વર્તમાનમાં ગુજરાતમાં (Gujarat) વિવિધ સ્થળોએ ચણી કાઢેલ ગેરકાયદે અતિક્રમણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જ સુરતમાં (Surat) લંબે હનુમાન રોડ (Lambe Hanuman Road) પર અતિક્રમણ કરી ગેરકાયદે ઉભી કરેલ દરગાહ (Illegal Dargah Demolished) હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષાની કાળજી અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, તથા રાત્રિના સમયે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે સુરતમાં આવેલ લંબે હનુમાન રોડ પર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકાએ આ બીજું ગેરકાયદે માળખું દૂર કર્યું હતું. સોમવાર, 23 ડિસેમ્બરની રાત્રે મહાનગરપાલિકાની (SMC) ટીમ લંબે હનુમાન રોડ ખાતે પહોંચી હતી. રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Illegal Dargah structure removed from Lambe Hanuman Road in Surat in a swift overnight operationhttps://t.co/1eQdXUqfqk
— DeshGujarat (@DeshGujarat) December 24, 2024
દેશ ગુજરાતના અહેવાલ અનુસાર સુરત મહાપાલિકાની ટીમ રાત્રે લગભગ 11 વાગ્યા પછી ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 11 વાગ્યા લંબે હનુમાન રોડ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો જેથી ત્યાં કોઈ પ્રવેશી શકે નહીં. તથા ડિમોલિશનની કામગીરી અડધી રાત પછી શરૂ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર આ દરગાહ ટ્રાફિકને અવરોધે એવી જગ્યાએ ઉભી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સુરતમાં પણ મેટ્રોની (Surat Matro) કામગીરી ચાલી રહી છે ત્યારે આ જગ્યા મેટ્રોને સોંપવાની હતી. આ ડિમોલેશનની કામગીરી દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પગલે કોઈપણ અનધિકૃત ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી અટકાવવા માટે ચુસ્ત દેખરેખ રાખવામાં આવી હતી. તથા આ સ્થળ પર અધિકારીઓ સિવાય કોઈ પ્રવેશી શકે નહીં તેની પણ દેખરેખ રાખવામાં આવી હતી.
કામગીરી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત
આ સિવાય ગુપ્તતા જાળવવા માટે ડિમોલિશન દરમિયાન ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સિવાય દરેકના મોબાઇલ ફોન પર પણ સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્ટ્રક્ચરની મજબૂતાઈને કારણે, ઓપરેશન ઘણા કલાકો સુધી ચાલવાની અપેક્ષા હતી. જોકે કામગીરી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી જગ્યા મેટ્રો સત્તાવાળાઓને તેમના ચાલુ બાંધકામ કામ માટે સોંપવામાં આવશે.
દેશ ગુજરાતના અહેવાલ અનુસાર SMC કમિશનર શાલિની અગ્રવાલે આ અતિક્રમણને દૂર કરવા માટે રાત્રિ દરમિયાન અભિયાન ચલાવ્યું હતું. જે અંતર્ગત રીંગરોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલી દરગાહ અને માતાજીના મંદિર ત્યારપછી વેદ-વરિયાવ પુલ નજીક સ્થિત અન્ય દરગાહને દૂર કરવામાં આવી હતી. ઑપઇન્ડિયાએ વધુ મહિતી મેળવવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઇ શક્યો નથી.
અમદાવાદમાં પણ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી
નોંધનીય છે કે આ અતિક્રમણ દૂર કરવા માટે રાજ્યનું પ્રશાસન ઘણા સમયથી કડક પગલાં લઇ રહ્યું છે. આ જ સંદર્ભમાં થોડાંક સમય પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસની સામે આવેલ સલમાન એવન્યુ બિલ્ડીંગમાં ગેરકાયદે ચણી કઢાયેલ વધારાના માળ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, કોર્ટે પરિસ્થિતિ જેમની તેમ રાખવાનું કહેતાં કામગીરી બંધ કરીને બિલ્ડીંગ યથાવત સ્થિતિમાં છોડી દેવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આતંક મચાવનારા અલ્તાફ અને ફઝલના ઘર પર પણ બુલડોઝરવાળી થઇ હતી.