ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાં ધ્વસ્ત કરી દીધા બાદ પાકિસ્તાનની સેનાએ સરહદ પર ભારતીય સેનાનાં અમુક ઠેકાણાંને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ નિષ્ફળ બનાવવાં આવ્યા. ત્યારબાદ ભારતે વળતો હુમલો કરીને પાકિસ્તાનની અનેક એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમને ટાર્ગેટ કરી, જેમાં લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ ફૂંકી મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Operation Sindoor
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 8, 2025
Pakistan's Bid to Escalate Negated- Proportionate Response by India.https://t.co/E6e65goX9R#OperationSindoor@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India pic.twitter.com/mURL8hplRA
રક્ષા મંત્રાલયે એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડીને આ તમામ બાબતો જણાવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, 7 અને 8 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, ભટિંડા, આદમપુર, ચંડીગઢ, નાલ, ફાલોદી, ઉત્તરલજ, ભુજ વગેરે સ્થળો પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. આ તમામને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી નિષ્ફળ બનાવવામાં આવ્યા. સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ સ્થળેથી જે કાટમાળ મળ્યો છે, તે પુષ્ટિ કરે છે કે હુમલા પાકિસ્તાની હતા.
ભારતે વળતા જવાબમાં પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને ટાર્ગેટ બનાવ્યાં હોવાનું પણ રક્ષા મંત્રાલયે જણાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાને જે તીવ્રતાથી હુમલો કર્યો હતો એ જ તીવ્રતાથી જવાબ પણ આપવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે.
રક્ષા મંત્રાલય અનુસાર, પાકિસ્તાન લાઇન ઑફ કન્ટ્રોલ પર પણ સતત ગોળીબાર કરી રહ્યું છે, જેમાં કુપવાડા, બારામૂલા, ઉડી, પૂછ, મેંધાર, રાજૌરી સેક્ટર પર નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓમાં 16 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો છે.
આ ગોળીબારના જવાબ સ્વરૂપે ભારતે પણ મોર્ટાર વડે વળતો હુમલો કર્યો હતો. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વધુ સંઘર્ષ ઇચ્છતા નથી, પણ જો પાકિસ્તાન વધુ અવળચંડાઈ કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.