પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ના વિરોધમાં થયેલી હિંદુ વિરોધી હિંસા (Murshidabad Violence) અંગેની તપાસની માંગણી કરતી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે (21 એપ્રિલ, 2025) સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજીકર્તાઓને ઉતાવળમાં અરજી દાખલ કરવા બદલ ફટકાર લગાવી અને વધુ ચકાસણી સાથે નવી અરજી દાખલ કરવા જણાવ્યું હતું. આ કેસમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશ્વર સિંઘની ખંડપીઠે સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓ દ્વારા રજૂ કરાયેલા દાવાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા, જે મુખ્યત્વે મીડિયા અહેવાલો પર આધારિત હતા. ખંડપીઠે અરજીકર્તા એડવોકેટ શશાંક શેખર ઝાને ઉદ્દેશીને કહ્યું, “તમે ખૂબ ઉતાવળમાં લાગો છો. અરજીમાં રજૂ કરાયેલા દાવાઓની યોગ્ય ચકાસણી કરવામાં આવી નથી અને જરૂરી પક્ષકારોને પણ સામેલ કરાયા નથી.” કોર્ટે ઝાને સલાહ આપી કે તેઓ તેમના દાવાઓની યોગ્ય ચકાસણી કરીને નવી અરજી દાખલ કરે. આ ઉપરાંત, કોર્ટે અરજીમાં વપરાયેલી ભાષા પર પણ વાંધો ઉઠાવ્યો અને તેને અયોગ્ય ગણાવી હતી.
मुर्शिदाबाद हिंसा जुड़ी याचिका पर सुनवाई से सुप्रीम कोर्ट का इनकार #SupremeCourt #MurshidabadViolence #ATVideo | @nehabatham03 @sanjoomewati pic.twitter.com/q5kZVEAWhK
— AajTak (@aajtak) April 21, 2025
સુપ્રીમ કોર્ટે અરજીકર્તા શશાંક શેખર ઝાને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી અને તેમને યોગ્ય ચકાસણી સાથે નવી અરજી દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે તાત્કાલિક આદેશો જારી કરવાનો ઇનકાર કર્યો, જેમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તૈનાતીની માંગનો પણ સમાવેશ થાય છે. આ કેસની આગળની સુનાવણી મંગળવારે (22 એપ્રિલ, 2025) નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં અન્ય સંબંધિત અરજીઓ પણ સાંભળવામાં આવશે.
અન્ય એક અરજીમાં, એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કેન્દ્ર સરકારને બંધારણની કલમ 355 અને 356 હેઠળ પશ્ચિમ બંગાળમાં પગલાં લેવાની માંગણી કરી હતી. આના જવાબમાં, જસ્ટિસ ગવઈએ ટિપ્પણી કરી, “અમે પહેલેથી જ વિધાનસભા અને કાર્યપાલિકાના કાર્યોમાં હસ્તક્ષેપના આરોપોનો સામનો કરી રહ્યા છીએ. તમે ઇચ્છો છો કે અમે કેન્દ્રને આદેશ આપીએ?” આ ટિપ્પણી તાજેતરમાં ભાજપના સાંસદો દિનેશ શર્મા અને નિશિકાંત દુબે દ્વારા સુપ્રીમ કોર્ટના વક્ફ કાયદા અને રાજ્યપાલના નિર્ણયો સંબંધિત ચુકાદાઓ પર કરાયેલી ટીકાના સંદર્ભમાં હતી.
અરજીમાં કરાયેલી માંગ
અરજીઓમાં મુર્શિદાબાદમાં 11 અને 12 એપ્રિલ, 2025ના રોજ વક્ફ (સંશોધન) અધિનિયમના વિરોધમાં થયેલી હિંસાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) અથવા નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચનાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં ઉલ્લેખ હતો કે આ હિંસામાં ઘણા લોકો માર્યા ગયા, સેંકડો લોકો બેઘર થયા, અને મિલકતોને નુકસાન થયું.
અરજીકર્તાઓએ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તૈનાતી અને હિંસામાં વિસ્થાપિત લોકોના પુનર્વસનની પણ માંગણી કરી હતી. અન્ય એક અરજીમાં 2022થી એપ્રિલ 2025 સુધીની હિંસા, મહિલાઓ સામેના ગુનાઓ અને મુર્શિદાબાદમાં તાજેતરની ઘટનાઓની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિની માંગ કરવામાં આવી હતી. અરજીમાં રાજ્યમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો હતો.
શું છે સમગ્ર મામલો
મુર્શિદાબાદ મુસ્લિમ બહુમતીવાળો જિલ્લો છે, ત્યાં 11 એપ્રિલ, 2025ના રોજ વક્ફ (સંશોધન) અધિનિયમના વિરોધમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોમાં મોટા પાયે હિંદુ વિરોધી હિંસા કરવામાં આવી હતી. આ હિંસામાં એક પિતા-પુત્રની જોડી સહિત ઘણા હિંદુઓ માર્યા ગયા, અનેક હિંદુઓ ઘાયલ થયા હતા. ઉપરાંત પસંદગીપૂર્વક હિંદુઓની મિલકતો-ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેના પરિણામે સેંકડો લોકો ઘર છોડીને ભાગી ગયા, અને કેટલાકે પડોશી માલદા જિલ્લામાં આશ્રય લીધો. આ મામલે પોલીસે 276થી વધુ લોકોની ધરપકડ કરી અને 100થી વધુ FIR નોંધી હતી.