Saturday, May 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવ વર્ષથી ચાલતું હતું કામ, 13 કરોડ રૂપિયા ખર્ચ્યા અને ઉદ્ઘાટન થાય...

    નવ વર્ષથી ચાલતું હતું કામ, 13 કરોડ રૂપિયા ખર્ચ્યા અને ઉદ્ઘાટન થાય તે પહેલાં જ પુલ ધરાશાયી થઇ ગયો: બિહારની ઘટના, નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ

    આ પુલ બિહાર બેગુસરાયના સાહેબપુરકમાલ ક્ષેત્રમાં આવેલ ગંડક નદી પર બનાવવામાં આવી રહ્યો હતો.

    - Advertisement -

    બિહાર રાજ્યના બેગુસરાયમાં એક નદી પર બાંધવામાં આવેલ પુલ તેના ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો છે. આ પુલ છેલ્લાં નવ વર્ષથી બનાવવામાં આવી રહ્યો હતો અને જે માટે 13 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પુલ તૂટ્યા બાદ સ્થાનિકો તંત્ર અને અધિકારીઓને જવાબદાર ગણાવી રહ્યા છે. 

    આ પુલ બિહાર બેગુસરાયના સાહેબપુરકમાલ ક્ષેત્રમાં આવેલ ગંડક નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જોકે, નવ વર્ષે પણ તેનું બાંધકામ પૂર્ણ થયું ન હતું અને જેના કારણે ઉદ્ઘાટન પણ બાકી હતું. આખરે પુલ આજે સવારે તૂટી પડ્યો. જોકે, ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હોવાના કારણે જાનહાનિ થઇ ન હતી. 

    આ પુલનું બાંધકામ એટલું નબળું હતું કે હજુ તો નિર્માણકાર્ય ચાલુ હતું તે દરમિયાન જ તિરાડો પડી ગઈ હતી. જે બાબતની ગામલોકોએ અધિકારીઓને જાણ પણ કરી હતી અને અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ પણ કર્યું હતું. તેમજ પુલની દેખરેખ માટે બંને તરફ ચોકીદારો પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ કંઈ ધ્યાન ન આપવામાં આવ્યું હોવાનો આરોપ છે. 

    - Advertisement -

    આ પુલ અવરજવર માટે અગત્યનો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં નારાજગી છે તેમજ લોકો આને ભ્રષ્ટાચારનો નમૂનો ગણાવી રહ્યા છે. ગામલોકો અનુસાર, પુલ મળસ્કે ત્રણ વાગ્યાના અરસામાં તૂટી પડ્યો હતો, જેના કારણે અવરજવર ન હોવાના મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ હતી. એમ પણ જાણવા મળ્યું છે કે ઉદ્ઘાટન બાકી હોવા છતાં રાહદારીઓએ ત્યાંથી જવા-આવવાનું શરૂ કરી દીધું હતું. 

    એક સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, કામ શરૂ થતાં જ અનિયમિતતા જોઈને વિરોધ કર્યો તો કાર્યપાલક ઇજનેરે પોલીસ મથકે ખંડણી માંગીને કામમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવી મારી વિરુદ્ધ ત્રણ વખત અરજી કરી હતી. જોકે, ડીએસપીએ આશ્વાસન આપ્યું હતું કે કામ સારી રીતે પૂર્ણ થશે. પરંતુ શું થયું એ બધાની સામે છે. 

    સ્થાનિક ધારાસભ્ય લલન યાદવે આ મામલે કહ્યું કે, પુલના નિર્માણમાં ભારે અનિયમિતતા દાખવવામાં આવી. ગનીમત છે કે પુલ સવારે 5 વાગ્યા પહેલાં પડ્યો, નહીં તો ઉદ્ઘાટન વગર પણ આ પુલ પરથી ટ્રેક્ટર પસાર થતાં હતાં. ભારે જાનમાલનું નુકસાન થઇ શક્યું હોત. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં