ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા એક વ્યાપક આતંકી મોડ્યુલના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકીઓએ પોલીસને જણાવ્યું છે કે તેમના મોડ્યુલે મુંબઈના એક જાણીતા નેતાની હત્યાની યોજના ઘડી હતી અને અન્ય દક્ષિણપંથી નેતાઓ પણ તેમના ટાર્ગેટ પર હતા. આ ઉપરાંત, આતંકીઓ ભારતભરમાં મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરનાર હિંદુ યુવાનોને પણ ટાર્ગેટ બનાવીને તેમને મારવા માંગતા હતા. આ ઘટસ્ફોટે કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે.
મેવાતથી દિલ્હી સુધી હથિયારોની તસ્કરી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના એડિશનલ પોલીસ કમિશનર પ્રમોદ સિંઘ કુશવાહાના જણાવ્યા અનુસાર, આ આરોપીઓ તેમના મોડ્યુલની તાકાત (સંખ્યાબળ) વધારવા માટે નવા સભ્યોને ભરતી કરી રહ્યા હતા. મોડ્યુલના મુખ્ય સભ્યોમાંથી આફતાબ નાસિર કુરેશી અને સુફિયાન અબુબકરને મુંબઈના એક નેતાને નિશાન બનાવવાની જવાબદારી સોંપાઈ હતી. તેના માટે તેઓ હથિયારો લઈને દિલ્હી આવ્યા હતા. આ લોકો હરિયાણાના મેવાતથી (નૂંહ) હથિયારો લાવ્યા હતા.
મેવાતમાંથી એક શખ્સ તેમને હથિયારો પહોંચાડવા દિલ્હી આવ્યો હતો. જ્યારે તેઓ આ હથિયારો સાથે ટ્રેનથી મુંબઈ નીકળવા જઈ રહ્યા હતા, તે જ સમયે સ્પેશિયલ સેલના ACP રાહુલ વિક્રમ અને ઈન્સ્પેક્ટર વિનયપાલની ટીમે તેમની ધરપકડ કરી લીધી હતી. તેમના કબજામાંથી પિસ્તોલો અને કારતૂસ મળ્યા છે. આ ઉપરાંત, મોડ્યુલના મુખ્ય આતંકી દાનિશની (અન્ય નામો: CEO, ગઝબા, પ્રોફેસર) રાંચીમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જે આ જૂથનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
હિંદુ યુવાનોને ટાર્ગેટ કરવાનું કાવતરું
તપાસમાં વધુ એ સામે આવ્યું છે કે મધ્ય પ્રદેશના કામરાન નામના એક આરોપીને મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરનાર હિંદુ યુવાનોને મારવાનું કામ સોંપાયું હતું. દાનિશે આ કામ માટે તેલંગાણામાંથી પણ હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મેળવી હતી. તેલંગાણાના મુઝાફા નામના આરોપીની પણ ધરપકડ કરાઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ISIS-સમર્થિત જૂથ ભારતમાં પોતાનું નેટવર્ક જાણીજોઈને વિસ્તારી રહ્યું હતું. દાનિશ અને તેના સાથીઓએ 80થી વધુ યુવાનોને મજહબના નામે બ્રેઇનવોશ કરીને મોડ્યુલમાં સામેલ કરી દીધા હતા. તપાસમાં પાકિસ્તાનની ISIના એક હેન્ડલરનું પણ નામ સામે આવ્યું છે, જે ISISમાં યુવાનોને ભરતી કરવાનું કામ કરતો હતો.
દિલ્હી પોલીસનો કાઉન્સેલિંગ પ્રોગ્રામ
પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, આવા આતંકી જૂથો મજહબના નામે યુવાનોને ગુમરાહ કરે છે. તેનો સામનો કરવા દિલ્હી પોલીસ એક ખાસ કાર્યક્રમ ચલાવે છે, જેમાં આવા વ્યક્તિઓને કાઉન્સેલિંગ આપીને તેમના પરિવારોને સોંપવામાં આવે છે. સ્પેશિયલ સેલના ડેપ્યુટી કમિશનર અમિત કૌશિકે જણાવ્યું કે, આ મોડ્યુલ સાથે જોડાયેલા યુવાનોને પણ આ કાર્યક્રમ હેઠળ કાઉન્સેલિંગ આપવામાં આવશે.
આ ધરપકડો દિલ્હી, રાંચી, મુંબઈ અને તેલંગાણામાં દરોડા દ્વારા કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય એજન્સીઓની પણ ભાગીદારી હતી. પોલીસે હથિયારો, વિસ્ફોટક સામગ્રી, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને રાસાયણિક પદાર્થો જપ્ત કર્યા છે, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. આ મોડ્યુલ ‘ગઝવા-એ-હિન્દ’ જેવી વિચારધારા પર આધારિત હતું અને ભારતમાં ઇસ્લામી ખિલાફત સ્થાપવાના ઇરાદે કામ કરતું હતું.
‘ભગવા લવ ટ્રેપ’નો પ્રોપગેન્ડા
આ ઇસ્લામી જૂથો માત્ર લક્ષિત હત્યાઓને જ પ્રોત્સાહન નથી આપતા, પરંતુ મુસ્લિમ યુવતીઓના વ્યક્તિગત જીવનને નિયંત્રિત કરવા માટે ઓનલાઈન પ્રોપેગેન્ડા પણ ચલાવે છે. ‘ભગવા લવ ટ્રેપ’ નામનું આ કેમ્પેઈન તેનું એક ઉદાહરણ છે. જેમાં હિંદુ યુવાનોને મુસ્લિમ યુવતીઓના ‘શિકારી’ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવે છે.
આ કેમ્પેઈનમાં હિંદુ પુરુષો સાથે મિત્રતા કરતી મુસ્લિમ યુવતીઓની વ્યક્તિગત વિગતો X અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે, જેમાં ગાળ અને ધમકીઓનો સમાવેશ થાય છે. પોસ્ટરો અને બેનરો દ્વારા મુસ્લિમ સમુદાયને ‘મજહબનું રક્ષણ’ કરવાની અપીલ કરવામાં આવે છે. તેના કારણે અનેક ઘટનાઓમાં મુસ્લિમ યુવતીઓને હેરાનગતિ, ધમકીઓ અને હુમલાઓનો ભોગ બનવું પડ્યું છે, જેમાં ઓનલાઈન ડોક્સિંગ પણ સામેલ છે.
મહત્વની વાત એ છે કે આ કેમ્પેઈનમાં આરોપો તમામ પાયાવિહોણાં હોય છે. આવી ઘટનાઓમાં જે હિંદુ યુવાનોનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેમણે તેમની ઓળખ ક્યારેય છુપાવી જ નહોતી. તેમને સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ, ધાર્મિક ચિહ્નો જેમ કે કલાવા અને વાસ્તવિક નામોથી જ ઓળખવામાં આવે છે. આ ‘લવ જેહાદ’ જેવી ઘટનાથી તદ્દન અલગ છે. કારણ કે હિંદુ યુવાનો પોતાની ઓળખ નથી છુપાવતા. વાસ્તવિક સમસ્યા એ છે કે કટ્ટરપંથીઓ બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચેના સ્વૈચ્છિક સંબંધોનો વિરોધ કરે છે.


