Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણમોબાઈલના પાસવર્ડ નથી જણાવી રહ્યા કેજરીવાલ, હવે એપલની મદદ લેશે ED: રિપોર્ટમાં...

    મોબાઈલના પાસવર્ડ નથી જણાવી રહ્યા કેજરીવાલ, હવે એપલની મદદ લેશે ED: રિપોર્ટમાં દાવો- દરરોજ 5 કલાક થઈ રહી છે પૂછપરછ

    અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, દિલ્હીના મુખ્યમંત્રીએ ધરપકડ દરમિયાન પોતાનો આઇફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને હજુ સુધી તેમણે એજન્સીના વરિષ્ઠ અધિકારીઓને પાસવર્ડ જણાવ્યો નથી. એજન્સીનો દાવો છે કે, કેજરીવાલ જાણીજોઇને પૂછપરછમાં સહયોગ આપી રહ્યા નથી.

    - Advertisement -

    દિલ્હી લિકર પોલિસી કેસમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પૂછપરછ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમની દરરોજ પાંચ કલાક પૂછપરછ કરી રહી છે. જોકે, એજન્સી હજુ સુધી તેમના આઇફોન અને ડિજિટલ ઉપકરણોનાં એક્સેસ મેળવી શકી નથી. કેજરીવાલને વારંવાર પાસવર્ડ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ દર વખતે ઇનકાર કરી રહ્યા છે. તેવામાં હવે એક રિપોર્ટમાં જણાવાયું છે કે, EDએ કેજરીવાલના આઇફોનનું એક્સેસ મેળવવા માટે એપલનો સંપર્ક કર્યો છે.

    ઇન્ડિયન એક્સપ્રેસે તેના એક અહેવાલમાં સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, EDએ કેજરીવાલના આઇફોનનું એક્સેસ મેળવવા માટે એપલનો સંપર્ક કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 21 માર્ચની રાત્રે જ્યારે EDએ કેજરીવાલની ધરપકડ કરી ત્યારે તેમના ઘરેથી ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલનો ફોન પણ એજન્સીએ જપ્ત કર્યો હતો. 28 માર્ચે રિમાન્ડ લંબાવવાની અરજી પર સુનાવણી દરમિયાન એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે, કેજરીવાલના પત્નીના ફોનનું એક્સેસ મેળવી લેવામાં આવ્યું છે અને તેનો ડેટા પણ જાણી શકાયો છે. પરંતુ કેજરીવાલ પોતાના ફોનનો પાસવર્ડ નથી જણાવી રહ્યા.

    અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, દિલ્હીના મુખ્યમંત્રીએ ધરપકડ દરમિયાન પોતાનો આઇફોન સ્વિચ ઑફ કરી દીધો હતો અને હજુ સુધી તેમણે એજન્સીના વરિષ્ઠ અધિકારીઓને પાસવર્ડ જણાવ્યો નથી. એજન્સીનો આરોપ છે કે કેજરીવાલ જાણીજોઇને પૂછપરછમાં સહયોગ આપી રહ્યા નથી.

    - Advertisement -

    ‘ED ચૂંટણીની રણનીતિ અને ગઠબંધનના ડેટા મેળવી લેશે’- કેજરીવાલ

    રિપોર્ટ અનુસાર, તપાસ સાથે સંકળાયેલા એજન્સીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, કેજરીવાલ એવું કહી રહ્યા છે કે, ED તેમના ફોનનું એક્સેસ મેળવીને ચૂંટણી રણનીતિ અને ચૂંટણી પહેલાંના ગઠબંધન સંબંધિત ડેટાઓ મેળવી લેશે. આ સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમામ પ્રયાસો બાદ એજન્સીએ સત્તાવાર રીતે ફોન ઉત્પાદક કંપની એપલનો સંપર્ક કર્યો છે. જોકે, એપલનું કહેવું છે કે, કોઈપણ ડેટા મેળવવા પહેલાં પાસવર્ડની જરૂર છે. હવે અધિકારીઓ આનો તોડ કાઢવામાં લાગ્યા છે.

    રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, કેજરીવાલે એજન્સીને કહ્યું છે કે, તેમની પાસે આ ફોન લગભગ એક વર્ષથી છે અને 2020-21માં લિકર પોલિસી ઘડતી વખતે તેઓ જે ઉપકરણનો ઉપયોગ કરતા હતા તે હવે તેમની પાસે નથી. અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, આ મામલે એજન્સી કેજરીવાલની દરરોજ પાંચ કલાક પૂછપરછ કરી રહી છે.

    આ ઉપરાંત રિપોર્ટમાં કહેવાયું છે કે, EDએ કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસના વધારા માટેની માંગણી સાથે દરખાસ્ત પણ કરી છે. જો તે ના મળે તો તેમની જ્યુડિશિયલ કસ્ટડી માટે પણ પ્રયાસ કરવામાં આવશે. આ સાથે એજન્સીના અધિકારીએ એવું પણ કહ્યું છે કે, “આ કેસમાં પ્રિડિકેટ ગુનો નોંધનાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પણ કેજરીવાલના કસ્ટોડિયલ રિમાન્ડની માંગ કરી શકે છે. નોંધનીય છે કે, કેજરીવાલ 1 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં