વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં (Murshidabad) મુસ્લિમ ટોળાંએ મચાવેલા ઉત્પાત અને હિંસા (Violence) બાદ હવે આ ઘટનાક્રમ વિશે એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કટ્ટરપંથીઓએ હિંદુ ઘરોને અગાઉથી જ કાળી સ્યાહીથી ચિહ્નિત કરી રાખ્યાં હતાં, જેની ઉપર પછીથી બૉમ્બ વડે હુમલા કરવામાં આવ્યા અને અમુક ઘરોને આગને હવાલે કરી દેવામાં આવ્યાં.
આ ઘટસ્ફોટ 17 એપ્રિલના રોજ (ગુરુવારે) NMF ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક ગ્રાઉન્ડ રિપોર્ટ થયો છે. જેમાં પત્રકાર પંકજ પ્રસૂન કહી રહ્યા હતા કે, “આ ચિહ્નો એટલા માટે બનાવવામાં આવ્યાં હતાં કે ઉપદ્રવીઓને ખબર પડે કે કયા ઘર પર બૉમ્બ ફેંકવાનો છે અને કયા ઘરને આગ લગાડવાની છે.”
તેમણે આગળ કહ્યું, “હુલ્લડો શરૂ થયાં તે પહેલાં હિંદુઓનાં ઘરોને આ રીતે ચિહ્નિત કરવામાં આવ્યાં હતાં… વિસ્તારના દરેક હિંદુ ઘર પર કાળી સ્યાહીથી ચિહ્ન બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ થયેલી હિંસા દરમિયાન ફક્ત એ જ ઘરો પર હુમલો કરવામાં આવ્યો, બૉમ્બ ફેંકવામાં આવ્યા અને અમુકને આગ ચાંપી દેવામાં આવી હતી.”
પત્રકાર પંકજ પ્રસૂને સ્થાનિક હિંદુઓ સાથે વાત કરી અને અહેવાલ આપ્યો કે હિંસક મુસ્લિમ ટોળાં હિંદુ શેરીઓમાં ઘૂસી ગયાં હતાં અને પહેલાંથી જ ચિહ્નિત કરેલાં ઘરો શોધી કાઢીને પસંદગીપૂર્વક તેમને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
મુર્શિદાબાદમાં હિંદુઓ પર લક્ષિત હુમલા
મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં શુક્રવારે (11 એપ્રિલ) નવા ઘડાયેલા વક્ફ સુધારા કાયદાના વિરોધના નામે હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા, તોડફોડ, આગચંપી અને લક્ષિત હુમલાઓની અનેક ઘટનાઓ બની હતી. જુમ્માની નમાજ પૂર્ણ થયા બાદ મુસ્લિમ ટોળાંએ સુતી અને સમસેરગંજ વિસ્તારોમાં ધમાલ મચાવી હતી. શાંતિપૂર્ણ વિરોધના નામે ઉગ્રવાદીઓએ એક હિંદુ દંપતીની મીઠાઈની દુકાન નષ્ટ કરી અને ત્યારબાદ લૂંટફાટ મચાવી હતી.
દુકાનના માલિકે આંસુ સારતાં તેમની નષ્ટ થઈ ગયેલી મીઠાઈની દુકાન બતાવતાં કહ્યું હતું કે, “અહીં મારી મીઠાઈની દુકાન હતી.” તેમની પત્નીએ જણાવ્યું હતું કે, “તેઓએ અમારી બધી વસ્તુઓ, દુકાનમાં રાખેલા રોકડ સહિત બધું લૂંટી લીધું… હવે કંઈ બચ્યું નથી. અમે હવે શું ખાઈશું?” મુસ્લિમોએ ‘શ્રી હરિ હિંદુ હોટેલ એન્ડ લોજ’ નામની બીજી દુકાનમાં પણ તોડફોડ કરી. ન્યૂઝ એજન્સી ANIએ ઘટનાના દ્રશ્યો શેર કર્યાં હતાં.
મુર્શિદાબાદમાં હિંદુ મંદિરો પર હુમલા અને મૂર્તિઓ તોડી હોવાના સ્થાનિક અહેવાલો પણ સામે આવ્યા છે. રિપબ્લિક બાંગ્લાએ શેર કરેલ વિડીયોમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ખલીલુર રહેમાને સ્વીકાર્યું હતું કે કે જંગીપુરમાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ઉગ્રવાદીઓએ હિંદુ પરિવારોનાં ઘરોને પણ નિશાન બનાવ્યાં હતાં. અહેવાલમાં જણાવાયું છે કે, “લઘુમતીઓની વસ્તી ધરાવતા જિલ્લામાં હિંદુ પરિવારોનાં અનેક ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં અને તેમની દુકાનોને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી.”
એમ્બ્યુલન્સને પણ ચાંપી આગ
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, “ઉપદ્રવીઓએ હિંસામાં ફસાયેલી એક એમ્બ્યુલન્સને પણ બક્ષી ન હતી અને તેને પણ આગ ચાંપી દીધી હતી. વાહનને આગ લગાડતાં પહેલાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.” આ વાતની પુષ્ટિ પછીથી એક પ્રત્યક્ષદર્શીએ પણ ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કરી અને કહ્યું કે, “અમે ડરી ગયા હતા અને ઘરમાં જ બેસી રહ્યા. મેં મારા માતા-પિતા, પત્ની અને બાળકોને ઘરમાં બંધ રાખ્યાં હતાં.”
એક હિંદુ વ્યક્તિએ જણાવ્યું કે, હુમલાખોરો સ્થાનિક મુસ્લિમો હતા, બહારના લોકો નહીં. હવે ઓનલાઈન સામે આવેલા CCTV ફૂટેજમાં એક હુમલાખોર મુર્શિદાબાદમાં હિંદુ પરિવારના વાહનને નુકસાન પહોંચાડતો દેખાય છે. મુર્શિદાબાદ હત્યાકાંડના બીજા હિંદુ પીડિતે એએનઆઈને જણાવ્યું કે, “તેઓએ બાઇકો તોડી, અમારી વસ્તુઓની લૂંટફાટ કરી અને દુકાનોને આગ લગાડી.” તેમણે આગળ કહ્યું કે, “હું રાત્રે ઊંઘી શક્યો નહીં. અમે જાગતા હતા અને ડરેલા હતા. જ્યારે અહીં હિંસા થઈ રહી હતી ત્યારે પોલીસબળ નહોતું. પોલીસ પોતાના જીવ બચાવવા દોડી રહી હતી… જોઈએ કે સરકાર અમને વળતર આપે છે કે નહીં.”
હિંદુ વેપારી અમર ભગતની પત્ની મંજુ ભગતે આજતકને કહ્યું, “તેમણે (મુસ્લિમ ટોળાઓ) આગળના દરવાજેથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ નિષ્ફળ ગયા ત્યારે તેમણે પાછળના દરવાજેથી ઘૂસવાનો પ્રયાસ કર્યો.” તેમણે ઉમેર્યું કે, “ટોળાંએ બાઇક તોડી, અમારું ઘર તોડફોડ કર્યું અને ખુરશીઓ, ગાદલાં, ટીવીથી લઈને મોંઘી ઘરેલું વસ્તુઓ સુધી બધું લૂંટી લીધું.”
વધુમાં તેમણે કહ્યું કે, “અમારું આખું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું હતું. અમે જીવના જોખમે છત પર સંતાઈ રહ્યાં હતાં. અમે ભગવાનનું નામ લઈને પ્રાર્થના કરી રહ્યાં હતાં કે ટોળું આમારા ઘરેથી જતું રહે. જો તે સમયે મારી દીકરીને કંઈ થયું હોત તો હું શું કરત?” ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે હજારો હિંદુઓએ બોટના આશરે મુર્શિદાબાદ છોડીને નજીકના માલદા જિલ્લામાં ભાગવું પડ્યું.