પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ (Murshidabad Violence) જિલ્લાના સમસેરગંજમાં 11-12 એપ્રિલ, 2025ના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં માર્યા ગયેલા હરગોબિંદ દાસ (Hargobind Das) અને તેમના પુત્ર ચંદન દાસના પરિવારે રાજ્ય પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોલીસ પર ધાક-ધમકી અને ગાળાગાળી કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે દાવો કર્યો છે કે તેઓ છેલ્લા એક સપ્તાહથી કોલકાતાના સોલ્ટ લેકમાં ભાજપના કાર્યકરના નિવાસસ્થાને રહેતા હતા.
4 મે, 2025ના રોજ બિધાનનગર સિટી પોલીસે જબરજસ્તી દરવાજા તોડીને ભાજપ કાર્યકર્તાના ઘરે પ્રવેશ કર્યો, ગાળાગાળી કરી, મિલકતને નુકસાન પહોંચાડ્યું અને ધમકીઓ આપી હતી. આ ઘટનાથી આઘાતમાં આવેલા પરિવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના, કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગ્નનમ અને પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોસને પત્ર લખીને સુરક્ષા, CBI તપાસ અને ન્યાયની માંગણી કરી છે.
આ મામલે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ X પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે એ પત્રના ફોટા પણ શેર કર્યા હતા જે પીડિત પરિવારે લખ્યો હતો. આ પોસ્ટમાં સુવેંદુ અધિકારીએ લખ્યું હતું કે, “મુર્શિદાબાદના જાફરાબાદ, સમશેરગંજમાં સ્વ. હરગોવિંદ દાસ અને સ્વ. ચંદન દાસના દુ:ખદ મૃત્યુ પશ્ચિમ બંગાળમાં આપણા સનાતની સમુદાયની સુરક્ષાની કથળેલી સ્થિતિની યાદ અપાવે છે.”
The tragic deaths of Late Haragobinda Das and Late Chandan Das in Jafarabad, Samsherganj, Murshidabad, are a heartbreaking reminder of the fragile safety of our Sanatani community in WB.
— Suvendu Adhikari (@SuvenduWB) May 4, 2025
The WB Government, under Mamata Banerjee, must be held accountable for failing to ensure the… pic.twitter.com/YwRNI7hnD9
તેમણે મમતા બેનર્જીને ટાર્ગેટ કરતા લખ્યું હતું કે, “મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે પસંદગીપૂર્વક નિશાન બનેલા નાગરિકોની સલામતી અને ગૌરવ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદારી લેવી જોઈએ.” તેમણે લખ્યું હતું કે, “મમતા બેનર્જી સરકારે શરમથી માથું ઝૂકાવવું જોઈએ. તેના બદલે, તેઓ શું કરે છે! તેઓ પીડિતોના પરિવારના સભ્યોને વધુ હેરાન કરે છે.”
તેમણે લખ્યું હતું કે, “પરિવારનો વિશ્વાસ બળ કે દમનથી મેળવી શકાતો નથી, પરંતુ જવાબદારી અને સહાનુભૂતિ દ્વારા મેળવી શકાય છે. પશ્ચિમ બંગાળના લોકો આનાથી વધુ સારા વર્તનને લાયક છે, તેઓ એવી સરકારને લાયક છે જે કાયદાનું શાસન જાળવી રાખે છે અને શાંતિને પ્રોત્સાહન આપે છે, એવી સરકારને નહીં જે વિભાજન કે અવિશ્વાસને પ્રોત્સાહન આપે છે.”
નોંધનીય છે કે હર ગોબિંદદાસના પરિવારની મહિલા સભ્યો, પારુલ દાસ અને પિંકી દાસે રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું, “પોલીસે ચીસો પાડી, ગાળાગાળી કરી અને ધમકીઓ આપી. અમે દરવાજો ન ખોલવાનું કહ્યું, પરંતુ તેમણે ગુસ્સામાં દરવાજા તોડી નાખ્યા અને ઘરમાં ઘૂસી આવ્યા. આ વર્તનથી અમે આઘાતમાં છીએ અને ભયભીત થયા છીએ.”
તેમણે ઈન્સ્પેક્ટર-ઈન-ચાર્જ શંકર નારાયણ સાહા, બિધાનનગર નોર્થ પોલીસ સ્ટેશનના એસઆઈ શેખ નૌશાદ, એસઆઈ રાજીવ ચૌધરી અને અન્ય અધિકારીઓ પર સત્તાનો દુરુપયોગ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો. જોકે, પોલીસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ કાર્યકર્તા પીડિત પરિવાર પર દબાણ ઉભું કરીને તેમના ઘરે લઈ આવ્યા છે. પરંતુ પરિવારે કહ્યું કે, તેઓ પોતાની મરજીથી સોલ્ટ લેકમાં ભાજપ કાર્યકર્તાના ઘરે રહેવા આવ્યા હતા કોઈના દબાણ હેઠળ નહીં, જેની પુષ્ટિ તેમણે પોલીસ સમક્ષ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના
મુર્શિદાબાદના ધુલિયન, સમસેરગંજ, સુતી અને જંગીપુર વિસ્તારોમાં વક્ફ (સુધારા) અધિનિયમ, 2024ના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શનો હિંદુ વિરોધી હિંસામાં ફેરવાયા હતા. આ ઘટનામાં હરગોબિંદ દાસ, ચંદન દાસ અને એક અન્ય વ્યક્તિ સહિત ત્રણ લોકો માર્યા ગયા, જ્યારે સેંકડો લોકો બેઘર થયા.
હિંસા દરમિયાન હિંદુઓના ઘરો, દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે 60 એફઆઈઆર નોંધી અને 307 લોકોની ધરપકડ કરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારો માટે ₹10 લાખનું વળતર જાહેર કર્યું, પરંતુ દાસ પરિવારે તે સ્વીકારવાનો ઈનકાર કર્યો અને ન્યાયની માંગણી કરી હતી.