Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ લેન્ડ જેહાદ: સસ્તામાં જમીન-સંપત્તિ વેચવા મજબૂર 'કાફિરો', ઘરો પર...

    બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ લેન્ડ જેહાદ: સસ્તામાં જમીન-સંપત્તિ વેચવા મજબૂર ‘કાફિરો’, ઘરો પર બળજબરીથી કબજો કરતા ઇસ્લામી કટ્ટરપંથીઓ

    ઇસ્લામિક કટ્ટરપંથીઓએ શૈલકુપા ઉપજિલ્લાના બિજુલિયા ગામમાં એક મંદિરને અપવિત્ર કર્યું હતું અને તેમાં સ્થાપિત દેવપ્રતિમાઓની તોડફોડ કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક હિંદુઓએ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. મંદિર તોડી પાડવાનો આવો જ એક કિસ્સો ઓક્ટોબર 2022માં બન્યો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં હિંસાનો ભોગ બનેલા લઘુમતી હિંદુ સમુદાયના લોકોને ધાર્મિક ઉત્પીડનથી બચવા પલાયન કરવા ફરજ પડી રહી છે. તેઓ પોતાના ઘર અને પ્રોપર્ટી સસ્તા ભાવે વેચીને ભાગવા માટે મજબૂર થઇ રહ્યા છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓ સતત આ હિંદુ પરિવારોને નિશાન બનાવી રહ્યા છે. હિંદુઓની બહેન-દીકરીઓના બળાત્કાર અને હત્યા પણ કરવામાં આવી રહી છે.

    બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીને લઈને કટ્ટરપંથી ખાલિદા ઝિયાને બદલે શેખ હસીનાને સમર્થન આપવા બદલ હિંદુઓ પર હુમલાઓ વધ્યા છે. આ કારણે ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BPP) સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓ અવારનવાર હિંદુઓને નિશાન બનાવે છે. જોકે, PM શેખ હસીનાની પાર્ટી સાથે જોડાયેલા કટ્ટરપંથીઓ પણ હિંદુઓને નિશાન બનાવવામાં પાછળ નથી.

    કાલબેલા ન્યૂઝના એક અહેવાલ મુજબ લઘુમતી હિંદુ સમુદાયને અનેકવાર ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી મળતી ધમકીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘણા હિંદુ પરિવારો દેશના અન્ય ભાગોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તાજેતરમાં ખુલના વિભાગના શૈલકુપા ઉપજિલ્લામાં કટ્ટરપંથીઓએ સત્યેન્દ્રનાથ સાહા નામના એક મૃત હિંદુ વ્યક્તિના નિવાસસ્થાન પર કબજો જમાવીને તે જગ્યાએ ચાર માળની ઇમારત ચણી નાખી હતી.

    - Advertisement -

    શૈલકુપા ઉપજિલ્લાની ‘જુબો લીગ’ના પ્રમુખ શમીમ હુસૈન મુલ્લા અને તેના અબ્બુ સબદર હુસૈન મુલ્લા પર આ હિંદુ પરિવારની સંપત્તિ પર કબજો કરવાનો આરોપ છે. આ ‘જુબો લીગ’ શાસક શેખ હસીનાની આગેવાની હેઠળની બાંગ્લાદેશ અવામી લીગ પાર્ટીની યુવા પાંખ છે. હાલ આ ઉપજિલ્લામાંથી હિંદુઓની હિજરત ચાલુ છે.

    મૃતક સત્યેન્દ્રનાથ સાહાની પુત્રવધૂએ આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે ‘જુબો લીગ’ના નેતાએ બળજબરીથી તેમના ઘર અને કાલી મંદિર પર કબજો જમાવ્યો છે. સ્થાનિક સાંસદ મોહમ્મદ અબ્દુલ હએઈ પાસે ફરિયાદ કરવા છતાં હજુ સુધી આરોપીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હેઈ ઝેનાઇદાહ મત વિસ્તારમાંથી બાંગ્લાદેશ આવામી લીગ પાર્ટીના નેતા છે.

    કાલબેલા ન્યૂઝના જણાવ્યા અનુસાર સત્યેન્દ્રનાથ સાહાનો મામલો એવા લઘુમતી હિંદુ પરિવારોની અગણિત કહાણીઓમાંની એક છે, જેમની સંપત્તિ પર પ્રભાવશાળી મુસ્લિમ નેતાઓએ કબજો જમાવ્યો છે. ‘ભૂમિ જેહાદ’ના સંગઠિત રૂપમાં સામેલ તમામ લોકો રાજનેતા છે. શૈલકુપાના હિંદુ રહેવાસીઓને તેમના ઘર વેચવા વિવશ કરવા માટે ઘરોમાં તોડફોડ કરીને તેમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે બાંગ્લાદેશમાં હિંસાનો ભોગ બનેલા હિંદુ પલાયન કરવા મજબૂર બન્યા છે.

    બીવડાવવા માટે મૂર્તિઓ તોડી અને મંદિરોને અપવિત્ર કર્યા

    સોમવારે (6 નવેમ્બર, 2023) ઇસ્લામિક કટ્ટરપંથીઓએ શૈલકુપા ઉપજિલ્લાના બિજુલિયા ગામમાં એક મંદિરને અપવિત્ર કર્યું હતું અને તેમાં સ્થાપિત દેવપ્રતિમાઓની તોડફોડ કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક હિંદુઓએ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. મંદિર તોડી પાડવાનો આવો જ એક કિસ્સો ઓક્ટોબર 2022માં પણ બન્યો હતો.

    આવામી લીગ સાથે સંલગ્ન છાત્ર લીગના નેતાની દેખરેખમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એક સ્થાનિક હિંદુ મહિલાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે તેઓએ દેવી કાલીની મૂર્તિ તોડી નાખી હતી અને દેવતાનું મસ્તક તોડીને ફેંકી દીધું હતું . દેશમાં ચૂંટણી થવાની છે. હું આશા રાખું છું કે આ વખતે આવી ઘટનાઓ ફરીથી ન બને. મને આશા છે કે અમે અહીં શાંતિથી રહી શકીએ.”

    હિંદુઓએ બાંગ્લાદેશ આવામી લીગ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી

    આ વર્ષે એપ્રિલમાં શૈલકુપામાં પૂજા સમિતિએ બાંગ્લાદેશ અવામી લીગને વિનંતી કરી હતી કે તેઓ હિંદુ સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલા અત્યાચારો પર નિષ્ક્રિયતા માટે મોહમ્મદ અબ્દુલ હેઈને ચૂંટણીની ટિકિટ ન આપે. હવે સ્થાનિક હિંદુ નેતાઓએ શેખ હસીનાને વિનંતી કરી છે કે મંદિરોને અપવિત્ર કરવા, મકાનો સળગાવવા વગેરેમાં સામેલ લોકોને ટિકિટ ન આપવામાં આવે.

    કાલબેલા ન્યૂઝના જણાવ્યા અનુસાર શૈલકુપા ઉપજિલ્લામાં હિંદુઓને છેલ્લા દોઢ દાયકાથી આ વિસ્તારમાંથી ભાગી જવા માટે શક્તિશાળી ઇસ્લામિક કટ્ટરપંથીઓની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ રીતે 13 ઓક્ટોબર 2023ના રોજ કોમિલાનગરમાં હિંદુ સમુદાય હિંદુઓ પર થયેલા હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો. આ દરમિયાન પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી ઘણાને ઈજાઓ પહોંચી હતી.

    છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા વધ્યા છે. ખાલિદા ઝિયાની પાર્ટી હોય કે શેખ હસીનાની, હિંદુ સમુદાય દરેકની પાર્ટીના કટ્ટરપંથી નેતાઓનું સરળ નિશાન હોય છે. હિંદુ તહેવારોમાં તેમના પર હુમલો કરવામાં આવે છે. ઘરની મહિલાઓને અપમાનિત કરીને તેમનું અપહરણ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં તેમની હત્યા કરવામાં આવે છે. પૂજા સ્થાનોને અપવિત્ર કરવા એ જાણે કે તે રોજિંદી બાબત બની ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં