નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામે ચાર રસ્તા ઉપર છેલ્લા થોડા સમયથી લગાવવામાં આવેલા ભગવા ઝંડા ગ્રામ પંચાયત દ્વારા અચાનક હટાવાતાં ભારે વિવાદ થયો હતો. આ મામલે હિંદુ સંગઠનો દ્વારા કાયદેસર ફરિયાદ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા બાદ ગામના સરપંચે માફી માંગીને ફરીથી ઝંડા લગાવી દીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા સમય પહેલાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાનકુવા ચાર રસ્તા પર આવેલા સર્કલ ખાતે પ્રભુ શ્રીરામના તેમજ ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઝંડાઓ બે-ત્રણ દિવસ પહેલાં ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.
આ મામલે પ્રણવસિંહ પરમારે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “લગભગ એક મહિના પહેલાં લગાવવામાં આવેલા ઝંડાઓ હટાવી દેવામાં આવ્યાનું જાણવા મળતા અમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, અને ગામના સરપંચનો પણ સંર્પક કર્યો હતો. જેમાં તેમણે ગ્રામપંચાયતના ઠરાવનું બહાનું ધર્યું હતું. પરંતુ પંચાયતના ઠરાવમાં અકસ્માત ન થાય તે માટે સર્કલ પર બેનરો અને પોસ્ટરો ન લગાવવા માટે કહેવામાં આવ્યું હતું અને ઉંચા પોલ પર લગાવવામાં આવતા ઝંડાઓ ક્યાંય નડતરરૂપ થતા નથી. જે બાદ અમે આજે રાનકુવા સર્કલ ખાતે ઘેરાવ કરી રામધૂન બોલાવવાનું એલાન કર્યું હતું.”
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2022/05/IMG_2626.jpg?resize=696%2C388&ssl=1)
એલાન બાદ હિંદુ સંગઠનો અગ્નિવીર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ લાયન્સ ગ્રુપ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવા ઝંડા હટાવાતાં વિરોધ નોંધાવ્યો હતો તેમજ ઝંડાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.વિવાદ બાદ રાનકુવા ગામના સરપંચ પોતે જ આવ્યા હતા અને હાજર હિંદુ કાર્યકર્તાઓની માફી માંગી લીધી હતી તેમજ તેમણે જ ફરીથી ઝંડાઓ લગાવી દીધા હતા. તેમજ તેમણે આવું ફરી નહીં થાય તે માટે બાહેંધરી પણ આપી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે અગ્નિવીર હિંદુ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ મહેન્દ્રભાઈ રાજપુરોહિતે ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “અહીં અમારા હિંદુ યુવાનો દ્વારા એક મહિના પહેલાં ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. ભગવો સનાતન ધર્મની ઓળખાણ કહેવાય. એ લગાવ્યાના એક મહિના બાદ પરમ દિવસે અહીંના સરપંચ અને તેમની સમિતિ દ્વારા ભગવા ધ્વજને કાઢીને ફેંકી દેવામાં આવ્યો, તેનું અપમાન કરવામાં આવ્યું. હિંદુ ધર્મની લાગણી દુભાઈ તેના વિરુદ્ધ આજે અમે હિંદુ યુવાનો ભેગા થયા હતા અને તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.
તેમણે આગળ કહ્યું, “સરપંચ આવ્યા અને માફી માંગી. અમે કહેવા માંગીએ છીએ કે હવે હિંદુઓની લાગણી દુભાવવામાં આવે તો સહન કરવામાં નહીં આવે. આવી હિંદુ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે પણ તંત્રને અપીલ કરીએ છીએ.”
અગાઉ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જેમાં રાનકુવા સર્કલ પર લાગેલા ઝંડા હટાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. BTTS રાનકુવા નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક યુવાનો રાનકુવા સર્કલ પર લાગેલા ભગવા ઝંડા ઉખાડીને ફેંકી દેવા અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
જયપુરમાં ભગવા ઝંડા હટાવવા મામલે થયો હતો વિવાદ
આ જ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના જોધપુરમાં રાજૌરી ગેટ સર્કલ પાસે પરશુરામ જયંતિ નિમિત્તે લગાવવામાં આવેલ ભગવા ઝંડા હટાવીને ત્યાં ઇસ્લામિક ઝંડા લગાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો અને જે કોમી હિંસામાં પરિણમ્યો હતો. જે બાદ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હિંસા થઇ હતી તો મુસ્લિમ ભીડે વાહનોમાં તોડફોડ પણ કરી હતી.