Wednesday, May 7, 2025
More
    હોમપેજદેશઑપરેશન સિંદૂર: 9 આતંકી અડ્ડાઓનો સમૂળ નાશ, પાકિસ્તાનની અંદર 100 કિમી દૂર...

    ઑપરેશન સિંદૂર: 9 આતંકી અડ્ડાઓનો સમૂળ નાશ, પાકિસ્તાનની અંદર 100 કિમી દૂર પણ વરસી મિસાઇલો; પહલગામ, પઠાનકોટ, 26/11 હુમલાના આતંકીઓને જ્યાં મળી હતી ટ્રેનિંગ, એ ઠેકાણાં ઉડાવાયાં

    “આ ઑપરેશન 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં 9 આતંકવાદી કૅમ્પ ટાર્ગેટ કરીને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવ્યા.”

    - Advertisement -

    પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર વિશે ભારતીય સેનાએ સત્તાવાર રીતે પ્રેસ બ્રીફિંગ કરીને જાણકારી આપી છે. આ ઑપરેશનમાં કુલ 9 આતંકવાદી કૅમ્પ ટાર્ગેટ કરવામાં આવ્યા અને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવાયા. બુધવારે (7 મે) સવારે વિદેશ સચિવ વિક્રમ મિસરી, ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે પ્રેસ બ્રીફિંગમાં આ તમામ માહિતી આપી હતી. 

    કર્નલ સોફિયા કુરેશીએ ઑપરેશન વિશે જાણકારી આપતાં કહ્યું કે, કાર્યવાહી રાત્રે 1:05થી 1:30 વચ્ચે હાથ ધરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું, “આ ઑપરેશન 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં 9 આતંકવાદી કૅમ્પ ટાર્ગેટ કરીને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવ્યા.”

    આગળ કર્નલ કુરેશીએ તમામ કૅમ્પ વિશે પણ જાણકારી આપી હતી. જે આ પ્રમાણે છે. 

    - Advertisement -

    સવાઈ નાલા કૅમ્પ, મુઝફ્ફરાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. લશ્કર એ તૈયબાનું આ આતંકવાદી ઠેકાણું લાઈન ઑફ કન્ટ્રોલથી 30 કિલોમીટર દૂર છે. પહલગામ આતંકવાદી હુમલાના આતંકવાદીઓને અહીંથી જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કૅમ્પ સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો છે. ઑક્ટોબર 2024માં કાશ્મીરમાં થયેલા અમુક આતંકવાદી હુમલાના આતંકવાદીઓ પણ અહીંથી જ મોકલવામાં આવ્યા હતા. 

    સૈયદના બિલાલ કૅમ્પ, મુજફ્ફરાબાદ. જૈશ-એ-મોહમ્મદનો કૅમ્પ. હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઇવલ ટ્રેનિંગ માટેનું કેન્દ્ર. 

    ગુલપુર કૅમ્પ, કોટલી. LOCથી 30 કિલોમીટર દૂર લશ્કર-એ-તૈયબાનો કૅમ્પ. કાશ્મીરના રાજૌરી અને પૂંછ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓને અહીંથી અંજામ આપવામાં આવતો હતો. 20 એપ્રિલ, 2023ના રોજ પૂંછમાં અને 9 જૂન, 2024ના રોજ રિયાસીમાં તીર્થયાત્રીઓ પર થયેલા બસ હુમલાના આતંકવાદીઓને અહીં જ તાલીમ આપવામાં આવી હતી. 

    બરનાલા કૅમ્પ, ભીમ્બર. LoCથી 9 કિલોમીટર દૂર. અહીં આતંકવાદીઓને હથિયાર, હેન્ડલિંગ, IED અને જંગલ સર્વાઇવલની તાલીમ આપવામાં આવી રહી હતી. 

    અબ્બાસ કૅમ્પ, કોટલી. LoCથી 13 કિલોમીટર દૂર. લશ્કર-એ-તૈયબાના ફિદાયીનો અહીં તૈયાર કરવામાં આવતા હતા. 

    પાકિસ્તાનની અંદરના ટાર્ગેટ 

    સર્જલ કૅમ્પ, સિયાલકોટ. આંતરરાષ્ટ્રીય સરહદથી 6 કિલોમીટર અંતરે આવેલા આ આતંકવાદી અડ્ડા પર માર્ચ 2025માં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પર હુમલો કરનારા આતંકીઓને તાલીમ આપવામાં આવી હતી. અડ્ડો હવે ભૂતકાળ બની ગયો છે. 

    મહેમૂના જાયા કૅમ્પ, સિયાલકોટ. આંતરરાષ્ટ્રીય સરહદથી 12થી 18 કિલોમીટર આવેલ હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી અડ્ડો. કઠુઆ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓને અહીંથી જ અંજામ આપવામાં આવતો હતો. પઠાનકોટ એરફોર્સ બેઝ પરનો હુમલો અહીંથી જ પ્લાન કરવામાં આવ્યો હતો. આ હુમલાનો પણ બદલો લેવામાં આવ્યો છે. 

    મરકઝ તૈયબા, મુરીદકે. સરહદથી 18થી 25 કિલોમીટર દૂર છે. 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓને અહીંથી જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. અજમલ કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓ પણ અહીં જ તાલીમ પામ્યા હતા. 

    મરકઝ સુભાનલ્લાહ, બહાવલપુર. આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિલોમીટર દૂર આવેલું જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર પણ ઉડાવી દેવામાં આવ્યું છે. નોંધવું જોઈએ કે 2019નો પુલવામા હુમલો જૈશ-એ-મોહમ્મદે જ કરાવ્યો હતો. 

    ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ હવાઈ હુમલાઓ પૂર્વઆયોજિત રીતે, સંપૂર્ણ પ્લાનિંગ સાથે આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યા હતા અને તેમાં નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા નથી. અત્યાર સુધી હુમલામાં નાગરિક ક્ષતિની જાણકારી મળી નથી. ભારતીય સેનાએ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરીને આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કર્યા છે. 

    વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે કહ્યું કે, કોઈ પણ કોલેટરલ ડેમેજ ન થાય તે રીતે ટેકનોલોજી અને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરીને ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં નિશાન પર એક-બે ઇમારતો કે ઇમારતોના સમૂહ હતા. તમામ ટાર્ગેટને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવ્યા છે અને તે ભારતીય સેનાની ઑપરેશન પાર પાડવાની અદમ્ય ક્ષમતા દર્શાવે છે. હુમલામાં કોઈ સૈન્ય ઠેકાણાંને ટાર્ગેટ કરવામાં આવ્યાં નથી. અંતે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતીય સેનાએ બિલકુલ જવાબદારીપૂર્વક આ કાર્યવાહી કરી છે, પરંતુ પાકિસ્તાન પક્ષેથી હવે પછી કોઈ અવળચંડાઈ થઈ તો ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે અને આવી સ્થિતિમાં એટલી જ તીવ્રતાથી જવાબ પણ આપવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં