CJPએ આંદોલન સમેટ્યું છતાં રાહુલ ગાંધીનો અરાજકતા ફેલાવવાનો પ્રયાસ: વિડીયો જારી કરી સમાજના અન્ય વર્ગોને ‘રસ્તા પર આવવા’ ભડકાવ્યા, કેજરીવાલે પણ પૂરાવ્યો સૂર

NEET-UG પેપર લીકના મુદ્દે CJPનું જે આંદોલન ચાલી રહ્યું હતું તે સરકારી મંત્રીઓ સાથેની સફળ વાટાઘાટો બાદ સમેટાઈ ગયું છે. CJPએ પ્રદર્શનકારીઓને પરત ફરવાની અપીલ કરી દીધી છે. છતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરીને દેશમાં અરાજકતા ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ જણાય છે.

નોંધનીય છે CJPના આંદોલન દરમિયાન પણ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી આવાસ બહાર અરાજકતા સર્જીને હોબાળા કર્યા હતા. હવે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જારી કર્યો છે જેમાં પ્રદર્શનકારીઓને અભિનંદન આપવાની સાથે સાથે ખેડૂતો, મજૂરો અને ગરીબો જેવા સમાજના અન્ય વર્ગોને પણ સરકાર સામે ઉતરી આવવા અને આ સરકારને ઉથલાવી દેવા ઉશ્કેર્યા છે.

રાહુલ ગાંધીએ આટલેથી ન અટકતા બે નવી માંગણીઓ મૂકીને વાતાવરણ ગરમ રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કરેલી કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા જવાબદારો સામે પગલાં લેવાની અને આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાતે દેશના વિદ્યાર્થીઓની માફી માગે તેવી માંગ કરી છે.

અન્ય કોંગ્રેસી નેતાઓની નિવેદનબાજી

કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ મુદ્દે સરકારવિરોધી નિવેદનો કરીને જનતાને ભડકાવી રહ્યા છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંને વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી પરંતુ સાથે સાથે આ વિરોધને માત્ર એક શરૂઆત ગણાવીને આગામી દિવસોમાં પણ વિરોધનું રાજકારણ ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા.

આ જ શ્રેણીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અર્વિંદ કેજરીવાલે પણ પોતાનો સૂર પુરાવ્યો હતો. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંને ‘લોકશાહીની મોટી જીત’ ગણાવી હતી. કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો મેસેજ જાહેર કરીને ‘જેન-Z’ના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે લોકોના અવાજે સરકારના અહંકારને તોડી નાખ્યો છે.

વિપક્ષ દ્વારા વાતાવરણ બગાડવાના પ્રયાસો વચ્ચે સરકારે શિક્ષણ વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે કડક પગલાં લીધાં છે. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક કરનારાઓ સામે 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ ધરાવતા સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓને હટાવીને સંસ્થાના સંપૂર્ણ સુધારાની પ્રક્રિયા હાથ ધરી છે.