Wednesday, May 21, 2025
More

    ભારતીય સેનાએ લૉન્ચ કર્યું ‘ઑપરેશન સિંદૂર’: પાકિસ્તાન–POKમાં અનેક ઠેકાણે હવાઈ હુમલા, આતંકી અડ્ડાઓ તબાહ

    પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલાના પ્રતિશોધ માટે ભારતીય સેનાએ સ્પેશિયલ ઑપરેશન લૉન્ચ કરીને આતંકી ઠેકાણાંઓને તબાહ કરવાનાં શરૂ કરી દીધાં છે. 

    સેનાએ સત્તાવાર રીતે ઑપરેશનની ઘોષણા કરી છે, જેને ‘ઑપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અનેક ઠેકાણે હવાઈ હુમલાઓ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    બુધવારે (7 મે) મધ્ય રાત્રિએ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં નવ જેટલાં ઠેકાણાં ટાર્ગેટ કરવામાં આવ્યાં હોવાનું સેનાએ કહ્યું છે. સાથે જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેનાને ટાર્ગેટ કરવામાં આવી નથી, પરંતુ આતંકવાદીઓનાં જ્યાં ઠેકાણાં હતાં અને જ્યાંથી ભારતવિરોધી આતંકી ગતિવિધિઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો એ ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યાં છે. 

    સેનાએ પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ બર્બર હુમલામાં માર્યા ગયેલા ભારતીયો અને એક નેપાળી નાગરિકના મૃત્યુ પાછળ જે કોઈ પણ જવાબદાર હશે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

    બીજી તરફ, સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અને POKમાં ભારતીય સેનાએ કરેલા હવાઈ હુમલાઓના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં મિસાઇલો વરસતી જોવા મળે છે. 

    આ વિડીયોમાં એકસાથે અનેક ઠેકાણે મિસાઈલ વડે થતા હુમલાઓ જોઈ શકાય છે.