Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ 14 રૂપિયા સસ્તું : પેટ્રોલ પુરાવવા માટે ગુજરાતમાં...

    મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ 14 રૂપિયા સસ્તું : પેટ્રોલ પુરાવવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના લોકો

    મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી લોકો પેટ્રોલ પુરાવવા માટે ગુજરાતમાં આવે છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ મહારાષ્ટ્રના ભાવ કરતા સસ્તા મળી રહ્યા છે. 

    - Advertisement -

    પેટ્રોલ અને ડિઝલના વધુ ભાવમાંથી જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઇંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, કેન્દ્રે રાજ્ય સરકારોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ પોતાની રીતે ટેક્સમાં ઘટાડો કરીને જનતાને રાહત આપે. નાણામંત્રીએ એવા રાજ્યોને પણ ટકોર કરી હતી જેમણે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ VATમાં ઘટાડો કર્યો ન હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર બે પાડોશી રાજ્યો હોવા છતાં બંને રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં મોટો તફાવત જોવા મળે છે. જેના કારણે મહારાષ્ટ્રના નજીકના શહેરોમાંથી લોકો ગુજરાતમાં આવીને પેટ્રોલ પુરાવે છે. એટલું જ નહીં, ઉત્તરે પાડોશમાં આવેલા રાજસ્થાનમાંથી પણ નજીકના સરહદના ગામડાઓમાંથી લોકો ગુજરાતમાં આવવાના કિસ્સાઓ બને છે. 

    ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી લોકો પેટ્રોલ પુરાવવા માટે ગુજરાતમાં આવે છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ મહારાષ્ટ્રના ભાવ કરતા સસ્તા મળી રહ્યા છે. 

    ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ એક પેટ્રોલ પંપના માલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, અહીંથી મહારાષ્ટ્રની સરહદ 2 કિલોમીટર દૂર છે. પરંતુ ત્યાં અને અહીં પેટ્રોલમાં 14 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલમાં 3.5 રૂપિયા પ્રતિ લિટરનો તફાવત હોવાના કારણે લોકો અમારા પંપ પરથી ઇંધણ ખરીદે છે.”

    - Advertisement -

    ANI દ્વારા શૅર કરવામાં આવેલ એક તસ્વીરમાં જોવા મળે છે કે, પેટ્રોલ પંપની બહાર બંને રાજ્યોના પેટ્રોલ-ડિઝલના ભાવોમાં તફાવત દર્શાવતું એક બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, “પેટ્રોલ મહારાષ્ટ્રથી 15 રૂપિયા સસ્તું અને ડિઝલ મહારાષ્ટ્રથી 4 રૂપિયા સસ્તું.” જોકે, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવેલા પેટ્રોલપંપ ઉપર આ પ્રકારના બોર્ડ જોવા મળે છે. 

    મહારાષ્ટ્રથી ગુજરાતમાં પેટ્રોલ પુરાવવા માટે આવતા એક ગ્રાહકે ANIને જણાવ્યું હતું કે, “કામના કારણે મારે રોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાર કરવાનું થાય છે અને હું સામાન્ય રીતે અહીંથી જ પેટ્રોલ પુરાવું છું. જેનાથી લિટર પેટ્રોલે 14 રૂપિયા બચે છે અને મહિનાને અંતે 3000 રૂપિયા બચાવી શકાય છે.”

    ઉલ્લેખનીય છે કે દિવાળી પર વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ અને મહામારીના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા ત્યારે દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને પ્રજાને રાહત આપી હતી. આ ઉપરાંત, કેન્દ્રે તમામ રાજ્ય સરકારોને પણ તેમના દ્વારા ઇંધણ પર લાગતો VAT ઘટાડવા માટે અપીલ કરી હતી, જેથી ઇંધણના ભાવમાં વધુ રાહત આપી શકાય. 

    સરકારની અપીલ બાદ ભાજપશાસિત રાજ્યોએ VAT ઘટાડી દીધો હતો પરંતુ વિપક્ષ દ્વારા શાસિત કેટલાક રાજ્યોમાં VAT ઘટાડવામાં આવ્યો ન હતો. તાજેતરમાં ઇંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ફરીથી ઘટાડો કર્યા બાદ ફરી વખત કેન્દ્ર સરકારે રાજ્યોને ટેક્સ ઘટાડવા માટે અપીલ કરી હતી. પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઇંધણના વધુ ભાવના કારણે આ રાજ્યોના સરહદી વિસ્તારના લોકો ગુજરાતમાં આવીને પેટ્રોલ ખરીદી રહ્યા છે.

    વધુમાં, ગુજરાત-મહારાષ્ટ્રમાં ઇંધણના ભાવમાં તફાવતને લઈને ટિપ્પણી કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “સાચો મત અને પ્રજા કલ્યાણની વિચારધારા આ અંતર સર્જે છે.” તેમણે આ સાથે ANIનું ટ્વિટ ક્વોટ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં