પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) લૉન્ચ કરીને પાકિસ્તાન સમર્થિત આતંકીઓને (Terrorists) વીણીવીણીને મારવાનું શરૂ કર્યું છે. 7 મે 2025ના રોજ ભારતે આતંકીઓના ગઢ પર પ્રથમ પ્રહાર કર્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) 9 આતંકી ઠેકાણાં તબાહ કરી નાખ્યાં હતાં. ભારતીય સેનાના આ હુમલામાં 100થી વધુ આતંકીઓ સ્વાહા થઈ ગયા હતા. આ જ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરના પરિવારના 10થી વધુ સભ્યો ઠાર થયા હતા. હવે ભારતે 7 મેના રોજ ઑપરેશન સિંદૂરમાં ઠાર થયેલા ટોચના આતંકીઓનાં નામ પણ જાહેર કર્યાં છે.
ભારતીય સેનાના પ્રહારમાં ઠાર થયેલા 100થી વધુ આતંકીઓમાં ટોચના પાંચ આતંકીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુદસ્સર ખાદિયન ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફે અબુ જંદાલ, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ ઉર્ફ અબુ અકાશા અને મોહંમદ હસન ખાનના નામ સામેલ છે. તે સિવાય મીડિયા રિપોર્ટ્સમાં બે અન્ય નામ પણ સામે આવ્યાં છે. જેમાં અબ્દુલ રહેમાન મક્કી અને મૌલાના અબ્દુલ રઉફ અઝહર સામેલ છે. આ તમામ આતંકીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડરો હતા.
કોણ હતા આ આતંકીઓ? જેના જનાજામાં પાકિસ્તાની સેના પણ થઈ હતી સામેલ
મુદસ્સર ખાદિયન ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફે અબુ જંદાલ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો આતંકી હતો. તેના જનાજાની નમાજ એક ‘સરકારી સ્કૂલ’માં થઈ હતી. જેનું નેતૃત્વ જમાત-ઉદ-દાવાના (એક નામી વૈશ્વિક આતંકી સંગઠન) હાફિઝ અબ્દુલ રઉફે કર્યું હતું. જનાજાની નમાજમાં પાકિસ્તાની સેનામાં સેવારત લેફ્ટિનેન્ટ જનરલ અને પંજાબ પોલીસનો IG સામેલ થયો હતો.
Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources
— ANI (@ANI) May 10, 2025
1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…
હાફિઝ મુહમ્મદ જમીલ જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતો અને મૌલાના મસૂસ અઝહરનો સૌથી મોટો સાળો હતો. આ ઉપરાંત તે બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહનો (જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર) ચીફ પણ હતો. તે યુવાનોને કટ્ટરપંથી બનાવીને જૈશ-એ-મોહમ્મદમાં સામેલ કરવાનું કામ કરતો હતો.
મોહમ્મદ યુસુફ અઝહર પણ મસૂદ અઝહરનો સાળો હતો. તેણે 1999માં ઇન્ડિયન એરલાઇનની ફ્લાઇટ IC 814ને હાઈજેક કરવાનું નેતૃત્વ કર્યું હતું. તે હથિયારોની તાલીમ આપતો હતો અને બાલાકોટમાં આતંકી છાવણીનું નેતૃત્વ કરતો હતો. 2019માં બાલાકોટમાં પણ ભારતીય સેનાએ બૉમ્બ વરસાવ્યા હતા. તે સમયે આ આતંકી બચી ગયો હતો, જે હવે 2024માં દફન થઈ ગયો છે.
ખાલિદ ઉર્ફે અબુ અકાશા લશ્કરનો કમાન્ડર હતો અને અફઘાનિસ્તાનથી હથિયારોની તસ્કરી કરવામાં સામેલ હતો. તે જમ્મુ-કાશ્મીરમાં થયેલા અનેક આતંકી હુમલામાં સામેલ હતો. ફૈસલાબાદમાં આયોજિત તેના જનાજામાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદનો ડેપ્યુટી કમિશનર પણ હાજર રહ્યો હતો.
મોહમ્મદ હસન ખાન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો આતંકી હતો. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશના ઑપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો દીકરો હતો. તેણે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. આ પહેલાં સમાચાર એવા પણ આવ્યા હતા કે, મસૂદ અઝહરનો ભાઈ મૌલાના અબ્દુલ રઉફ અઝહર પણ ભારતીય સેનાના હુમલામાં માર્યો ગયો હતો.