Wednesday, May 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશનિવારની રાત્રીએ જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર પર ચાદર ચડાવવાનો પ્રયાસ; નજીકમાં જ ચાલી રહ્યું...

    શનિવારની રાત્રીએ જ્યોતિર્લીંગ ત્રંબકેશ્વર પર ચાદર ચડાવવાનો પ્રયાસ; નજીકમાં જ ચાલી રહ્યું હતું ઉર્સનું આયોજન

    મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા આ જ્યોતિર્લીંગ પર ચાદર ચડાવવાનો પ્રયાસ અહીંના જાગૃત ગાર્ડઝ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ભગવાન શંકરના દ્વાદશ જ્યોતિર્લીંગમાંથી એક એવા ત્રંબકેશ્વર મહાદેવના શિવલિંગ પર જબરદસ્તીથી ચાદર ચડાવવાનો પ્રયાસ થયો હોવાના આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા આ જ્યોતિર્લીંગ પર ચાદર ચડાવવાનો પ્રયાસ અહીંના જાગૃત ગાર્ડઝ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને બ્રાહ્મણ મહાસભાએ આ ઘટનાની ઊંડી તપાસ કરવાની માંગણી કરી છે.

    ગત શનિવારે રાતે ત્રંબકેશ્વર મંદિરમાં કેટલાક મુસ્લિમોએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં રહેલાં સુરક્ષાકર્મીઓએ આ પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો. જે લોકો મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ અહીં એક ધાર્મિક ઉર્સના કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતાં. સુરક્ષાકર્મીઓએ ફક્ત તેમનાં આ પ્રયાસને નિષ્ફળ જ ન બનાવ્યો પરંતુ તુરંત જ પરિસ્થતિને કાબુમાં લઇ લીધી હતી. અહીંના પુજારીઓએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જો કે પોલીસ દ્વારા છેલ્લા સમાચાર મળ્યાં ત્યાં સુધી કોઈજ કાર્યવાહી ન કરવામાં આવતા વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

    મંદિર પ્રશાસને આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ગત શનિવાર (13 મે 2023) રાત્રે 9:41 વાગ્યે આ ઘટના ઘટી હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રંબકેશ્વર મંદિરના ઉત્તર દ્વારથી થોડી જ દૂર ઉર્સનું આયોજન ચાલી રહ્યું હતું અને ત્યાંથી જ કેટલાક મુસ્લિમોએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ મંદિરમાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ છે અને જે લોકોને હિંદુ ધર્મમાં આસ્થા નથી તેમનાં માટે અહીં પ્રવેશ વર્જ્ય છે.

    - Advertisement -

    દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્થાનિક પોલીસને આ મામલે તપાસ શરુ કરી દેવા અંગે માંગણી કરવામાં આવી છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે આ પ્રકારની આઘાતજનક ઘટનાને કારણે સામાજિક તાણાવાણાને પણ નુકસાન પહોંચી શકે છે. ભવિષ્યમાં આ બાબતની ઘટના ફરીથી ન ઘટે તે માટે પોલીસને વિનંતી કરવામાં આવી છે.

    અત્રે એ નોંધનીય છે કે ત્રંબકેશ્વરનું જ્યોતિર્લીંગ નીલગીરી, બ્રહ્મ્ગીરી અને કલાગીરીના પર્વતોની મધ્યમાં સ્થિત છે. આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ લીંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં મોગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા આ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પેશ્વા બાલાજી બાજીરાવે તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં