Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ'હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છું અને રહીશ': કોંગ્રેસમાં પરત ફરવાની...

    ‘હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છું અને રહીશ’: કોંગ્રેસમાં પરત ફરવાની વાતને જવાહર ચાવડાએ ગણાવી અફવા, કહ્યું- મીડિયામાં ચાલતા સમાચારો પાયાવિહોણા

    જવાહર ચાવડાએ પોસ્ટ કરીને લખ્યું છે કે, "મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધારવિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ."

    - Advertisement -

    લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં કેટલીક ગુજરાતી મીડિયા અફવા ફેલાવી રહી છે. રાજકીય અટકળોના નામે ચાલી રહેલા સમાચારોમાં ભાજપ નેતા જવાહર ચાવડાનું નામ મોખરે છે. મીડિયામાં એવા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા કે, લોકસભા બેઠકની ટિકિટ ના મળતા ભાજપના નેતા જવાહર ચાવડા પાછા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં સામેલ થયા હતા. તેવા સમયે હવે ફરી તેઓ કોંગ્રેસનો હાથ પકડશે તેવી અટકળો મીડિયામાં વહેતી થઈ હતી. જ્યારે આ મામલે હવે જવાહર ચાવડાએ પોતે સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયામાં ચાલી રહેલી આ વાતને અફવા ગણાવી છે.

    ભાજપ નેતા જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોંગ્રેસમાં પરત ફરવાની વાતને અફવા ગણાવી છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધારવિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ.” જવાહર ચાવડાએ આ પોસ્ટ સાથે ‘અબ કી બાર 400 પાર’નો એક થીમ ફોટો પણ મૂક્યો છે. તેમની આ પોસ્ટ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે, મીડિયામાં ચાલી રહેલી વાતો માત્ર અફવા છે. તેમણે મીડિયામાં ચાલી રહેલા આ સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે. કારણ કે, આ પહેલાં પણ તેમણે ક્યારેય કોંગ્રેસ સાથે જોડાવાની વાત કરી નહોતી. ઑપઇન્ડિયાએ જવાહર ચાવડાનો સંપર્ક કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટની પુષ્ટિ કરી છે અને કહ્યું કે, હું ભાજપમાં જ છું.

    નોંધનીય છે કે, જવાહર ચાવડા સૌરાષ્ટ્રના મોટા નેતાઓ પૈકીના એક છે. તેમના વિશે છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર વહેતા થયા હતા કે, તેમને ભાજપ તરફથી ટિકિટ ના આપવામાં આવતા તેઓ કોંગ્રેસમાં પરત ફરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત મીડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપની કોઈ બેઠકમાં સામેલ પણ થયા નથી. સાથે એવી પણ વાત કરવામાં આવી રહી હતી કે, માણાવદરની પેટા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પાસેથી ટિકિટ લેવાના છે. પરંતુ હવે આ તમામ અફવાઓ પર જવાહર ચાવડાએ પોતે પૂર્ણવિરામ મૂકી દીધું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, જવાહર ચાવડા 2019 પહેલાં કોંગ્રેસના નેતા તરીકે કાર્યરત હતા. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી માણાવદર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ માર્ચ 2019માં વિજય રૂપાણીની સરકારમાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગના કેબિનેટ મંત્રી તરીકે પણ નિયુકત થયા હતા. તે બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ માણાવદર બેઠક પરથી કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હાર્યા હતા. જોકે, હવે તો અરવિંદ લાડાણી પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં