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 10 વર્ષની જેલ અને ₹1 કરોડના દંડ જેવા પ્રાવધાન સામેલ કરાયા છે. જો આ બિલ કાયદો બનશે તો પોલીસને કોઈપણ વોરંટ વગર શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર મળશે. આરોપીઓને જામીન પણ મળી શકશે નહીં.

    ‘આ કાયદો પરીક્ષા સિસ્ટમ સાથે છેડછાડ કરનારાઓ વિરુદ્ધ’

    આ બિલ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘે કહ્યું હતું કે, આ કાયદાના દાયરામાં વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, “આ કાયદો પરીક્ષા સિસ્ટમ સાથે છેડછાડ કરનારાઓ વિરુદ્ધ લવાયો છે. આ વિધેયક રાજકારણથી ઉપર છે અને દેશના દીકરા-દીકરીઓના ભવિષ્ય સાથે જોડાયેલ છે.” ગેરરીતિના કારણે પરીક્ષા રદ થાય તો પુનઃ પરીક્ષા માટે સમય મર્યાદા નક્કી કરવાના કેટલાક સભ્યોના સૂચન પર તેમણે કહ્યું કે, “આવા કિસ્સાઓમાં CBI તપાસ અને અન્ય પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવે છે, તેથી સમય મર્યાદા નક્કી કરવી શક્ય નથી, પરંતુ પરીક્ષા સમયસર યોજવા સરકાર તમામ પ્રયાસો કરશે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, UPSC, SSC, રેલવે, બેન્કિંગ, નીટ-મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની તમામ પરીક્ષાઓને આ કાયદાના દાયરામાં મૂકવામાં આવશે. રાષ્ટ્રપતિએ 31 જાન્યુઆરીએ રજૂ કરેલા અભિભાષણમાં પણ પેપર લીક વિશેની ચિંતા વ્યક્ત કરી હતી. પેપર લીક સંબંધિત આ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, તેમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી અને હસ્તાક્ષર લેવામાં આવશે. જે પછી આ બિલને કાયદાનો દરજ્જો મળશે. વર્ષભર મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ કાયદો રાહત સમાન છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં