પહલગામમાં ઇસ્લામી આતંકીઓના હુમલા (Pahalgam Terrorist Attack) બાદ હવે ગુજરાત પોલીસ (Gujarat Police) પણ એલર્ટ મોડમાં આવી ગાઈઉ છે. ગૃહ મંત્રાલયે વિદેશી નાગરિકોને શોધવાના આદેશ આપ્યા બાદ 25 એપ્રિલની મોડી રાતથી જ અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat) કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. પોલીસે વિવિધ ટીમો બનાવીને અનેક વિસ્તારમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi infiltrators) ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં અંદાજે 457 અને સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે.
હાલ આ તમામ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ અને બહેરામપુરામાંથી ઘણા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે અને તમામને દોરડાથી બાંધીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે. વધુમાં ઘણા બાંગ્લાદેશીઓ પાસેથી ભારતના નકલી આધારકાર્ડ પણ મળી આવ્યા છે. સશસ્ત્ર પોલીસદળના જવાનો સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધની આ હમણાં સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.
–મોડી રાત્રે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, ઘૂસણખોરોને પકડવા અત્યાર સુધીનું સૌથી મોટું ઑપરેશન
— ઑપઇન્ડિયા (@OpIndia_G) April 26, 2025
–400થી વધુ શંકાસ્પદ ઘૂસણખોરોને પકડીને દોરડાં બાંધીને લઈ જવાયા
–તમામની થશે પૂછપરછ-તપાસ, ગેરકાયદેસર હોવાનું જણાતાં થશે કાર્યવાહી pic.twitter.com/mvwljrR3Vd
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજિયન અને તેમની સાથે પોલીસનો કાફલો મોડી રાત્રે ઑપરેશન મોડમાં સર્ચ માટે નીકળ્યો હતો. ગણતરીના કલાકોમાં જ અમદાવાદમાંથી 400થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની સાથે SOGની ટીમો પણ આ ઑપરેશનમાં જોડાઈ હતી.
ગુજરાત સરકારના આદેશ પર રાજ્યના મોટા શહેરોમાં તેમજ ગામડાઓમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવ્યા છે અને સરકારના નિર્દેશો પર મોડી રાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી અનુસાર, તમામ મહત્વના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને રાત્રિના બે વાગ્યે તમામને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ ભેગા થવાનું જણાવવામાં આવ્યું હતું.
સુરતમાંથી પણ પકડાયા 120થી વધુ બાંગ્લાદેશીઓ
આ સાથે જ સુરત પોલીસે પણ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું અને મોડી રાતે અનેક બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. 120થી પણ વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામને રોડ પર લાઈનસર ચલાવીને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. સુરતના ઉન, સચિન, સલામતપુરા, લિંબાયત અને લાલગેટ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. સુરત પોલીસની લગભગ 6 ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
માહિતી અનુસાર, આ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતની સરહદમાંથી ઘૂસ્યા હતા અને પશ્ચિમ બંગાળમાં એજન્ટ મારફતે ભારતીય દસ્તાવેજો બનાવીને દેશના વિવિધ શહેરોમાં ઘૂસતા હતા. ઘણા બાંગ્લાદેશીઓ પાસેથી ભારતના નકલી આધારકાર્ડ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે.
#WATCH | Ahmedabad, Gujarat: This morning, starting from 3 am, the Ahmedabad Crime Branch, along with teams from the SOG, EOW, Zone 6, and Headquarters, organised a combing operation to apprehend foreign immigrants residing illegally in Ahmedabad city. During this operation, more… pic.twitter.com/lYXvQiz0VV
— ANI (@ANI) April 26, 2025
આ કાર્યવાહી હેઠળ સુરત પોલીસના 100 જેટલા કર્મચારીઓ ઑપરેશનમાં જોડાયા હતા. જેમાં બે DCP, ચાર SP અને 10 જેટલા PI સામેલ હતા. માહિતી મળી રહી છે કે, ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું છે કે, જેટલા પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે, તેમની ઓળખ કરીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, અમદાવાદ અને સુરતમાંથી પકડાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની હાલ તપાસ કરવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ચાલી રહ્યું છે. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી હેઠળ તમામને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સુરત અને અમદાવાદમાં હાલ પણ બાંગ્લાદેશીઓને પકડવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.