ભારતીય સેનાએ પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાં પર ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) લૉન્ચ કરીને હવાઈ હુમલા કર્યાના થોડા જ કલાકોમાં પાકિસ્તાની મીડિયા આઉટલેટ અને સોશિયલ મીડિયા યુઝરોએ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાના શરૂ કરી દીધા હતા. અમુક ભારતીય ફાઈટર જેટ્સને પાકિસ્તાની સૈન્ય દ્વારા તોડી પાડવામાં આવ્યાં હોવાના દાવા કરવામાં આવ્યા. પછીથી ભારતમાં પણ અમુક લેફ્ટ-લિબરલો આ દાવાઓને હવા આપવા માટે કૂદી પડ્યા, જેથી એવું કહી શકાય કે ભારતને કાર્યવાહી કરવી મોંઘી પડી છે. આ જ ક્રમમાં અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ પણ જોડાયું અને સમાચારના નામે દાવો એવો કરી દીધો કે જમ્મુ-કાશ્મીરમાં ભારતનાં ત્રણ ફાઈટર જેટ્સ ક્રેશ થઈ ગયાં છે. પરંતુ સોશિયલ મીડિયા પર નેટિઝન્સે જ્યારે આ સમાચાર ખોટા હોવાનું અને ‘ધ હિન્દુ’ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તસવીરો જૂની હોવાનું ધ્યાન દોર્યું ત્યારે અખબારે વળાંક લેવો પડ્યો અને માફી માંગવી પડી.
બુધવારે (7 મે) વહેલી સવારે ‘ધ હિન્દુ’એ X પર પોસ્ટ કરીને લખ્યું, “તાજા સમાચાર | જમ્મુ અને કાશ્મીરના અખનૂર, રામબન અને પાંપોર વિસ્તારોમાં ઓછામાં ઓછાં ત્રણ ભારતીય જેટ ક્રેશ થયાં છે, એવું એક સરકારી અધિકારીએ ‘ધ હિન્દુ’ને જણાવ્યું.” રિપોર્ટિંગ ડેપ્યુટી એડિટર વિજૈતા સિંઘે કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફેક ન્યૂઝ ફેલાવવામાં, ભ્રામક સમાચારો વહેતા મૂકવામાં વિજૈતાનો ઇતિહાસ ઘણો જૂનો છે.

‘ધ હિન્દુ’એ આ પોસ્ટમાં ચાર તસવીરો પણ ઉમેરી કરી હતી, જેમાં કથિત રીતે ક્રેશ થયેલાં જેટ દર્શાવવામાં આવ્યાં હતાં. તેમણે એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો, જેમાં લખ્યું હતું કે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે બુધવારે જમ્મુ અને કાશ્મીરના અખનૂર, રામબન અને પાંપોર વિસ્તારોમાં ઓછામાં ઓછાં ત્રણ ભારતીય જેટ ક્રેશ થયાં છે. અહેવાલમાં એમ પણ ઉમેરવામાં આવ્યું હતું કે “અધિકારીઓએ હજુ સુધી આ ક્રેશ પાછળનાં ચોક્કસ કારણો જાહેર કર્યાં નથી.”
અહેવાલમાં વપરાયેલી એક તસવીરના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું, “દક્ષિણ કાશ્મીરના પાંપોરમાં 7 મે, 2025ના રોજ ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટના કાટમાળનાં દ્રશ્યો.” બીજી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું, “જમ્મુની બહારના અખનૂર નજીક એક વિમાનના ભંગારમાંથી નીકળતો ધુમાડો ઓલવવા ફાયર ફાઈટર્સ કામે લાગ્યાં, 7 મે, 2025.”
અહીં વાસ્તવિકતા એ છે કે ખરેખર કોઈ જેટ ક્રેશ થયું ન હતું, અને ‘ધ હિન્દુ’નો અહેવાલ સંપૂર્ણપણે પાયાવિહોણો હતો. તેના દ્વારા પ્રકાશિત તસવીરોનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે જે વસ્તુ જમીન પર પડી હતી તે ખરેખર એક એક્સટર્નલ ફ્યૂલ ટેન્ક હતી, ફાઈટર જેટનો કોઈ ભાગ નહીં. ફાઈટર જેટ મોટાં મિશન દરમિયાન આવી એક્સટર્નલ ફ્યૂલ ટેન્કોને પાંખો નીચે રાખીને લઈ જાય છે. ઈંધણ વપરાઈ ગયા બાદ આ ટેન્કોને છોડી દેવામાં આવે છે, જે જમીન પર પડીને તૂટી જાય છે. આને ‘ડ્રોપ ટેન્ક’ કહેવામાં આવે છે, કારણ કે તે હવામાંથી જ્યારે ઉપયોગની જરૂર ન રહે ત્યારે છોડી દેવામાં આવે છે.
We have deleted an earlier post about Indian aircraft involved in Operation Sindoor. There is no such on-record official information from India. We therefore decided to remove the post from our platforms. We regret that it created confusion among our readers.
— The Hindu (@the_hindu) May 7, 2025
એટલે અહીં કોઈ વિમાન ક્રેશ થયાં હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. આ તસવીરો પણ જૂની છે. જે-તે સમયે આ રીતે એક્સટર્નલ ટેન્ક નીચે ડ્રોપ કરવામાં આવી હશે તેનાં આ દ્રશ્યો હતાં. જ્યારે પોલ ખુલી ગઈ તો ‘ધ હિન્દુ’એ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી અને રિપોર્ટ પણ ઉડાવી દીધો.
ત્યારબાદ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે તેમનાથી ભૂલ થઈ હતી અને ખેદ વ્યક્ત કર્યો. અખબારે પોસ્ટમાં લખ્યું કે, ‘ઑપરેશન સિંદૂરમાં સામેલ ભારતીય એરક્રાફ્ટ વિશેની અગાઉની પોસ્ટ હટાવી દેવામાં આવી છે. ભારત તરફથી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. જેથી અમે અમારાં માધ્યમો પરથી પોસ્ટ હટાવી લીધી છે. વાચકોમાં ગેરસમજ ઊભી થઈ તે બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.’
અહીં ધ્યાને લેવા જેવી એક વાત એ પણ છે કે ક્યાંય પણ માફી માંગવામાં આવી નથી અને ઉપરથી શબ્દો એવા પસંદ કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ સંપૂર્ણ ફૉલ્ટમાં હોય એમ લાગે નહીં. ભારત તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી તેનું કારણ એ છે કે કોઈ વિમાન ક્રેશ થયાં જ નથી. પરંતુ અહીં પણ શબ્દરમત કરીને અવળચંડાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.