Wednesday, May 8, 2024
More
    હોમપેજગુજરાતવાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે તંત્ર દ્વારા અસરગ્રસ્ત સ્થળોથી કુલ 1152 સગર્ભા...

    વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે તંત્ર દ્વારા અસરગ્રસ્ત સ્થળોથી કુલ 1152 સગર્ભા બહેનોનું સલામત સ્થળાંતર: 707ની સફળ પ્રસૂતિ, 504 એમ્બ્યુલન્સ ખડેપગે

    અગમચેતીના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓની આરોગ્ય સેવાઓ પર અસર ન થાય તે માટે હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, 100% ડીઝલ સંચાલિત કુલ- 197 આધુનિક જનરેટર સેટ તેમજ ખાસ કરીને વાવાઝોડાની ભયાનકતાને ધ્યાને રાખીને કચ્છ જિલ્લામાં 10 દેવભૂમિ દ્વારકામાં 5 અને મોરબીમાં 2 એમ કુલ 17 વધારાની 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ફાળવવામાં આવી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર પણ સાંભળવા મળ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલા ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે સમગ્ર વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને 108ના કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર- બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ 1171 પૈકી 1152 સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં, પણ આમાંથી કુલ 707 બહેનોની સફળ પ્રસૂતિ કરાવીને એક નહી પણ બે-બે જીવન બચાવીને વહીવટીતંત્ર આ તમામ પરિવારોના આનંદમાં સહભાગી થયું છે.

    ગુજરાત માહિતી ખાતાએ અનુસાર બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અને તેમાં આવતી મહાનગર પાલિકાઓમાં સાવચેતીના પગલારૂપે આરોગ્યતંત્ર દ્વારા અગાઉથી સગર્ભા બહેનોની ઓળખ-યાદી તૈયાર કરીને તેમને તમામ સુવિધા સાથે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર અથવા સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને જે બહેનોની પ્રસૂતિની તારીખ નજીક હતી તેમની વિશેષ ચિંતા કરીને તેમના માટે તબીબો-દવાઓ સહીત તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

    કચ્છ જિલ્લામાં સૌથી વધુ 552 સગર્ભાઓનું સલામત સ્થળાંતર

    જેમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ 552, જયારે રાજકોટમાં 176, દેવભૂમિ દ્વારકામાં 135, ગીર સોમનાથમાં 94, જામનગરમાં 62, જૂનાગઢમાં 57, પોરબંદરમાં 33, રાજકોટ મહાનગરપાલિકા 26, જૂનાગઢ મનપામાં 8 તેમજ મોરબી અને જામનગર મનપામાંથી 4-4 એમ કુલ 1152 સગર્ભા બહેનોનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આ સલામત સ્થળે સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 348, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગર પાલિકામાં 12, જૂનાગઢ મનપામાં 8, જામનગર મનપામાં 4 અને મોરબી જિલ્લામાં 1 એમ કુલ- 707 બહેનોની હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 303 સરકારી અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ રાત-દિવસ સેવારત હતી.

    વધુમાં અગમચેતીના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓની આરોગ્ય સેવાઓ પર અસર ન થાય તે માટે હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, 100% ડીઝલ સંચાલિત કુલ- 197 આધુનિક જનરેટર સેટ તેમજ ખાસ કરીને વાવાઝોડાની ભયાનકતાને ધ્યાને રાખીને કચ્છ જિલ્લામાં 10 દેવભૂમિ દ્વારકામાં 5 અને મોરબીમાં 2 એમ કુલ 17 વધારાની 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા બહેનોનું તબીબો દ્વારા રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ થકી દૈનિક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં