રવિવારે (29 ડિસેમ્બર 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ષનું અંતિમ રેડિયો સંબોધન ‘મન કી બાત’ (Man ki Bat) દ્વારા દેશની જનતાને સંબોધી. આ દરમિયાન તેમણે પ્રયાગરાજ મહાકુંભ (Prayagraj Mahakumbh 2025) વિશે લોકોને મહત્વપૂર્ણ જાણકારી આપી, સાથે જ સ્વચ્છતા સહિતના સંકલ્પ અપાવ્યા. વડાપ્રધાન મોદીએ મન કી બાત મારફતે લોકોને આપીલ કરી કે આ મહાકુંભમાં ભાગ લઈ રહેલા કરોડો લોકો વિભાજન અને નફરતની ભાવનાને ખતમ કરવાના સંકલ્પ સાથે પરત આવે.
महाकुंभ का संदेश, एक हो पूरा देश। #MannKiBaat pic.twitter.com/cLM1cBsV68
— Narendra Modi (@narendramodi) December 29, 2024
વર્ષની અંતિમ મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “13 જાન્યુઆરીના રોજ આયોજિત પ્રયાગરાજ મહાકુંભને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા જયારે હું પ્રયાગરાજ ગયો ત્યારે હેલિકોપ્ટરમાંથી તૈયારીઓ જોઇને રાજી થયો હતો. આટલું વિશાળ, આટલું સુંદર, આટલી ભવ્યતા. તેની વિવિધતા જ તેની વિશેષતા છે. આ આયોજનમાં કરોડો લોકો એકત્ર થશે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, આ દરેક લોકો આનો ભાગ બનવા માંગે છે.”
વડાપ્રધાન મોદીએ કરી એકતાના મંત્રને લઈને પરત આવવાની અપીલ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મહાકુંભમાં સંમેલિત થનારા કરોડ લોકોને ઉદ્દેશીને એક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “કોઈ પણ વ્યક્તિ મહાકુંભનો ભાગ થઈ શકે છે, તેમાં કોઈ જ ભેદભાવ નથી. અહીં કોઈ નાનું કે કોઈ મોટું નથી. અનેકતામાં એકતાનું આવું દ્રશ્ય વિશ્વમાં ક્યાય જોવા નથી મળતું. આથી જ આપણો આ કુંભ એકતાનો પણ મહાકુંભ હોવો જોઈએ. મારી દેશવાસીઓને અપીલ છે કે તેઓ કુંભમાં જાય તો એકતાના મંત્ર સાથે પરત આવે.”
તેમણે કહ્યું કે, “જયારે આપણે કુંભમાં ભાગ લઈશું, ત્યારે સમાજમાંથી નફરત અને વિભાજનની ભાવનાને ખતમ કરવાનો સંકલ્પ લઈશું. ટૂંકમાં કહું તો, મહાકુંભનો સંદેશ, એક હો આખો દેશ… ગંગા કી અવિરત ધારા, ન બટે સમાજ હમારા…” આ સિવાય વડાપ્રધન મોદીએ મહાકુંભની તૈયારીઓની પણ વાત કરી. તેમણે AI અને ચેટ બોટ વિશે પણ માહિતી આપી હતી.