Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆરોપીઓની ઓળખ, હત્યાનું કારણ, પત્ની શાઇસ્તાનું સરેન્ડર, ઉત્તરપ્રદેશમાં 144 અને પ્રયાગરાજમાં ઇન્ટરનેટ...

    આરોપીઓની ઓળખ, હત્યાનું કારણ, પત્ની શાઇસ્તાનું સરેન્ડર, ઉત્તરપ્રદેશમાં 144 અને પ્રયાગરાજમાં ઇન્ટરનેટ બંધ: આ છે માફિયા અતીક અહેમદની હત્યા બાદના ઘટનાક્રમ

    અહેવાલો અનુસાર, અતીકનું ઘર જે ચકિયા વિસ્તારમાં આવેલું છે, ત્યાં પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. અતીકનું ગઢ ગણાતા ચકિયા વિસ્તારમાં તેના સમર્થકોએ હુમલો કરતાં આ વિસ્તારમાં પોલીસ એલર્ટ પર છે.

    - Advertisement -

    માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરી નાખવામાં આવી છે. આ બંનેને પ્રયાગરાજમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે કેમેરા સામે જ તેમના પર એક પછી એક ગોળી ચલાવવામાં આવી હતી. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ લોકોની ઓળખ જાહેર થઈ ચૂકી છે.

    ડોન બનવા માગતા હતા અપરાધીઓ

    માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અને અશરફની હત્યા લાઈવ કેમેરા સામે જ થઈ હતી. અહેવાલ અનુસાર, આ ઘટનાને અંજામ આપનારા ત્રણ ઈસમો સામે હત્યા, લૂંટ સહિતના અનેક ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ છે. નાની વયે જ તેમણે ક્રાઈમની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ત્રણેય ગુનેગારો જેલમાં મળ્યા હતા. અતીક અને અશરફની હત્યા કરીને આ ત્રણેય જાણીતાં ડોન બનવા માગતા હતા.

    મીડિયાકર્મી બનીને આવ્યા હતા ગુનેગારો

    પ્રયાગરાજના પોલીસ કમિશનરે જણાવ્યું કે, અતીક અને અહેમદને પોલીસ કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. અતીક અને અશરફને જોઈને મીડિયાકર્મીઓ તેમની બાઈટ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં ત્રણ જણા મીડિયાકર્મી હોવાનું નાટક કરીને અતીક અને અશરફની બાઈટ લેવા તેમની નજીક ગયા અને એકાએક ગોળી ધરબી દીધી. આ ઘટનામાં એક પોલીસકર્મીને ગોળી વાગી છે, તો એક પત્રકારને નીચે પડી જતાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.  

    - Advertisement -

    ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અપરાધીઓ, ત્રણેયની પૂછપરછ ચાલુ

    અતીક અને અશરફની હત્યા મામલે જે ત્રણ આરોપીઓ પકડાયા છે તેમની ઓળખ હમીરપુરના રહેવાસી શનિ, કાસગંજના રહેવાસી અરુણ અને બાંદાના રહેવાસી લવલેશ તરીકે થઈ છે. આ ત્રણેય ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ કડક પૂછપરછ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, શનિ શરૂઆતમાં પ્રયાગરાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. જ્યારે બીજો પણ પોતાને સ્ટુડન્ટ ગણાવે છે.

    મોટા કારનામાંને અંજામ આપી પોતાની ઓળખ ઊભી કરવા માગતા હતા

    પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ, આ ત્રણેય અપરાધીઓ ક્રાઈમની દુનિયામાં છવાઈ જવા માગતા હતા. નાના-નાના ગુનાઓમાં જેલ જવાને લીધે તેમનું નામ નહોતું થઈ રહ્યું એટલે તેઓ મોટા કારનામાંને અંજામ આપવા માગતા હતા. આ દરમિયાન તેમને ખબર પડી કે અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા છે. એટલે ત્રણેયએ કાવતરું ઘડીને લાઈવ ટીવી કેમેરા સામે જ અતીક અને અશરફની હત્યા કરી નાખી. તેમનું કહેવું છે કે, જે લોકો અતીકથી ડરતા હતા એ હવે અમારાથી ડરશે.

    ‘અતીક અને અશરફે નિર્દોષોને માર્યા હતા’

    પહેલા ત્રણેય આરોપી અલગ-અલગ નિવેદન આપી રહ્યા હતા, પણ કડક પૂછપરછમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, “માફિયા અતીકનું પાકિસ્તાની ખૂફિયા એજન્સી આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન હતું. તેણે અને તેની ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો અને તેની વિરુદ્ધ જુબાની આપનારને પણ છોડતો ન હતો. તેનો ભાઈ અશરફ પણ આવા કામ કરતો હતો તેથી અમે બંનેની હત્યા કરી નાખી.”

    ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇમરજન્સી બેઠક બોલાવીને કડક નિર્દેશો આપ્યા હતા. તેમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ પોલીસ સ્ટેશનોને પેટ્રોલિંગ વધારવા અને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તો અતીક અને અશરફની હત્યા બાદ 17 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, અતીકનું ઘર જે ચકિયા વિસ્તારમાં આવેલું છે, ત્યાં પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. અતીકનું ગઢ ગણાતા ચકિયા વિસ્તારમાં તેના સમર્થકોએ હુમલો કરતાં આ વિસ્તારમાં પોલીસ એલર્ટ પર છે.

    અતીકની પત્ની શાઇસ્તા પરવીનનું સરેન્ડર

    માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ અતીકની પત્ની શાઇસ્તા પરવીન મેડિકલ કોલેજ પહોંચી હતી અને સરેન્ડર કર્યું હતું. તેના દીકરા અસદ અહમદની હત્યા બાદ પણ શાઇસ્તા પરવીન સામે આવી ન હતી. શાઇસ્તા પણ ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં