Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રાહુલ ગાંધીના પરિવાર માટે કાયદો અલગ હોવો જોઈએ': કોંગ્રેસ સાંસદની માંગ, ભાજપે...

    ‘રાહુલ ગાંધીના પરિવાર માટે કાયદો અલગ હોવો જોઈએ’: કોંગ્રેસ સાંસદની માંગ, ભાજપે કહ્યું- કાલે ઉઠીને અલગ સંસદ અને અલગ દેશ પણ માંગશે

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, “ગાંધી પરિવાર માટે આમને આજે અલગ કાયદો જોઈએ, કાલે અલગ ન્યાયાલય જોઈશે, પછી અલગ સંસદ જોઈશે અને પછી ક્યાંક અલગ દેશની માંગણી પણ કરી શકે છે!

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ભારત જોડો યાત્રા કરી આવેલા રાહુલ ગાંધી માટે હવે પોતાની પાર્ટીને જોડવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં સુરત જિલ્લા કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ વિવાદમાં દોષિત જાહેર કર્યા છે અને 2 વર્ષની સજા સંભળાવી છે. એ પછી બીજા દિવસે જ લોકસભામાંથી તેમની સદસ્યતા પણ છીનવાઈ ગઈ હતી. રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થયા બાદ કોંગ્રેસમાંથી એક પછી એક અજીબોગરીબ નિવેદનો સામે આવી રહ્યાં છે. એવું જ એક નિવેદન આપતાં સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે ગાંધી પરિવાર માટે અલગ કાયદો હોવો જોઈએ.

    રાહુલ ગાંધીનું સાંસદપદ રદ થતાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધમાં પાર્ટીથી જોડાયેલાં નેતાઓ અજીબોગરીબ નિવેદન આપીને રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી રહ્યા છે. હાલમાં કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ રાહુલ ગાંધીને સજા મળ્યા બાદ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે માંગ કરી કે, ગાંધી પરિવાર માટે અલગ કાયદો હોવો જોઈએ.

    ન્યૂઝ ચેનલ આજતક સાથેની વાતચીત દરમિયાન સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, “રાહુલ ગાંધીના પરિવાર માટે કાયદો અલગ હોવો જોઈએ. સજામાં, કન્વિક્શનમાં નહીં. જ્યારે તમે દોષી ઠેરવો ત્યારે તેમાં પૃષ્ઠભૂમિ નથી જોવાતી પણ ગુનો જોવામાં આવે છે. પણ જ્યારે તમે સજા આપો છો તો તેમાં વ્યક્તિનું વર્તન, સ્તર અને પારિવારિક પૃષ્ઠભૂમિ જોવામાં આવે છે.”

    - Advertisement -

    તેમણે શિક્ષકનું ઉદાહરણ આપીને આગળ કહ્યું કે, સજા આપવામાં રાહુલ ગાંધીના પરિવારની પૃષ્ઠભૂમિ, તેમની પૃષ્ઠભૂમિ, તમામનું આકલન થવું જોઈતું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આ કેસ મહત્તમ સજા માટેનો ન હતો. આગળ કહ્યું કે, રાહુલ ગાંધી ગાંધી પરિવારમાંથી આવે છે જેથી તેમને મહત્તમ સજા ન આપવી જોઈએ. પ્રમોદ તિવારીએ કહ્યું કે, જો કોર્ટે રાહુલ ગાંધીના પરિવાર અને તેમની પૃષ્ઠભૂમિ પર વિચાર કરીને નિર્ણય લીધો હોત અને તેમને બે વર્ષથી ઓછી સજા સંભળાવી હોત તો આજે તેમનું સંસદપદ ન જાત.

    તેમના આ નિવેદન અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, “ગાંધી પરિવાર માટે આમને આજે અલગ કાયદો જોઈએ, કાલે અલગ ન્યાયાલય જોઈશે, પછી અલગ સંસદ જોઈશે અને પછી ક્યાંક અલગ દેશની માંગણી પણ કરી શકે છે! આ કોંગ્રેસ પાર્ટીની અસલી ચાલ, ચરિત્ર અને ચહેરો છે.”

    રાહુલ ગાંધીને કયા કેસમાં સજા થઈ છે?

    રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક રેલી દરમિયાન ‘મોદી સમાજ’ પર એક ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરતના ધારાસભ્ય અને ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. ચાર વર્ષ બાદ કોર્ટે 23 માર્ચ 2023ના રોજ ચુકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીને સજા થયા બાદ શુક્રવારે નિયમાનુસાર તેમનું સાંસદ સભ્યનું પદ પણ રદ કરવામાં આવ્યું હતું અને તેમને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં