Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકારગિલના કસાઈ મુશર્રફના મોત પર ‘દુઃખી’ થયા સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું- તેમણે હંમેશા...

    કારગિલના કસાઈ મુશર્રફના મોત પર ‘દુઃખી’ થયા સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું- તેમણે હંમેશા ભારત સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસ કર્યા હતા, લોકોએ કહ્યું- વધુ થોડા જોક્સ કહો

    સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટ બાદ એક યુઝરે કટાક્ષમાં લખ્યું કે, તેઓ શાંતિ સ્થાપવા માટે એટલા ઉત્સુક હતા કે 1999માં કારગિલનું યુદ્ધ કરી નાંખ્યું હતું. 

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ, કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ પરવેઝ મુશર્રફના મોત બાદ પાકિસ્તાન જ નહીં ભારતમાંથી પણ તેમના કેટલાક ‘પ્રશંસકો’ ફૂટી નીકળ્યા છે. ગઈકાલે કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને મુશર્રફને ‘શાંતિદૂત’ ગણાવ્યા તો મહેબૂબા મુફ્તીએ પણ ટ્વિટ કર્યું. હવે આ પંક્તિમાં સુબ્રમણ્યમ સ્વામી જોડાયા છે. 

    સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું કે તેમના માટે મુશર્રફનું નિધન દુઃખદ બાબત છે. તેમણે પણ શાંતિની પિપૂડી વગાડી અને કહ્યું કે મુશર્રફ હંમેશા ભારત સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસો કરતા રહ્યા. 

    સુબ્રમણ્યમ સ્વામી લખે છે, ‘પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફનું નિધન મારા જેવા લોકો માટે દુઃખદ છે, જેઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. (આમ તો) તેઓ તખ્તાપલટ કરીને પાકિસ્તાનમાં સત્તામાં આવ્યા પરંતુ હંમેશા ભારત સાથે શાંતિ સ્થાપવા માટે તત્પર રહ્યા. અલબત્ત, મહત્વની વાત એ છે કે તેઓ પાકિસ્તાની હતા.’

    - Advertisement -

    પરવેઝ મુશર્રફે કઈ રીતે કાવતરું ઘડીને કારગિલમાં પાકિસ્તાની સેના ઘૂસાડી હતી એ જગજાહેર છે. ફેબ્રુઆરી 1999માં જ લાહોર સમિટ થઇ અને તેના બે મહિનામાં જ મુશર્રફે ભારતની પીઠમાં છરો ભોંકીને કારગિલમાં ઘૂસણખોરીના આદેશ આપ્યા હતા. LoC પાર કરીને પાકિસ્તાની સેના ઘૂસી આવી અને ભારતીય સેનાએ પૂરેપૂરી શક્તિથી ‘ઓપરેશન વિજય’ લૉન્ચ કરીને તેમને ખદેડી મૂક્યા અને વધુ એક યુદ્ધમાં ભારતની જીત થઇ. 

    ભારતે વિજય પણ મેળવી લીધો અને પાકિસ્તાની સેનાને પાછળ ધકેલી દીધી હતી પરંતુ આ યુદ્ધમાં 527 જવાનો વીરગતિ પામ્યા હતા. જેના માટે મુશર્રફ સીધી રીતે જવાબદાર હતા. કારણ કે તેઓ ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ હતા અને તેમણે જ અન્ય 3 જનરલો સાથે મળીને આ ષડ્યંત્ર રચ્યું હતું. 

    આ પરવેઝ મુશર્રફને સુબ્રમણ્યમ સ્વામી જેવા નેતાઓ ભારતમાં બેસીને વખાણી રહ્યા છે. એ સમજી શકાય તેમ છે કે કોઈના મૃત્યુ પછી મલાજો જાળવવા માટે આપણે તેની ખરાબ બાજુઓ જાણતા હોવા છતાં ઘણીવાર વ્યક્ત કરતા હોતા નથી. પરંતુ સીધું વખાણ કરવા પર પહોંચી જવું અને ‘શાંતિદૂત’ ગણાવી દેવા એ ઘણા લોકોને ગળે ઉતરી રહ્યું નથી. 

    જોકે, ‘હિંદુવાદી’ અને ‘રાષ્ટ્રવાદી’ની છાપ ધરાવવા માટે મહેનત કરતા રહેતા સુબ્રમણ્યમ સ્વામી સમયે-સમયે આ પ્રકારની પલટીઓ મારતા રહે છે. ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ઘણી વખત સરકાર વિરુદ્ધ કે પીએમ મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. 

    વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ, તેમાં તેમનો પણ મોટો ફાળો હતો. ત્યારે સ્વામીએ એક ટી-પાર્ટીનું આયોજન કર્યું હતું અને જેમાં સોનિયા ગાંધી અને તમિલનાડુનાં પૂર્વ સીએમ જયલલિતાની મુલાકાત કરાવી હતી. જે પાછળનો મૂળ ઉદ્દેશ્ય અટલ બિહારી વાજપેયીની સરકારને હટાવવાનો હતો. આ મુલાકાત બાદ AIADMKએ સમર્થન ખેંચી લીધું અને NDA સરકાર પડી ગઈ હતી. 

    જોકે, પછીથી આ જ સુબ્રમણ્યમ સ્વામી કોંગ્રેસની સામે પડ્યા અને 2012-13માં નેશનલ હેરાલ્ડ કેસ સામે આવ્યો અને સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપો લાગ્યા. આ કેસ પાછળ તેમનો જ હાથ હતો. 

    સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટ નીચે મોટાભાગના લોકોએ અસહમતિ દર્શાવી. કોઈકે કટાક્ષ કર્યો તો કોઈએ સ્વામી પર ફિટકાર વરસાવી હતી. ભારતીય પેટ્રિઓટ નામના યુઝરે કટાક્ષમાં લખ્યું કે, તેઓ શાંતિ સ્થાપવા માટે એટલા ઉત્સુક હતા કે 1999માં કારગિલનું યુદ્ધ કરી નાંખ્યું હતું. 

    એક વ્યક્તિએ રમૂજી ટિપ્પણી કરીને હજુ થોડા જોક્સ કહેવા માટે કહ્યું હતું. 

    એક યુઝરે લખ્યું કે, સ્વામી મોદી વિરોધમાં પાગલ થઇ ગયા છે અને એટલે આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

    રજત સેહગલ લખે છે કે, મુશર્રફે ઘડેલા કાવતરાના કારણે ભારતે 600 સૈનિકો ગુમાવ્યા અને તમે (સ્વામી) કહી રહ્યા છો કે તેઓ ભારત સાથે શાંતિ સ્થાપવા માટે ઉસ્તુક હતા! 

    એક યુઝરે એ પણ યાદ કરાવ્યું હતું જ્યારે મુશર્રફે સ્વામીને રાવલપિંડી સ્થિત તેમની ઓફિસના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. 

    આ બાબતની પુષ્ટિ સ્વયં સુબ્રમણ્યમ સ્વામી કરી ચૂક્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પરવેઝ મુશર્રફ તેમના સારા મિત્ર છે અને તેઓ જ્યારે પાકિસ્તાનના શાસક હતા ત્યારે પોતે ઘણી વખત પાકિસ્તાન પણ ગયા હતા. તેમણે મને રાવલપિંડીની તેમની ઓફિસનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને હું ગયો પણ હતો. તેમણે ઇન્ટરવ્યૂમાં મુશર્રફને પાકિસ્તાની કોર્ટે આપેલી સજાની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, માત્ર તખ્તાપલટ કરવાના કારણે તેમને ફાંસીએ લટકાવી શકાય નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં