Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોલીસે પહેલાં હનુમાનજીને વંદન કર્યા, બાદમાં એક પછી એક મૂર્તિઓ સન્માન સાથે...

    પોલીસે પહેલાં હનુમાનજીને વંદન કર્યા, બાદમાં એક પછી એક મૂર્તિઓ સન્માન સાથે બહાર કાઢી: દિલ્હીમાં મંદિર હટાવવાનો વિડીયો વાયરલ, ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન મજાર પણ હટાવાઈ

    કાર્યવાહી દરમિયાન એક મૂર્તિ ખંડિત પણ થઈ હતી, જેને યમુના નદીમાં પધરાવી દેવામાં આવી હતી.

    - Advertisement -

    દિલ્હીના ભજનપુરા ચોક પર રવિવારે (2 જુલાઈ 2023) પ્રશાસને અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનમાં દબાણો સાથે રસ્તા વચ્ચોવચ બનાવવામાં આવેલી મજાર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ડિમોલિશન સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તેવામાં દિલ્હી પોલીસે હનુમાનજીને વંદન કરી મંદિર હટાવ્યું તે ડિમોલિશન ડ્રાઈવ વખતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    મીડિયા અહેવાલો અનુસાર મંદિરના ડિમોલિશન પહેલાં દિલ્હીના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના એડીશનલ DCP મંદિરમાં ગયા, તેમણે મંદિરમાં સ્થાપિત તમામ મૂર્તિઓને એક બાદ એક પ્રણામ કર્યા અને પૂજા-અર્ચના કરી. બાદમાં તમામ મૂર્તિઓને મંદિરના પટાંગણમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવી. ત્યારબાદ મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું. આ કાર્યવાહી દિલ્હી સરકારના PWD વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસે હનુમાનજીને વંદન કરી મંદિર હટાવ્યું તે ડિમોલિશન ડ્રાઈવ વખતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસ સહીત પેરામિલેટ્રીનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ડ્રોન દ્વારા આખા વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. ભજનપુરા ખાતે ફ્લાયઓવર પર મેટ્રો રૂટ અને નીચે રસ્તો બનાવવા માટે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે અહીં જ રસ્તા વચ્ચોવચ એક મજાર પણ હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાતી રહેતી હતી. જયારે મંદિર રોડની બાજુ પર હતું, જેને પ્રશાસન દ્વારા અતિક્રમણ ઘોષિત કરીને મંદિર અને મજાર સાથે જોડાયેલા લોકોને જાણકારી આપી ડિમોલિશન કાર્યવાહી કરી હતી.

    - Advertisement -

    આ મામલે દિલ્હી પોલીસના ડીસીપી જોય એન તિર્કીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દબાણ વિરોધી કાર્યવાહી દરમિયાન મંદિર અને મજારને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ દબાણોના કારણે ઘણીવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહેતી હતી. ડીસીપી મુજબ સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી. આ કાર્યવાહી દરમિયાન એક મૂર્તિ ખંડિત પણ થઈ હતી, જેને યમુના નદીમાં પધરાવી દેવામાં આવી હતી. ખંડિત થયેલી મૂર્તિ હનુમાનજી મહારાજની હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, જેને હિંદુ સંગઠનો દ્વારા બુલડોઝરની મદદથી યમુના નદીમાં પધરાવી દેવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.

    બીજી તરફ સ્થાનિક હિંદુ સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. યુનાઇટેડ હિંદુ ફ્રન્ટના અધ્યક્ષ જયભગવાન ગોયલે આ કાર્યવાહીનો દોષ અરવિંદ કેજરીવાલ પર ઢોળતા તેમને હિંદુ વિરોધી એજન્ડા ચલાવનારા નેતા કહ્યા હતા. જયભગવાન ગોયલે જણાવ્યું હતું કે મંદિર પાડીને અરવિંદ કેજરીવાલ આખા દેશના મુલ્લા-મૌલવીઓને ખુશ કરી રહ્યા છે. વર્ષ 2020ના રમખાણને યાદ કરી તેમણે કેજરીવાલ સરકાર દ્વારા માત્ર મુસ્લિમોને સહયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    જોકે આમ આદમી પાર્ટીએ આ આદેશ દિલ્હીના ઉપરાજ્યપાલનો હોવાનું કહીને દોષનો ટોપલો તેમની ઉપર ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. પાર્ટીએ કાર્યવાહી દરમિયાન ધાર્મિક સ્થળોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ પણ આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં