Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પાડોશીના ઘરે વારસદાર શોધે છે નીતીશ કુમાર': અલગ પાર્ટી ઉભી કરવાની ઘોષણા...

    ‘પાડોશીના ઘરે વારસદાર શોધે છે નીતીશ કુમાર’: અલગ પાર્ટી ઉભી કરવાની ઘોષણા સાથે ઉપેન્દ્ર કુશવાહાએ JDU છોડી

    આજે નીતિશ કુમાર જે દિશામાં જઈ રહ્યા છે તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમની પાર્ટી અને બિહારના લોકો માટે પણ ખૂબ જ ખરાબ છે: ઉપેન્દ્ર કુશવાહા

    - Advertisement -

    બિહારના  મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડના (JDU) નેતા ઉપેન્દ્ર કુશવાહાએ પાર્ટી છોડી દીધી છે. આજે (20 ફેબ્રુઆરી 2023) તેમણે પટનામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને એટલું જ નહીં પરંતુ નવી પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી હતી. 

    JDU છોડીને અલગ રાજકીય રસ્તો પસંદ કરનાર ઉપેન્દ્ર કુશવાહા જતાં-જતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પાણીએ જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “નીતીશ સાથે શરૂઆત સારી રહી, પરંતુ અંત ખૂબ ખરાબ રહ્યો. જમીન વેચીને આપણે ધનવાન ન બની શકીએ. નીતિશજી જે માર્ગને અનુસરી રહ્યા છે તે પક્ષ માટે સારો નથી. તેઓ પાડોશીના ઘરે પોતાનો વારસદાર શોધી રહ્યા છે.”

    ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે 2005ની જીતથી નીતિશ કુમારને કર્પૂરી ઠાકુરના વારસાની જવાબદારી મળી, તેમણે પોતાના શાસનકાળ દરમિયાન તે વારસાને ખૂબ સારી રીતે આગળ વધારવાનું કામ કર્યું- બિહારને ભયાનક સ્થિતિમાંથી બહાર કાઢ્યું અને લોકોમાં શાંતિ સ્થાપિત થઈ, વિકાસ થયો. તેમણે આ કામ માટે નીતિશની પ્રશંસા કરી, પરંતુ ‘અંત ભલા, તો સબ ભલા’ એ કહેવતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અંત જ ખરાબ થઈ ગયો છે.

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું હતું કે આજે નીતિશ કુમાર જે દિશામાં જઈ રહ્યા છે તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમની પાર્ટી અને બિહારના લોકો માટે પણ ખૂબ જ ખરાબ છે. કુશવાહાએ 2020ની વિધાનસભાની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેઓ નીતીશની સાથે ઉભા હતા હતા. તેમણે કહ્યું કે જનતાનો આદેશ હતો કે જો આપણે ભાગલા પાડતા રહીશું તો બિહારમાં જૂની સ્થિતિ પાછી આવી જશે. કુશવાહાના જણાવ્યા અનુસાર તેમણે નીતિશના એક અવાજે તમામ બાબતોનો ત્યાગ આપીને તેમનો સાથ આપ્યો હતો.

    પોતાની અલગ પાર્ટીની ઘોષણા

    જેડી(યુ) અને એમએલસીના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં ઉપેન્દ્ર કુશવાહાએ ‘રાષ્ટ્રીય લોક જનતા દળ (આરએલજેડી)’ નામની નવી પાર્ટીની રચનાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, તેજસ્વી યાદવ હાલ બિહારના અસલી સીએમ છે અને નીતિશ ડેપ્યુટી સીએમ બનીને રહી ગયા છે. આ દરમિયાન ‘નીતિશ કુમાર ચોર હૈ’ના નારા પણ લાગ્યા હતા, પરંતુ ઉપેન્દ્ર કુશવાહાએ ઠપકો આપીને લોકોને ચૂપ કરાવી દીધા હતા.

    નોંધનીય છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી ઉપેન્દ્ર કુશવાહા અને તેમની પાર્ટી વચ્ચે તિરાડ પડી હતી. જેડી(યુ)એ જ્યારથી એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થઈને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારથી કુશવાહા પાર્ટી અને નીતિશ કુમાર વિરુદ્ધ બંડ પોકારતા રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીના અન્ય નેતાઓ પણ કુશવાહા પર સતત હુમલો કરી રહ્યા હતા. ઘણા લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ટૂંક સમયમાં જ પાર્ટીને અલવિદા કહી શકે છે અને અંતે તે જ બન્યું. જો કે બિહારના ઇતિહાસમાં છેલ્લા 18 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે કુશવાહાએ નીતિશનો સાથ છોડયો હોય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં