રાજકોટમાં (Rajkot) એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, અહીં એક મુસ્લિમ પત્નીએ પોતાના હિંદુ પતિની જાણ બહાર જ પુત્રના ખતના કરાવી નાખ્યા છે. સાથે એવો પણ આરોપ છે કે, પત્નીને આવું કરવા માટે તેના અમ્મી-અબ્બાએ પણ મદદ કરી હતી. આ ઘટનાની જાણ થયા બાદ હિંદુ યુવકે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પત્ની રૂકસાર તેમજ તેના અમ્મી-અબ્બા, ખતના કરનાર ડૉક્ટર અથવા જમાતખાનાના જમાતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના રાજકોટના રૈયા ટેલિફોન એક્સ્ચેન્જ પાસેના તુલસીપાર્ક વિસ્તારની છે. હિંદુ યુવાને પોલીસમાં આપેલી અરજી મુજબ, તેણે વર્ષ 2018માં એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્ન થકી તેને સંતાનમાં 4 વર્ષીય પુત્ર છે. ગત 21 ડિસેમ્બરના રોજ તેઓ કામ માટે બહાર ગયા હતા અને અઠવાડિયા બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા. દરમિયાન તેના પુત્રએ ગુપ્તાંગના ભાગે દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.
વધુમાં અરજીમાં કહેવાયું છે કે, બાળકના અસહ્ય દુઃખાવા બાદ ફરિયાદીએ તપાસ કરતાં ગુપ્તાંગ પર પાટા બાંધેલા જોવા મળ્યા હતા. જે બાદ તેમણે પત્નીને સવાલ કરતાં તેણે કહ્યું હતું કે, તેના અમ્મી-અબ્બા સાથે મળીને તેણે પુત્રના ખતના કરાવ્યા છે. જે બાદ ફરિયાદીએ પોતે હિંદુ હોવાનું કહ્યું હતું અને જણાવ્યું હતું કે, લગ્ન બાદ પિતાનો જે ધર્મ હોય તે જ પુત્ર પર પણ લાગુ પડે છે. ત્યારબાદ આરોપ છે કે, મુસ્લિમ પત્નીએ પતિને અપમાનજનક શબ્દો કહ્યા હતા અને ગાળો પણ આપી હતી.
સાસુ સકીનાએ આપી જાનથી મારી નાખવાની ધમકી
આ સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ તેના સાસુએ ફોન કર્યો હતો અને ઘટનાને લઈને હોસ્પિટલ આવવા માટે કહ્યું હતું. જે બાદ સકીનાએ ‘વાંધો ઉઠાવીશ તો જાનથી મારી નાખીશું’ની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત યુવાનની પત્ની પુત્રને લઈને ક્યાંક ચાલી ગઈ હોવાનું પણ કહેવાયું છે. પુત્રની શોધખોળ કર્યા બાદ અંતે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની મુસ્લિમ પત્ની, તેના અમ્મી-અબ્બા, ખતના કરનાર ડૉક્ટર અથવા જમાતખાનાના જમાતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.