Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં બોમ્મઈ સરકારનો મહત્વનો નિર્ણય: 4% મુસ્લિમ કોટા રદ...

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં બોમ્મઈ સરકારનો મહત્વનો નિર્ણય: 4% મુસ્લિમ કોટા રદ કર્યો; કોંગ્રેસે જારી કરી 124 ઉમેદવારોની લિસ્ટ

    સીએમ બોમ્મઈએ કહ્યું કે, ધાર્મિક લઘુમતીઓના કોટાને રદ કરવામાં આવશે અને કોઈપણ શરતમાં ફેરફાર કર્યા વિના EWS જૂથના 10 ટકા પૂલ હેઠળ લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ EWS કોટા 10 ટકા છે.

    - Advertisement -

    કર્ણાટકમાં નિર્ણાયક સાબિત થનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને બસવરાજ બોમ્મઈ સરકારે રાજ્યના રિઝર્વેશન કોટામાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. આ અંતર્ગત ઓબીસી મુસ્લિમો માટે ચાર ટકા કોટાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને હવે 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની શ્રેણીમાં લાવવામાં આવશે.

    નવા ફેરફાર સાથે મુસ્લિમોએ હવે EWS કોટા સાથે મુકાબલો કરવો પડશે, જેમાં બ્રાહ્મણ, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શુક્રવારે યોજાયેલી કેબિનેટ મીટિંગમાં કર્ણાટક સરકારે આરક્ષણ કોટાને 50 ટકાથી વધારીને 56 ટકા કર્યો છે.

    કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સીએમ બોમ્મઈએ કહ્યું કે, ધાર્મિક લઘુમતીઓના કોટાને રદ કરવામાં આવશે અને કોઈપણ શરતમાં ફેરફાર કર્યા વિના EWS જૂથના 10 ટકા પૂલ હેઠળ લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ EWS કોટા 10 ટકા છે.

    - Advertisement -

    4% કોટા બે ભાગમાં વિભાજીત થશે

    સીએમ બોમ્મઈએ બેઠક બાદ કહ્યું કે, રાજ્યમાં લઘુમતીઓ માટે 4 ટકા આરક્ષણ હવે સમાન રીતે ફાળવવામાં આવશે. તેને 2C અને 2D એમ બે ભાગમાં વહેંચવામાં આવશે. આ કોટામાં વોક્કાલિગા અને લિંગાયત સમુદાયના લોકોને સામેલ કરવામાં આવશે. તેમનું આરક્ષણ 4 ટકાથી વધીને 6 ટકા થઈ જશે. તો, વીરશૈવ પંચમસાલી અને લિંગાયત સમુદાયને જે 5 ટકા આરક્ષણ મળી રહ્યું હતું તે હવે 7 ટકા મળશે.

    કોંગ્રેસે જારી કરી 124 ઉમેદવારોની લિસ્ટ

    બીજી તરફ કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે 124 ઉમેદવારોની લિસ્ટ બહાર પાડી છે. એક અહેવાલ મુજબ, સિદ્ધારમૈયા વરુણાથી ચૂંટણી લડશે અને ડીકે શિવકુમાર કનકપુરાથી મેદાનમાં ઉતરશે. પાર્ટીમાં પરિવારવાદના બીજેપીના આરોપોને ફગાવી દેનારી કોંગ્રેસે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દીકરા પ્રિયાંકને પણ ટિકિટ આપી છે. તેઓ ચિતાપુરથી ચૂંટણી લડશે.

    આ ઉપરાંત, એમબી પાટિલને બાબલેશ્વર, દિનેશ ગુંડ્ડુરાવને ગાંધીનગર, બીજેપી મૂકીને કોંગ્રેસમાં આવનારા એમએલસી પુત્તન્નાને રાજાજીનગર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેએચ મુનિયપ્પાને દેવનહલ્લીથી કોંગ્રેસની ટિકિટ મળી છે. તો મેંગ્લોરથી યુ.ટી. અબ્દુલ ખાદર અલી ફરીદ, શૃંગેરીથી ટીડી રાજગૌડા, શિવાજી નગરથી રિઝવાન ઇરશદ, વિજય નગરથી એમ કૃષ્ણમ્પ્પા અને બેલ્લારી આરક્ષિત સીટથી બી નાગેન્દ્રને ટિકિટ આપવામાં આવી છે.

    ચૂંટણી પંચ કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે આગામી મહિનામાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023ના રોજ સમાપ્ત થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં