Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફોઈની દીકરી સાથે નક્કી થયા હતા અતિકના પુત્ર અસદના નિકાહ, આ જ...

    ફોઈની દીકરી સાથે નક્કી થયા હતા અતિકના પુત્ર અસદના નિકાહ, આ જ વર્ષે મેરઠમાં થવાના હતા: હાલ જેલમાં બંધ છે થનાર સસરો અખલાક

    અસદ ગયા વર્ષે તેની ફોઈના ઘરે આવ્યો હતો અને અહીં બંને નજીક આવ્યાં હતાં. ત્યારબાદ તેમના પરિવારોએ બંનેના નિકાહ કરવાનો નિર્ણય કર્યો હતો.

    - Advertisement -

    યુપી પોલીસ એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતિક અહમદના પુત્ર અસદ વિશે ધીમે-ધીમે વધુ વિગતો સામે આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે તેના નિકાહ નક્કી કરી દેવામાં આવ્યા હતા અને આ જ વર્ષે મેરઠમાં તે પરણવાનો હતો. રિપોર્ટ્સ અનુસાર, અસદના નિકાહ તેની ફોઈની દીકરી સાથે નક્કી થયા હતા. 

    અસદના નિકાહ અતિક અહમદની બહેન આયશા નૂરી અને ડોક્ટર અખલાક અહમદની પુત્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ઉમેશ પાલ હત્યાકાંડ બાદ બધું બદલાઈ ગયું અને તેઓ નાસતા ફરતા થઇ ગયા હતા. 

    રિપોર્ટ અનુસાર, એસટીએફના એસપી બ્રિજેશ સિંહે જણાવ્યું કે, અસદ ગયા વર્ષે તેની ફોઈના ઘરે આવ્યો હતો અને અહીં બંને નજીક આવ્યાં હતાં. ત્યારબાદ તેમના પરિવારોએ બંનેના નિકાહ કરવાનો નિર્ણય કર્યો હતો. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, સાબરમતી જેલમાં બંધ અતિક અહમદે તેના બનેવી અખલાક સાથેની મુલાકાત દરમિયાન આ નિકાહ માટે મંજૂરી આપી હતી. 

    - Advertisement -

    હાલ અસદનો ફુઆ અને થનાર સસરો અખલાક જેલમાં બંધ છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાના ઘરે ગુડ્ડુ મુસ્લિમને ગળે મળતો જોવા મળે છે. ગુડ્ડુ મુસ્લિમ ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી છે અને હત્યા બાદથી ફરાર છે. તેણે મેરઠમાં અખલાકના ઘરે જ આશરો લીધો હતો અને અખલાકે તેને 50 હજાર રૂપિયા પણ આપ્યા હતા. ગુડ્ડુ મુસ્લિમને હાલ યુપી પોલીસ શોધી રહી છે.

    વિડીયો વાયરલ થયા બાદ અખલાકની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની ઉપર આરોપીઓને ઘરમાં આશરો આપીને આર્થિક મદદ કરવાનો આરોપ છે. આરોપ એવો પણ લાગ્યો છે કે તે ઉમેશ પાલની હત્યા પહેલાંથી જ અતિક અહમદ અને અન્ય શૂટરો સાથે સંપર્કમાં હતો. બીજી તરફ, અખલાકની ધરપકડ બાદ તેની પત્ની અને અતિકની બહેન આયશા પણ ફરાર છે. 

    અસદને બે ગોળીઓ વાગી હતી, એક હૃદયને ચીરીને નીકળી ગઈ હતી 

    એન્કાઉન્ટર બાદ અસદ અહમદ અને મોહમ્મદ ગુલામના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, અસદને બે ગોળીઓ વાગી હતી. જેમાં એક ગોળી પીઠમાં લાગીને હૃદયને ચીરીને બહાર નીકળી ગઈ હતી. જ્યારે બીજી ગોળી છાતીમાં લાગીને ગળામાં ફસાઈ ગઈ હતી. 

    બીજી તરફ, શૂટર ગુલામને માત્ર એક જ ગોળી વાગી હતી, જે પીઠમાંથી લાગીને હૃદય અને છાંટીને ચીરતી બહાર નીકળી ગઈ હતી. બંનેનાં મોત ગોળી વાગવાથી જ થયાં હતાં. 

    બંનેને જીવતા પકડવા માંગતી હતી પોલીસ, અથડામણમાં માર્યા ગયા 

    એન્કાઉન્ટર બાદ દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ બંનેને જીવિત પકડવા માંગતી હતી અને બંને ઝાંસીમાં સંતાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ STFની ટીમો તેમને પકડવા માટે રવાના થઇ હતી. પોલીસને આ બંને એક નંબર પ્લેટ વગરની બાઈક પર ભાગતા હોવાની ટીપ મળી હતી. 

    પોલીસે બંનેને શોધી કાઢ્યા બાદ તેમને બાઈક થોભાવીને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ બંને ભાગી છૂટ્યા હતા. પોલીસ અનુસાર, તેમણે પીછો કરીને અનેક વખત સરેન્ડર કરવા માટે કહ્યું હતું પરંતુ તેઓ તેજ ગતિએ બાઈક ચલાવીને ભાગવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝાડ પાસે બાઈક સ્લીપ થઇ ગઈ હતી. 

    બાઈક પરથી પડી ગયા બાદ અસદ-ગુલામે પોલીસને ગાળો ભાંડીને મારી નાંખવાની ધમકી આપીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરીને ફાયરિંગ કર્યું હતું. થોડી વાર પછી આરોપીઓ તરફથી કોઈ ગોળીબાર ન થતાં નજીક જઈને જોતાં બંને ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ દમ તોડી દીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં