કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઇન્ટરપોલની (INTERPOL) તર્જ પર CBIએ (Central Bureau of Investigation) બનાવેલા ‘ભારતપોલ’ પોર્ટલને (BHARATPOL) લૉન્ચ (launch) કર્યું છે. આ નવું પોર્ટલ તમામ તપાસ એજન્સીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત અન્ય દેશો સાથે સંકળાયેલા ગુનાઓની બાબતમાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. ભારતમાં ગુનો આચરીને વિદેશ ભાગી જનારા ગુનેગારોને પણ પોર્ટલ દ્વારા ભારતમાં લાવવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે. વિદેશમાં છૂપાયેલા મોસ્ટ વોન્ટેડ અપરાધીઓ પર સકંજો કસવા માટે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે.
#WATCH | Delhi | Union Home Minister and Minister of Cooperation, Amit Shah launches the BHARATPOL portal developed by the Central Bureau of Investigation (CBI).
— ANI (@ANI) January 7, 2025
This portal will streamline all requests for international assistance through INTERPOL, including the issuance of Red… pic.twitter.com/GkKYqG85pI
મંગળવારે (7 જાન્યુઆરી) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘ભારતપોલ’ પોર્ટલ લૉન્ચ કર્યું છે. આ પોર્ટલથી રાજ્યોની પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય પોલીસની મદદ માટે માહિતીના આદાન-પ્રદાનની સુવિધાઓ આપવામાં આવશે. આ પોર્ટલમાં તમામ રાજ્યોની પોલીસ અને કાયદાકીય તપાસ એજન્સીઓને સામેલ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા કોઈપણ આતંકવાદી ઘટના, સનસનીખેજ ગુનો અને સાયબાર ક્રાઇમ જેવા અનેક ગુનાઓના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર સુધી પહોંચવું ખૂબ સરળ થઈ પડશે.
‘ઇન્વેસ્ટિગેશનને નવા યુગમાં લઈ જવાની શરૂઆત’- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘ભારતપોલ’ પોર્ટલને લૉન્ચ કર્યા બાદ સંબોધન પણ કર્યું હતું. તેમણે CBIના અધિકારીઓને અભિવાદન આપ્યું હતું કે, તેમણે ભારતપોલ પોર્ટલને બનાવીને દેશની ખૂબ સારી સેવા કરી છે. તેમણે કહ્યું કે, “‘આજે આપણે ભારતપોલનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતપોલ આપણાં દેશના ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશનને એક નવા યુગમાં લઈ જવાની શરૂઆત છે. હમણાં સુધી ઇન્ટરપોલ સાથે કામ કરવા માટે એક જ એજન્સી સત્તા ધરાવતી હતી અને તે હતી CBI. પરંતુ, ભારતપોલની સંરચના થવા સાથે ભારતની દરેક એજન્સી અને દરેક રાજ્યની પોલીસ ઇન્ટરપોલ સાથે કનેક્ટ થઈ શકશે અને તપાસની ગતિમાં પણ ખૂબ વધારો થશે.”
આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, “આ પોલની મદદથી દેશની એજન્સીઓ દુનિયાના તમામ ગુનાઓનું વિશ્લેષણ કરી શકશે અને તે બાદ તેવા ગુનાઓ રોકવા માટે ભારતમાં ગુનો આચર્યા પહેલાં જ તેને ડામવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આવનારા સમયમાં આપણાં દેશની ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને નવા યુગમાં લઈ જવાની આ પહેલ છે. હું CBI અને વિશેષ રીતે CBIના ડાયરેક્ટરએ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.”
આ ઉપરાંત તેમણે કહ્યું કે, “આપણે હમણાં અમૃત યુગમાં છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે જ્યારે સ્વતંત્રતાના 100માં વર્ષમાં પ્રવેશ કરીશું, એટલે કે શતાબ્દી મનાવીશું, ત્યારે 2047માં ભારત દરેક ક્ષેત્રમાં પ્રથમ હશે અને આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા હશું. આ સંકલ્પ આપણે સિદ્ધ કરવો છે તો તેના ઘણા પડાવ પણ છે. સરકારની યોજના છે કે, 2027 સુધીમાં દેશ વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા માટે કામ કરશે અને 2027થી દેશને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવશે. જેમાં એક પડાવ તરીકે ભારતપોલ ખૂબ મહત્વનું હતું. હવે વિદેશ ભાગી ગયેલા કે ભાગનારા ગુનેગારોને પકડવા માટેનો સમય આવી ગયો છે.”