પહલગામના આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ એક તરફ મોદી સરકારે (Modi Government) નવા-નવા નિર્ણયો લઈને પાકિસ્તાનને (Pakistan) ઘેરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ સતત યુદ્ધની અને પરમાણુની ધમકીઓ આપી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જો ભારત સાથે યુદ્ધ થયું તો ચાર દિવસ સુધી પણ પાકિસ્તાન મેદાનમાં ટકી શકે તેમ નથી. તેનું કારણ એ છે કે, આતંકી દેશની સેના પાસે 4 દિવસ સુધીની જ યુદ્ધસામગ્રી છે. દારૂગોળા, હથિયારો અને અન્ય સામગ્રી માત્ર 4 દિવસ સુધી ચાલી શકે તેમ છે. તેમ છતાં પાકિસ્તાના નેતાઓ ‘જવાબી કાર્યવાહી કરીશું’ની વાતો કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં યુદ્ધસામગ્રીની અછતનું કારણ યુક્રેન સાથે થયેલો હથિયારોનો સોદો પણ હોય શકે છે. આ કારણે પાકિસ્તાનનો યુદ્ધ ભંડાર હવે તળિયા સુધી પહોંચી ગયો છે. સૂત્રોને ટાંકીને અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સંઘર્ષના ભય વચ્ચે ‘પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી (POF), જે સૈન્યને દારૂગોળા પૂરા પાડે છે, તે વધતી જતી વૈશ્વિક માંગ અને તેની જૂની ઉત્પાદન સુવિધાઓ વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે સંઘર્ષરત છે.
96 ક્લાક સુધીની જ યુદ્ધસામગ્રી
ઘણા પાકિસ્તાની નેતાઓનો દાવો છે કે, પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારત ચોક્કસ સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે એવું પણ કહ્યું છે કે, તેમની પાકિસ્તાની સેના ભારતીય સુરક્ષાદળોના હુમલાનો યોગ્ય જવાબ આપશે. જોકે, વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ છે. સૂત્રોના હવાલેથી જણાવાયું છે કે, ઘટતા પુરવઠાના કારણે પાકિસ્તાનમાં દારૂગોળા અને હથિયારોનો સ્ટોક ફક્ત 96 કલાલ માટે યુદ્ધનો સામનો કરવા સક્ષમ છે.
પાકિસ્તાનની લશ્કરી નીતિ સામાન્ય રીતે ભારતીય સેનાની સંખ્યાત્મક શ્રેષ્ઠતાનો સામનો કરવા માટે ઝડપી ગતિશીલતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતીય લશ્કરી કાર્યવાહીને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાની સેના પાસે તેના M109 હૉવિત્ઝર માટે 155 મીમી શેલ અથવા BM-21 સિસ્ટમ માટે 122 મીમી રોકેટની જરૂરી સંખ્યા ઉપલબ્ધ નથી. એપ્રિલમાં X પર ઘણી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 155 મીમીના તોપના ગોળા યુક્રેનને મોકલી આપવામાં આવ્યા છે, જેના કારણે હવે પાકિસ્તાન પાસે કશું વધ્યું નથી.
પાકિસ્તાની સેનાએ રાશનમાં પણ મૂકવો પડ્યો કાપ
સૂત્રો અનુસાર, પાકિસ્તાની રક્ષા વિભાગ દારૂગોળાની નોંધપાત્ર અછતના કારણે ખૂબ ચિંતિત અને ભયભીત છે. 2 મેના રોજ સ્પેશ્યલ કોર કમાંડર્સ કૉન્ફરન્સમાં આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ પહેલાં જ પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ બાજવાએ સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાન પાસે ભારત સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરવા માટે દારૂગોળા અને આર્થિક તાકાતનો અભાવ છે.
ગુપ્તચર અહેવાલોને ટાંકીને સૂત્રોના દાવાના આધારે કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાને સંભવિત ભારતીય હુમલાની અપેક્ષાએ ભારત-પાકિસ્તાન સરહદ નજીક દારૂગોળાના ડેપો બનાવ્યા છે. આ સાથે જ પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર તેની નબળી અર્થવ્યવસ્થા છે. વધુમાં નાગરિકો અને સરકારી નોકરિયાતોને પણ જરૂરી સેવા આપી શકે તેવી સ્થિતિમાં નથી. ફુગાવો ચરમસીમાએ છે, GDPની સરખામણીએ દેવાનો મોટો પહાડ છે અને ફોરેન રિઝર્વ પણ નીચલા સ્તરે છે. સ્થિતિ એવી છે કે, પાકિસ્તાની સેનાને ઈંધણની અછતના કારણે રાશનમાં કાપ મૂકવાની અને સૈય અભ્યાસ સ્થગિત કરવાની ફરજ પડી છે.