હોમપેજદેશCJPનો પ્રોપગેન્ડા તમારી ટાઈમલાઈન સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે? સમજો એલ્ગોરિધમનો...

CJPનો પ્રોપગેન્ડા તમારી ટાઈમલાઈન સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે? સમજો એલ્ગોરિધમનો આખો ખેલ

પ્રશ્ન એ છે કે જેમણે ક્યારેય CJPનાં અકાઉન્ટ ફોલૉ ન કર્યાં, આવું કોઈ કન્ટેન્ટ ક્યારેય સર્ચ નથી કર્યું તેમને કેમ વારંવાર આ કન્ટેન્ટ પહોંચાડવામાં આવી રહ્યું છે. તેનો જવાબ મેટાની સિસ્ટમમાં છુપાયેલો છે.

- Advertisement -

છેલ્લા થોડા દિવસોમાં ઘણા સોશિયલ મીડિયા યુઝરોની ફરિયાદ રહી છે કે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સંબંધિત વિડીયો અને પોસ્ટ તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઊભરાઈ રહી છે. આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ CJP કે સંબંધિત અકાઉન્ટ ફોલૉ નથી કરતા. અહીં સુધી કે પોતે રાજનીતિક કન્ટેન્ટ નથી જોતા હોતા.

X પર આવી ચર્ચા ઘણી ચાલી રહી છે અને ઘણા યુઝરોએ ધ્યાન દોર્યું છે. આરોપ એવો પણ છે કે મેટાનાં વિવિધ માધ્યમો પર જાણીજોઈને CJPના નરેટિવને એલ્ગોરિધમની મદદથી આગળ વધારવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પોલીસ અને સરકારવિરોધી કન્ટેન્ટ અસામાન્ય રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે.

પ્રશ્ન એ છે કે જેમણે ક્યારેય CJPનાં અકાઉન્ટ ફોલૉ ન કર્યાં, આવું કોઈ કન્ટેન્ટ ક્યારેય સર્ચ નથી કર્યું તેમને કેમ વારંવાર આ કન્ટેન્ટ પહોંચાડવામાં આવી રહ્યું છે. તેનો જવાબ મેટાની સિસ્ટમમાં છુપાયેલો છે. કારણ કે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ માત્ર એ જ અકાઉન્ટની પોસ્ટ નથી બતાવતાં જેને યુઝરો ફૉલો કરતા હોય. મેટા એ પણ નક્કી કરે છે કે કયા પ્રકારનું રાજનીતિક કન્ટેન્ટ કોના સુધી પહોંચશે અને કયા સંકેતોના આધારે કોઈ યુઝરની ચોક્કસ વિષયમાં રુચિ છે કે નહીં એ નક્કી કરવામાં આવશે.

- Advertisement -

અલ્ગોરિધમની સિસ્ટમમાં કોઈ પોસ્ટને લાઇક કરવી એ એક પ્રત્યક્ષ સંકેત માનવામાં આવે છે. જ્યારે કોઈ વિડીયો પર થોડી સેકન્ડ રોકાઈ જવું, કૉમેન્ટ સેક્શન ખોલવું કે કોઈ અકાઉન્ટની પ્રોફાઇલ પર જવું– વગેરે પણ એલ્ગોરિધમ માટે મહત્ત્વના સંકેતો માનવામાં આવે છે.

આનો અર્થ એ થયો કે યુઝર CJP સમર્થક ન હોય અને કોઈ અકાઉન્ટને ફૉલો ન કરતો હોય તોપણ માત્ર કોઈ પ્રદર્શનના કે ત્યાં થતા ડ્રામાના વિડીયો જોવા માટે રોકાય જાય તો મેટાની સિસ્ટમ તેને સંકેત માનીને પછીથી તેવું જ રાજનીતિક કન્ટેન્ટ પીરસવા માંડે છે.

વર્ષ 2021માં મેટાએ પોતાનાં પ્લેટફોર્મ પર રાજનીતિક કન્ટેન્ટ ઓછું કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ એ આપવામાં આવ્યું કે યુઝરો હવે ફીડ પર રાજનીતિક કન્ટેન્ટ ઓછું જોવા માગે છે. રાજનીતિક પોસ્ટના રેન્કિંગમાં કોમેન્ટ અને શેરને મળતું મહત્ત્વ પણ ઘટાડી દેવામાં આવ્યું હતું. પણ જાન્યુઆરી 2025માં કંપનીએ નીતિ બદલી નાખી અને ઘોષણા કરી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર રાજનીતિક કન્ટેન્ટને વ્યક્તિગત રીતે રિકમેન્ડ કરવામાં આવશે. જેના માટે લાઇક જેવા પ્રત્યક્ષ સંકેતો સાથે પોસ્ટ જોવા જેવા અપ્રત્યક્ષ સંકેતોનો પણ ઉપયોગ થશે. આ ફેરફાર જ એ સમજવા માટે પૂરતો છે કે આખરે CJP સંબંધિત વિડીયો બહુ મોટી સંખ્યામાં લોકો સુધી કેમ પહોંચી રહ્યા છે.

એલ્ગોરિધમ એ નક્કી નહીં કરી શકે કે કોઈ વ્યક્તિ કોઈ વિડીયોનું સમર્થન કરી રહ્યો છે કે કેમ. કોઈ યુઝર કદાચ ગુસ્સામાં કૉમેન્ટ કરે તોપણ એ કૉમેન્ટ જ છે. કોઈ પ્રદર્શનકારીઓની ટીકા કરવા માટે વિડીયો શેર કરે તોપણ એ શેર જ છે. વ્યક્તિ ઘટનાને સમજવા માટે વારંવાર વિડીયો જુએ તોપણ એ વૉચ ટાઇમ જ વધારતો હોય છે. રિકમેન્ડેશન સિસ્ટમ માટે આ તમામ સંકેતો એ વાતનું પ્રમાણ બની જાય છે કે કન્ટેન્ટ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે અને પછીથી એ એ જ રીતે કામ કરે છે.

મેટા હેલ્પ સેન્ટર અનુસાર ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ રિકમેન્ડ થાય છે એ યુઝરની પાછલી ગતિવિધિઓ, તેનાં કનેક્શન, પોસ્ટની જાણકારી, સંબંધિત અકાઉન્ટની લોકપ્રિયતા અને અન્ય લોકોના એન્ગેજમેન્ટના આધારે પસંદ કરવામાં આવે છે. એ જ કારણ છે કે વાયરલ રાજનીતિક કન્ટેન્ટ લોકોએ સ્વયં શોધવું નથી પડતું અને પ્લેટફોર્મ સીધું તેને ફીડ, એક્સપ્લોર અને રીલ્સ સેક્શન સુધી પહોંચાડી દે છે.

2020ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન કરવામાં આવેલા એક અધ્યયનમાં 20.8 કરોડ ફેસબુક યુઝરોનો ડેટા લેવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે યુઝર શું જોશે, કેવા પ્રકારના વિચારોના સંપર્કમાં રહેશે– આ બધું નક્કી કરવામાં એલ્ગોરિધમ ભૂમિકા ભજવતું રહે છે.

એલ્ગોરિધમ સ્વતંત્ર મશીનની જેમ કામ કરતું નથી. મેટા સ્વયં નક્કી કરે છે કે કયા સંકેત મહત્ત્વપૂર્ણ હશે, કૉમેન્ટ-શૅર-વૉચટાઇમ વગેરેને કેટલું મહત્ત્વ આપવામાં આવશે અને કયા પ્રકારનું કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવામાં આવશે. 2022થી 2025 સુધીમાં કંપનીએ રાજનીતિક કન્ટેન્ટ મામલે પોતાની નીતિઓ અનેક વખત બદલી છે.

પહેલાં એન્ગેજમેન્ટ આધારિત રેન્કિંગ ઘટાડવામાં આવ્યું, પછી અનફૉલો કરવામાં આવેલાં અકાઉન્ટ્સમાંથી રાજનીતિક કન્ટેન્ટનું રિકમેન્ડેશન સીમિત કરવામાં આવ્યું, પછીથી ફરી વ્યક્તિગત રીતે રિકમેન્ડેશન શરૂ કરી દેવામાં આવ્યું. જેનાથી સ્પષ્ટ એ થાય છે કે રાજનીતિક કન્ટેન્ટની પહોંચ માત્ર લોકોનાં રસ-રુચિનું પરિણામ નથી હોતી પણ કંપનીના નીતિ-નિર્ણયોની પણ તેની ઉપર મોટી અસર રહે છે.

હિંસા સંબંધિત કન્ટેન્ટ મામલે પણ અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ બાબતો જોવા મળે છે. કોઈ વિડીયોમાં પોલીસ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરતી જોવા મળે તો તેને પોલીસની બર્બરતા અને નાગરિક અધિકારો કે સરકારની કાર્યવાહી (ક્રેકડાઉન) સંદર્ભમાં બતાવવામાં આવે છે. જ્યારે પ્રદર્શનકારી પોલીસ પર હુમલો કરતો જોવા મળે તો આ ફૂટેજ હિંસક કન્ટેન્ટની કેટેગરીમાં નાખી દેવાય છે એટલે રીચ ઘટી જાય છે. જો વિડીયોમાં કોઈ ચરમપંથી સંગઠન દેખાય તો રીચ હજુ ઘટાડી દેવાય છે.

મેટાની નીતિઓ પત્રકારત્વ, ટીકા, નિષ્પક્ષ રિપોર્ટિંગ વગેરેની અનુમતિ આપે છે, પણ ઓટોમેટેડ સિસ્ટમ અને હ્યુમન રિવ્યુઅર પણ ઘણી વખત સંદર્ભ સમજી શકતા હોતા નથી. આનું ઉદાહરણ તાલિબાન સંબંધિત એક ઉર્દૂ સમાચાર રિપોર્ટમાં જોવા મળ્યું હતું, જે મેટાની સિસ્ટમ હટાવી દીધો હતો. બે હ્યૂમન રિવ્યુઅરે પણ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું કહીને ફાઇલ બંધ કરી દીધી હતી. પણ પછીથી ઓવરસાઈટ બોર્ડના હસ્તક્ષેપ પછી મેટાએ કહ્યું કે એ ભૂલ હતી અને પોસ્ટ બહાલ કરી દેવામાં આવે. આ દર્શાવે છે કે સ્થાનિક ભાષાઓમાં સીમિત રિવ્યુઅરો હોવાના કારણે ઘણી વખત ખોટા નિર્ણયો પણ સમય પર સુધારી શકાતા નથી.

મેટાએ પોતે પણ સ્વીકાર્યું છે કે તેની વ્યવસ્થામાં અનેક ખામીઓ છે. કંપનીએ માન્યું હતું કે ડિસેમ્બર 2024માં દરરોજ લાખો કન્ટેન્ટ હટાવવામાં આવ્યાં હતાં અને તેમાં દર દસમાંથી એક-બે એક્શન ખોટી હતી. કંપનીએ એ પણ સ્વીકાર્યું હતું કે થર્ડ-પાર્ટી ફેક્ટચેકિંગના કારણે ઘણી વખત સાચી રાજકીય પોસ્ટ પર પણ ખોટાં લેબલો લગાવી દેવાયાં હતાં અને તેની રીચ ઘટાડી દેવાઈ હતી.

મેટાનાં પ્લેટફોર્મ્સ પર માત્ર એલ્ગોરિધમ નિર્ણય નથી લેતાં. હજારો કન્ટેન્ટ રિવ્યુઅરો, પોલિસી ટીમ, કાનૂની નિષ્ણાતો અને પબ્લિક પોલિસી ઑફિસરો નક્કી કરે છે કે કઈ પોસ્ટ પત્રકારત્વ કહેવાશે, કઈ સટાયર, કઈ ટીકા અને કઈ કોઈ વિચારનું સમર્થન. નિયમ બનાવતી વખતે, અમુક સંગઠનોની યાદી તૈયાર કરતી વખતે, પોસ્ટની સમીક્ષા કરતી વખતે– દરેક સ્તર પર માનવીય હસ્તક્ષેપ હોય છે.

ઑપઇન્ડિયાએ 2020માં જ જણાવ્યું હતું કે કઈ રીતે ફેસબુક પેજની દરરોજની રીચ 20 લાખથી ઘટાડીને 1.71 લાખ સુધી દિમિત કરી દેવામાં આવી હતી. જેમાં કન્ટેન્ટની ક્વોલિટીનો હવાલો અપાયો હતો. દાવો એવો કરવામાં આવ્યો કે AI નક્કી કરે છે કે પોસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં. પણ ઑપઇન્ડિયાના પેજ પરથી જે સામગ્રી હટાવવામાં આવી એ જ અન્ય અનેક વેબસાઈટ પર ઉપલબ્ધ હતી.

આ જ રીતે સપ્ટેમ્બર 2024માં ફેસબુકે ઑપઈન્ડિયા સંબંધિત વિકિપીડિયાનો એક રિપોર્ટ ‘સ્પેમ’ ગણાવીને શૅર કરવા પર રોક લગાવી દીધી હતી. માર્ચ 2026માં બીબીસીનો એક રિપોર્ટ કાઉન્ટર કરતો ઑપઇન્ડિયાનો એક વિડીયો અપલોડ થતાંની સાથે હટાવી દેવામાં આવ્યો હતો.

મેટાના ઓવરસાઈટ બોર્ડની નિષ્પક્ષતા પર પણ પ્રશ્ન ઉઠતા રહ્યા છે. ઑપઇન્ડિયાએ 2020માં જણાવ્યું હતું કે કઈ રીતે બોર્ડના 20માંથી 18 સભ્યો કોઈને કોઈ રીતે જ્યોર્જ સોરોસની ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે જોડાયેલાં સંગઠનો સાથે કામ કરી ચૂક્યા હતા.

ઑગસ્ટ 2024માં મેટા ચીફ માર્ક ઝકરબર્ગે પણ અમેરિકી સંસદને લખેલા એક પત્રમાં સ્વીકાર્યું હતું કે કોવિડ મહામારી દરમ્યાન અમેરિકી સરકારના દબાણ હેઠળ અનેક પોસ્ટ હટાવવામાં આવી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કંપનીએ ત્યારે વિરોધ કરવો જોઈતો હતો.

આ બધું એ સાબિત કરે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર એલ્ગોરિધમ જ નહીં પણ કંપનીની નીતિઓ, મોડરેશન સિસ્ટમ. માણસોએ લીધેલા નિર્ણયો વગેરે એ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે કે કયું રાજનીતિક કન્ટેન્ટ લોકો સુધી પહોંચશે અને કયું નહીં પહોંચે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં