યુનાઇટેડ નેશન્સમાં (United Nations) ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેઝન્ટેટિવ યોજના પટેલે (Yojana Patel) પાકિસ્તાનના (Pakistan) કબૂલનામાને જ પુરાવા તરીકે રજૂ કરીને પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું (Khawaja Asif) કબૂલાનામું જ એ સાબિત કરવા માટે પૂરતું છે કે પાકિસ્તાનનો ઈતિહાસ જ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે, જે પાકિસ્તાનને એક દુષ્ટ દેશ તરીકે સ્થાપિત કરે છે.
આતંકવાદનો ભોગ બનેલા દેશોના નેટવર્કની શરૂઆતના અવસરે બોલતાં તેમણે કહ્યું કે, “એ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક ખાસ પ્રતિનિધિમંડળે આ મંચનો દુરુપયોગ કરવાનું અને તેને નબળું પાડવાનું પસંદ કર્યું, જેથી તે ખોટા પ્રચારમાં સામેલ થઈ શકે અને ભારત વિરુદ્ધ નિરાધાર આરોપો લગાવી શકે.”
આતંકવાદી સંગઠનોને તાલીમ અને ફંડિંગ આપતું પાકિસ્તાન – ભારત
તેમણે કહ્યું કે, “હાલમાં જ આખી દુનિયાએ ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફને આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને નાણાં આપવાના પાકિસ્તાનના ભૂતકાળને સ્વીકારતા સાંભળ્યા છે. આ રક્ષામંત્રીનું ખુલ્લું કબૂલનામું છે, જે કોઈને આશ્ચર્યચકિત કરતુ નથી, પરંતુ પાકિસ્તાનને એક દુષ્ટ રાષ્ટ્ર તરીકે ઉજાગર કરે છે, જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને પ્રદેશને અસ્થિર કરી રહ્યું છે. દુનિયા હવે વધુ સમય સુધી આંખો બંધ કરીને ન રહી શકે.”
#WATCH | Ambassador Yojna Patel, India's Deputy Permanent Representative at the UN says, "The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. Having been a victim of cross-border terrorism for… pic.twitter.com/ltwQxJN2iP
— ANI (@ANI) April 29, 2025
યોજના પટેલે કહ્યું કે 2008ના મુંબઈ હુમલા પછી 17 વર્ષ પછી પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારત સતત સરહદ પારના આતંકવાદથી પીડાય છે, તેથી તે આતંકવાદી હુમલાની અસરને સારી રીતે સમજે છે.
દુનિયાએ આ હુમલાની તીવ્ર નિંદા કરી છે અને મોટાભાગના મહત્વના દેશોના નેતાઓનું સમર્થન ભારતને મળ્યું છે. આવા સમયે પાકિસ્તાન જબરજસ્તીથી દુષ્પ્રચાર ફેલાવીને દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાની રક્ષા મંત્રીનું નિવેદન
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે હાલમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદીઓને નાણાં આપવાનો ઇતિહાસ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાન આ ગંદું કામ અમેરિકા માટે કરતું રહ્યું છે.”
ખ્વાજા આસિફે ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું હતું કે, “લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાન સાથે સંબંધ રહ્યો છે. અહીં લશ્કર-એ-તૈયબાના ઘણા સંપર્કો છે, જોકે હવે આ સંગઠન ખતમ થઈ ગયું છે.”