Thursday, April 2, 2026
More
    હોમપેજક્રાઈમજામનગરમાં ઈદના જુલૂસમાં ‘સર તન સે જુદા’ના નારા, તલવારો દર્શાવતા ઝંડા લહેરાવાયા:...

    જામનગરમાં ઈદના જુલૂસમાં ‘સર તન સે જુદા’ના નારા, તલવારો દર્શાવતા ઝંડા લહેરાવાયા: મોહસીન, બિલાલ સહિત 7ની ધરપકડ

    આ મામલે પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને બાકીના તપાસમાં સામે આવે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 196(1)(a), 196(1)(b), 353(1)(b) અને  351(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    - Advertisement -

    જામનગરમાં પોલીસ સ્ટેશનની સામે મજહબી અને ભડકાઉ નારા લગાવવા મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે સ્વયં ફરિયાદી બનીને ઘણા મુસ્લિમ શખ્સોને આરોપી બનાવ્યા છે. ઈદના જુલૂસ દરમિયાન આ ઘટના બનાવ પામી હતી. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ‘સર તન સે જુદા’ના નારા સાંભળવા મળ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સાત આરોપીઓની ધરપકડ પણ કરી છે.

    ઑપઇન્ડિયા પાસે FIRની નકલ પણ ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, આ ઘટના 4 સપ્ટેમ્બર, 2025ના રોજ ઈદના દિવસે બનવા પામી હતી. સાંજના અંદાજે 7 વાગ્યા આસપાસ દરબાર ગઢ વિસ્તારમાંથી મુસ્લિમોનું ઈદનું જુલૂસ નીકળ્યું હતું. જેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. FIRમાં કહેવાયું છે કે વિડીયોમાં દરબાર ગઢ સર્કલ બર્ધન ચોક ખાતે  કેટલાક મુસ્લિમ શખ્સો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. 

    સાથે એવો પણ ઉલ્લેખ છે કે જુલૂસમાં સામેલ મુસ્લિમ શખ્સો અલગ-અલગ ઇસ્લામી ઝંડા લઈને આવ્યા હતા. કેટલાક ઝંડા પર અરબી વાક્યો અને તરવારના ચિહ્નો અંકિત હતા અને કેટલાક ઝંડા સફેદ અને લીલા રંગે રંગાયેલા હતા, જેમાં તલવાર અંકિત થયેલી હતી. આ ઝંડા ફરકાવીને કટ્ટરપંથીઓ ‘અલ્લાહુ અકબર’, ‘લબ્બૈક યા રસુલલ્લાહ’ અને ‘સર તન સે જુદા, સર તન સે જુદા’ના નારા લગાવી રહ્યા હતા.

    - Advertisement -

    કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે કરાયું હતું કૃત્ય- FIR

    આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા હતા. જે બાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI વીઆર ગામેતીએ પોતે ફરિયાદી બનીને FIR નોંધી હતી. પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે કટ્ટરપંથીઓએ આ કૃત્ય કર્યું હતું. આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે આવા કૃત્યના કારણે જાહેર શાંતિ ભંગ થવાની અને બે સમુદાયો વચ્ચે દ્વેષ અને નફરત ઊભી થવાની સંભાવનાઓ હતી. 

    ફરિયાદમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ઇલેક્ટ્રોનિક સંચારના સાધનો દ્વારા ધર્મ, જાતિ, ભાષા, જ્ઞાતિ અને કોમ વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની લાગણીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કર્યા હતા. ફરિયાદ અનુસાર, આરોપીઓએ જાહેર શાંતિ ભંગ થાય તેવા વક્તવ્ય, જાહેર જનતામાં ભય પેદા કરવાના આશયથી ‘સર તન સે જુદા’ના નારા લગાવીને મારી નાખવાની ધમકીઓ આપીને ગુનો આચર્યો હતો. 

    આ મામલે પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને બાકીના તપાસમાં સામે આવે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 196(1)(a), 196(1)(b), 353(1)(b) અને  351(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે વિડીયોના આધારે તપાસ કરીને 7 આરોપીઓઓની ઓળખ કરી છે અને તેમની ધરપકડ પણ કરી છે.

    ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહસીનખાન સલીમખાન પઠાણ, બિલાલ હાસમભાઈ નોયડા, ઈમરાન સિદ્દિકભાઈ કુરેશી, યુનુસ હારુન કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ અને સાહિલ બઉદ્દીન બેલીમ તરીકે થઈ છે. ઑપઇન્ડિયાએ વધુ માહિતી મેળવવા માટે ફરિયાદી PSI વીઆર ગામેતીના સંપર્ક માટેના પ્રયાસો કર્યા હતા પણ સંપર્ક સ્થાપિત થઈ શક્યો ન હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તૈયારીઓ આદરી દીધી છે. આ દિશામાં આગળની કાર્યવાહી ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં