Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું મુસ્લિમ છું, તને ખબર છે હું કંઈ પણ કરી શકું છું’:...

    ‘હું મુસ્લિમ છું, તને ખબર છે હું કંઈ પણ કરી શકું છું’: વડોદરાના મહંમદ હુસૈન શેખે હિંદુ પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચર્યું, દરગાહ પર લઇ જઈને ધર્માંતરણના પ્રયાસ કર્યાનો આરોપ

    ગત 23 એપ્રિલે મહિલાનો પતિ ઘરમાં ન હોવાનું જાણતાં મહંમદ તેના ઘરે ધસી ગયો હતો અને રાત્રે 2 વાગ્યે જઈને દુષ્કર્મ આચર્યું હતું અને ફરીથી કોઈને કહેવા પર તેનાં સંતાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    - Advertisement -

    વડોદરા શહેરમાં એક હિંદુ પરિણીતાએ એક મુસ્લિમ યુવક સામે અડધી રાત્રે ઘરમાં ઘૂસીને પુત્રને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીની ઓળખ મહંમદ હુસૈન શેખ તરીકે થઇ છે. દુષ્કર્મ ઉપરાંત તેની ઉપર મહિલાને દરગાહ પર લઇ જઈને દાગીના ઉતરાવીને તાવીજ પહેરાવી ધર્માંતરણ કરાવવા માટેના પ્રયાસો કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, મહિલાની પાડોશમાં જ રહેતો મહંમદ હુસૈન તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને આવતાં-જતાં તેનો પીછો કરતો હતો. તેણે એક નાના બાળક મારફતે ચિઠ્ઠીમાં પોતાનો નંબર પણ મોકલ્યો હતો પરંતુ મહિલાએ મચક ન આપતાં એક દિવસે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ધમકી આપીને બળાત્કાર કર્યો હતો. તેના થોડા દિવસ બાદ તે મહિલાને ધમકાવીને દરગાહ પણ લઇ ગયો હતો અને ત્યાં તાવીજ પહેરાવીને ગુલાબી પાણી પણ પીવડાવ્યું હતું. 

    મામલાની વધુ વિગતો અનુસાર, આ મામલો વડોદરાના નવાપુરા વિસ્તારનો છે. અહીં અન્સારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસૈન પાડોશમાં રહેતી એક પરિણીતાના પ્રેમમાં પાગલ હતો અને જ્યારે તે ઘરની બહાર નીકળતી ત્યારે તેનો પીછો કરતો હતો. તેણે એક ચિઠ્ઠીમાં પોતાનો નંબર લખીને નાના બાળક મારફતે મહિલાને મોકલીને ફોન કરવા માટે કહ્યું હતું. પરંતુ તેમ છતાં મહિલાએ કોઈ દાદ ન આપતાં એક દિવસ તેને રસ્તે રોકીને ‘ફોન નહીં કરે તો તારા પુત્રને મારી નાંખીશ’ તેમ કહીને ધમકી આપી હતી. 

    - Advertisement -

    ધમકીથી ગભરાઈ ગયેલી મહિલાએ પછીથી મહંમદને ફોન કર્યો હતો. ત્યારબાદ આરોપીએ મળવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ફોન કરીને મહિલાને મળવા આવવા માટે કહેતો હતો અને જો તે આનાકાની કરે તો પુત્રને મારી નાંખવાની ધમકી આપતો હતો. ફરિયાદ અનુસાર, ગત 23 એપ્રિલે મહિલાનો પતિ ઘરમાં ન હોવાનું જાણતાં મહંમદ તેના ઘરે ધસી ગયો હતો અને રાત્રે 2 વાગ્યે જઈને દુષ્કર્મ આચર્યું હતું અને ફરીથી કોઈને કહેવા પર તેનાં સંતાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત, તેણે પીડિતાને એસિડ અટેકની પણ ધમકી આપી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    દુષ્કર્મ આચર્યાની ઘટનાના 20 દિવસ બાદ મહંમદ પરિણીતાને ધમકાવીને બાઈક પર બેસાડીને વડોદરા નજીક એક દરગાહ પર લઇ ગયો હતો અને ત્યાં પીડિતાને વિશ્વાસમાં લઈને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને ચાંદીના ઝાંઝર ઉતરાવીને એક તાવીજ પહેરાવ્યું હતું તેમજ ગુલાબનું પાણી પણ પીવડાવ્યું હતું. આમ કરીને તેણે ધર્માંતરણ કરાવવા માટેના પ્રયાસ કર્યા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ આ ધર્માંતરણનો એન્ગલ નકારી રહી છે. પછીથી આ દાગીના મહંમદે વેચી દીધા હતા, પરંતુ કેસની તપાસ દરમિયાન પોલીસે તેને કબ્જે લઇ લીધાં હતાં. 

    હું મુસ્લિમ છું, કંઈ પણ કરી શકું છું ‘

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં નવાપુરા પોલીસ મથકના પીઆઈ એચ. એલ આહિરને ટાંકીને જણાવવામાં આવ્યું કે, પરિણીત હિંદુ મહિલાએ પોલીસને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહંમદ હુસૈન શેખ તેને ધમકી આપતો હતો કે, “હું મુસ્લિમ છું અને હું શું કરી શકું એ તને ખબર છે. તને અને તારા છોકરાને પતાવી દઈશ.” 

    મહિલાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપી સામે 376, 354(A) (D), 323, 506(2), 406 અને 452 હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં