ઉત્તર પ્રદેશના કાનપુરમાં (Kanpur) લગભગ 3 મહિનાથી ચાલી રહેલ વક્ફ બોર્ડની (Waqf Board Property’s Survey) સંપત્તિઓનો સરવે પૂર્ણ થઇ ગયો છે. આ સર્વેક્ષણમાં ચાર તાલુકાઓમાં કુલ 1,669 મિલકતોની ઓળખ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે બધી મિલકતોનો સરવે કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલી આપ્યો છે, જે આગળની કાર્યવાહી માટે સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મૂકવામાં આવશે.
આ 1669 મિલકતોમાંથી સદર તહસીલમાં સુન્ની વકફ બોર્ડની 914 મિલકતો અને શિયા વક્ફ બોર્ડની 34 મિલકતો છે. આ ઉપરાંત, ઘાટમપુર તાલુકામાં 189, બિલહોરમાં 388 અને નરવાલમાં 144 વક્ફ મિલકતો છે. આમાંથી લગભગ 548 મિલકતો સરકારી મિલકતો છે. જેના પર મસ્જિદો અને કબ્રસ્તાનો ઉભા કરી દેવામાં આવ્યાં છે.
મહેસૂલ વિભાગ પાસે આ મિલકતોનો સંપૂર્ણ રેકોર્ડ નથી. જિલ્લા વહીવટીતંત્રે તમામ મિલકતોનો સરવે કર્યો અને રિપોર્ટ સરકારને મોકલી આપ્યો છે. હવે સંયુક્ત સંસદીય સમિતિ આ રિપોર્ટનો અભ્યાસ કરશે અને આગળની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું હતું કે, વક્ફ બોર્ડે જે-જે જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હશે તેને મુક્ત કરાવવામાં આવશે.
આ પહેલાંનો સરવે વિરોધના પગલે અટક્યો
જોકે, સરકારના આદેશ પર 2021માં પણ મિલકતોનો આવો જ સરવે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધના કારણે બંધ કરાવી દેવાયો હતો. હવે વહીવટીતંત્રે નવેસરથી હાથ ધરેલી કાર્યવાહીમાં 89 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી 548 સરકારી મિલકતોની ઓળખ કરી છે. સુન્ની વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ મિલકતો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત પરેડ વિસ્તારની આસપાસની ઘણી મિલકતો વક્ફ બોર્ડેના નામે હોવાનું પણ જાણવા મળ્યું છે.
DNA | Big revelation in survey of Waqf properties#DNA #DNAWithAnantTyagi #Kanpur #WAQFBoard #KanpurNews #Mahakumbh2025 #UPNews
— DNA (@dna) January 16, 2025
For more videos, click here https://t.co/6ddeGFqM3o pic.twitter.com/DEtodRp5Z4
વક્ફની આ મિલકતોમાં ઇદગાહ, મસ્જિદ, કબ્રસ્તાન, મુસ્લિમ યતીમખાના વગેરેનો સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં વક્ફ બોર્ડની મિલકતો છે ત્યાં જમીનની કિંમત સૌથી વધુ છે. નોંધનીય છે કે સુન્ની વકફ હેઠળની મિલકતોમાં મુસ્લિમ યતીમખાના, નવાબગંજમાં ખૈરત અલી મસ્જિદ, નીલ વાલી ગલીમાં એક સંપત્તિ, પરેડમાં વક્ફ મસ્જિદ, ખાલવા કબ્રસ્તાન, પાર્વતી બાગલા રોડ પર મકબરો અને દરગાહનો સમાવેશ થાય છે.
આ સિવાય ફઝલગંજમાં ફઝલ હુસૈન હાતા અને અનવરગંજમાં શેખ અબ્દુલ રહીમ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિયા વક્ફ મિલકતોમાં ગ્વાલટોલીમાં નવાબ બહાદુરની મિલકત, કર્નલગંજમાં હાદી બેગમ અને સરદાર બેગમની મિલકતો અને ગ્વાલટોલીના સુટરગંજમાં વક્ફ હાજી મોહમ્મદ અલી ખાનની મિલકત આવેલી છે.