માત્ર બોલવા ખાતર જાહેર મંચ પરથી પણ એલફેલ બોલી નાખવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) કુખ્યાત છે. આ જ ક્રમને જાળવી રાખતાં તેમણે તાજેતરમાં જ એક એવું નિવેદન આપી દીધું, જેના કારણે ફરી તેમની અને તેમની પાર્ટી સામે સવાલો ઊભા થયા છે. રાહુલ ગાંધી ઘણા સમયથી ભારતની ચૂંટણી વ્યવસ્થાની પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને તેના વિશે જ એક સંબોધનમાં ટિપ્પણી કરવામાં તેમણે એવો દાવો કરી નાખ્યો હતો કે કૃષિ કાયદાઓના વિરોધ સમયે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીએ (Arun Jaitley) તેમને ધમકી આપી હતી. અહીં મહત્ત્વની વાત એ છે કે રાહુલ ગાંધી જે સમયની વાત કરી રહ્યા છે ત્યારે અરુણ જેટલીના નિધનને એક વર્ષ વીતી ચૂક્યું હતું!
નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના વાર્ષિક કાનૂની સંમેલનમાં બોલતાં રાહુલ ગાંધીએ દાવો કરતાં કહી દીધું કે જ્યારે કોંગ્રેસ પાર્ટી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહી હતી ત્યારે અરુણ જેટલીને તેમને ધમકી આપવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “મને યાદ છે જ્યારે હું કૃષિ કાયદાઓ સામે લડી રહ્યો હતો, ત્યારે અરુણ જેટલીજીને મને ધમકી આપવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું, ‘જો તમે સરકારનો વિરોધ કરવાનું ચાલુ રાખશો, કૃષિ કાયદાઓ સામે લડશો, તો અમારે તમારી સામે કાર્યવાહી કરવી પડશે.’ મેં તેમની તરફ જોયું અને કહ્યું, ‘મને નથી લાગતું કે તમને એ ખબર હોય કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો.’”
#WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "I remember when I was fighting the farm laws, Arun Jaitley ji was sent to me to threaten me. He told me "if you carry on opposing the govt, fighting the farm laws, we will have… pic.twitter.com/8RJWmHo9fE
— ANI (@ANI) August 2, 2025
હવે મહત્વની બાબત એ છે કે ખેડૂત કાયદા વર્ષ 2020માં લાગુ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી વિરોધના વમળમાં ફસાઈને આવા ભ્રામક દાવા કરતી વખતે એ ભૂલી ગયા કે, જ્યારે કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા અને પંજાબના ખેડૂતોએ કેટલાક વિરોધ પક્ષો સાથે મળીને તેનો વિરોધ શરૂ કર્યો, ત્યારે અરુણ જેટલી હયાત નહોતા.
ભાજપના નેતા અરુણ જેટલીનું 24 ઑગસ્ટ, 2019ના રોજ અવસાન થયું હતું. તેઓ પહેલી મોદી સરકારમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી હતા, અને થોડા સમય માટે સંરક્ષણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ સંભાળ્યું હતું. જ્યારે બીજી વખતે NDAએ લોકસભા ચૂંટણી જીતી ત્યારે અરુણ જેટલીએ સ્વાસ્થ્ય કારણોસર મંત્રીમંડળમાં રહેવાની ના પાડી હતી. તેના થોડાક જ મહિનાઓ બાદ જ તેમનું અવસાન થયું હતું.
બીજી તરફ, જેટલીના અવસાનના એક વર્ષ પછી કૃષિ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને 3 જૂન, 2020ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી અને 5 જૂનના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. વટહુકમને બદલવા માટેના ત્રણ બિલ સપ્ટેમ્બર 2020માં સંસદમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પછીથી સપ્ટેમ્બર 2020માં ત્રણેય બિલને મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ કાયદાઓનો વિરોધ છેક ડિસેમ્બર 2020માં શરૂ થયો હતો, એટલે કે, અરુણ જેટલીના અવસાનના એક વર્ષ કરતાં વધુ સમય પછી.
આ બધા દાવા કરતી વખતે રાહુલ ગાંધીએ બાફી માર્યું હતું અને સમયરેખા ધ્યાનમાં લીધા વગર જ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પરંતુ રોહન જેટલીએ તેમની આ ‘ટાઇમ ટ્રાવેલ’ની કથાને અરીસો બતાવી દીધો.
રાહુલ ગાંધીના આ નિવેદન અંગે અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “રાહુલ ગાંધી હવે દાવો કરી રહ્યા છે કે મારા સ્વર્ગસ્થ પિતા અરુણ જેટલીએ તેમને કૃષિ કાયદાઓ અંગે ધમકી આપી હતી. હું તેમને યાદ અપાવી દઉં કે મારા પિતાનું 2019માં અવસાન થયું હતું. કૃષિ કાયદા 2020માં રજૂ કરવામાં આવ્યા હતા.”
Rahul Gandhi now claims my late father, Arun Jaitley, threatened him over the farm laws.
— Rohan Jaitley (@rohanjaitley) August 2, 2025
Let me remind him, my father passed away in 2019. The farm laws were introduced in 2020. More importantly, it was not in my father's nature to threaten anyone over an opposing view. He was a…
તેમણે આગળ લખ્યું કે, “વધુ મહત્ત્વની વાત એ છે કે, મારા પિતાનો સ્વભાવ એવો નહોતો કે તેઓ કોઈ પણ વિરોધી વિચાર ધરાવતા વ્યક્તિને ધમકી આપે. તેઓ લોકતંત્રમાં દ્રઢ રીતે માનતા હતા અને હંમેશા સર્વસંમતિ બનાવવામાં માનતા હતા. જો ક્યારેય કોઈ પરિસ્થિતિ ઊભી થાય, જેમ કે રાજકારણમાં ઘણીવાર બને છે, તો તેઓ બધા માટે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર પહોંચવા માટે મુક્ત અને ખુલ્લી ચર્ચાનું આહ્વાન કરતા.”
તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે તેમણે એવા લોકો વિશે બોલતી વખતે સાવચેત રહેવું જોઈએ જેઓ હવે આપણી સાથે નથી. તેમણે યાદ અપાવ્યું કે રાહુલ ગાંધીએ મનોહર પરિકર સાથે પણ આવું જ કંઈક કરવાનો પ્રયાસ કર્યો હતો.


