Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘માત્ર દોઢ કલાક માટે બંધ રહ્યો હતો પાણી પુરવઠો’: હિરાસર એરપોર્ટને લઈને...

    ‘માત્ર દોઢ કલાક માટે બંધ રહ્યો હતો પાણી પુરવઠો’: હિરાસર એરપોર્ટને લઈને એકાદ પેસેન્જરનો વિડિયો વાયરલ થયા બાદ ડાયરેક્ટરની સ્પષ્ટતા, કહ્યું- કામચલાઉ વ્યવસ્થા માટે છે હાલનું ટર્મિનલ

    આ વીડિયો વાયરલ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી તો બીજી તરફ મીડિયામાં પણ ઠીકઠાક ચર્ચા થઈ. હવે આ બાબતને લઈને એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોહરાએ સ્પષ્ટતા કરી છે. 

    - Advertisement -

    રાજકોટનું નવનિર્મિત હિરાસર એરપોર્ટ હાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં એકાદ જય વસાવડા નામના મુસાફરે એરપોર્ટ પરનો એક વીડિયો બનાવીને પાણી સહિતની સુવિધાઓ પૂરતી ન હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા ચાલી. હવે એરપોર્ટ ઓથોરિટીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. 

    વસાવડાએ વીડિયોમાં ફરિયાદ કરી કે એરપોર્ટનું ઈન્ટિરીયર બહુ “બેઝિક” છે અને કોઇ કાર્યક્રમના મેકશિફ્ટ માટે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોય કે કોવિડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. સાથે તેમણે ટોયલેટમાં પાણી ન આવતું હોવાની પણ ફરિયાદ કરી અને દાવો કર્યો કે, ત્યાં હાજર એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે ત્યાં પાણી આવતું નથી. વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, “ધામધૂમથી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કર્યા પછી અહીં પાણી જ નથી.” સાથે એરપોર્ટ રાજકોટથી આટલું દૂર બનાવવામાં આવ્યું હોવાને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, એરપોર્ટ શહેરની બહાર હોય પરંતુ આ તો 31 કિલોમીટર દૂર છે.

    હિરાસર એરપોર્ટ અંગેનો આ વીડિયો વાયરલ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી તો બીજી તરફ મીડિયામાં પણ ઠીકઠાક ચર્ચા થઈ. હવે આ બાબતને લઈને એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોહરાએ સ્પષ્ટતા કરી છે. 

    - Advertisement -

    દેશ ગુજરાતના રિપોર્ટ અનુસાર, પાણી પુરવઠાને લઈને તેમણે કહ્યું કે, એરપોર્ટ મુસાફરો માટે શરૂ થયું ત્યારથી એટલે કે 10 અને 11 સપ્ટેમ્બરે પાણીની કોઇ સમસ્યા ન હતી. માત્ર 12મીના રોજ જાણવા મળ્યું કે પાઇપલાઇનમાં કંઈક ખામી છે અને જેના કારણે દોઢ કલાક સુધી સપ્લાય બંધ રહ્યો હતો. ત્યારબાદ જરૂરી સમારકામ કરવામાં આવ્યું અને બધું સામાન્ય થઈ ગયું હતું. 

    તેમણે આગળ જણાવ્યું હતું કે, એરપોર્ટના બોરવેલ છે અને તેના દ્વારા પૂરતું પાણી મળી રહે છે. ઉપરાંત, 50 હજાર લિટરની બે ટાંકીઓ પણ છે, જેમાંથી એક ફાયર ફાઇટિંગ માટે રિઝર્વ રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, નવા ભવનનું નિર્માણ પૂર્ણ થઈ જાય પછી રાજ્ય સરકાર તરફથી કાયમી ધોરણે વોટર સપ્લાયની વ્યવસ્થા હશે અને જેનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. હાલ પણ પાણીનો પૂરતો બંદોબસ્ત હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    હાલનું બિલ્ડીંગ કામચલાઉ વ્યવસ્થા માટે છે, તેનો મૂળ ઉપયોગ કાર્ગો ટર્મિનલ તરીકે થવાનો છે 

    જ્યાં સુધી વાત બિલ્ડીંગ અને ઈન્ટિરિયરની છે, તો મૂળ વાત એ છે કે હાલ જે બિલ્ડિંગ છે તે એરપોર્ટના મૂળ ઉપયોગ કે મુસાફરોના ઉપયોગ માટે છે જ નહીં. આ વ્યવસ્થા કામચલાઉ છે. જેને લઈને એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યું હતું કે, નવું તૈયાર ન થઈ જાય ત્યાં સુધી આ ટર્મિનલ બિલ્ડીંગ કામચલાઉ ધોરણે રાખવામાં આવ્યું છે. તેનો મૂળ ઉપયોગ કાર્ગો ટર્મિનલ તરીકે થવાનો છે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં નવું બિલ્ડિંગ તૈયાર થઈ જશે. જોકે, કામચલાઉ ધોરણે તૈયાર કરવામાં આવ્યું હોવા છતાં આ ટર્મિનલમાં 230 મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જૂના રાજકોટ એરપોર્ટમાં માત્ર 125 લોકો માટે જ વ્યવસ્થા હતી. 

    એરપોર્ટના ‘ઇન્ટરનેશનલ’ સ્ટેટ્સને લઈને તેમણે કહ્યું હતું કે, DGCA દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા પહેલેથી જ મળી ગઈ છે, પરંતુ હજુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી નથી. મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થઈ ગયા બાદ તે શરૂ કરવામાં આવશે. જે એપ્રિલ 2024 સુધીમાં શરૂ થવાની ગણતરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં