Thursday, May 15, 2025
More
    હોમપેજગુજરાતઅમદાવાદથી જૂનાગઢ પહોંચ્યાં બુલડોઝર: ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પાસેનાં ઢગલેબંધ ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત,...

    અમદાવાદથી જૂનાગઢ પહોંચ્યાં બુલડોઝર: ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પાસેનાં ઢગલેબંધ ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત, 400 પોલીસકર્મીઓ ખડેપગે

    મુક્ત કરાયેલી જમીનની બજાર કિંમત અંદાજે ₹50 કરોડ જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 10 JCB અને 10 ટ્રેક્ટરો સાથે મોટા પ્રમાણમાં યાંત્રિક સાધનો લઈને સ્થાનિક પ્રશાસને ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી.

    - Advertisement -

    અમદાવાદના ચંડોળા તળાવ ખાતે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાયા બાદ હવે જૂનાગઢમાં (Junagadh) પણ બુલડોઝર (Bulldozer) ફરી વળ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે, ઉપરકોટ કિલ્લાની (Uparkot Fort) આસપાસ ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યાં છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. 60 જેટલા બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    બુધવારે (30 એપ્રિલ) વહેલી સવારથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ કામગીરીમાં જોતરાયો હતો. સંયુક્ત ઉપક્રમે કરોડોની જમીન મુક્ત કરવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 60 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન મુક્ત કરવામાં આવી હતી.

    મુક્ત કરાયેલી જમીનની બજાર કિંમત અંદાજે ₹50 કરોડ જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 10 JCB અને 10 ટ્રેક્ટરો સાથે મોટા પ્રમાણમાં યાંત્રિક સાધનો લઈને સ્થાનિક પ્રશાસને ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. વધુમાં માહિતી સામે આવી રહી છે કે, હજુ પણ 100થી વધુ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવશે અને 8 જેટલા અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવશે.

    - Advertisement -

    જૂનાગઢના કલેક્ટ અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, આ કામગીરી માટે 400થી વધુ પોલીસકર્મીઓને ખડેપગે રાખવામાં આવ્યા હતા. તે સિવાય 10 જેટલા JCB, જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન, PGVCL અને ફાયર ટીમે સાથે મળીને ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

    ડિમોલિશન ડ્રાઈવને લઈને SDM ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને સૂચના મુજબ ઉપરકોટ વિસ્તારમાં દબાણ હટાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ કહ્યું છે કે, “59 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. અમે તેમને કલમ 61 અને 202ની નોટિસ પણ આપી હતી, તેમ છતાં દબાણ ન હટતા હવે જિલ્લા વહીવહી તંત્ર દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે.”

    નોંધનીય છે કે, આ પહેલાં ચંડોળા ખાતે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ તમામ વસાહતો બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા સરકારી જમીનો પર ઊભી કરી દેવામાં આવી હતી. જે બાદ સરકારે કાર્યવાહી હાથ ધરીને બાંધકામો જમીનદોસ્ત કરી દીધા હતા. હજુ બે દિવસ સુધી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવ ચાલશે તેવી માહિતી સામે આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં